નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા બિહારમાં યજ્ઞ થયો
ભારતીય જનતા પાર્ટીનાં વિદ્યાર્થી પાંખનાં કાર્યકર્તાઓ દ્વારા કાલી માતા સમક્ષ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને નરેન્દ્ર મોદી વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતિ સાથે જીતે અને વડાપ્રધાન બને તે માટેની પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે હજુ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા એન.ડી.એ.નાં વડાપ્રધાનપદનાં ઉમેદવાર તરીકે કોઇની જાહેરાત કરી નથી અને નીતીશકુમાર પણ મોદીનાં હરિફ માનવામાં આવી રહ્યાં છે તેવા સમયે પટના ખાતે ભાજપનાં વિદ્યાર્થી પાંખના આ કાર્યકર્તાઓએ અત્યારથી જ તેમને વડાપ્રધાન બનાવવા માટે પ્રાર્થના કરી છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2013ના પ્રથમ સપ્તાહમાં બિહારના મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી નીતિશ કુમારની પાર્ટી જનતાદળ (યુનાઇટેડ)ના જ મુઝફ્ફરના સાંસદ જયનારાયણ પ્રસાદ નિશદે નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવાનું સપનું પુરું થાય તે માટે પોતાના ઘરે હવનનું આયોજન કર્યું હતું. તે સમયે નીતિશ કુમાર સમસમી ગયા હતા અને આ મુદ્દે પક્ષમાં ભારે હોબાળો મચ્યો હતો.