લખીમપુર હિંસા કેસમાં યોગી સરકારે ન્યાયિક તપાસ પંચની રચના કરી!
3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીમાં થયેલા હંગામામાં આઠ લોકોના મોત થયા હતા. હવે રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે આ મામલાની તપાસ માટે ન્યાયિક આયોગની રચના કરી છે.
લખનૌ, 07 ઓક્ટોબર : 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીમાં થયેલા હંગામામાં આઠ લોકોના મોત થયા હતા. હવે રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે આ મામલાની તપાસ માટે ન્યાયિક આયોગની રચના કરી છે. યોગી સરકારે હાઇકોર્ટના નિવૃત્ત જજ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં સિંગલ મેમ્બર કમિશનની રચના કરી છે. કમિશન બે મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. સાથે જ આયોગનું મુખ્ય મથક લખીમપુર ખીરી બનાવવામાં આવ્યું છે.
પીડિત પરિવાર અને વિપક્ષી પક્ષો લખીમપુર ખીરીમાં હંગામો થયા બાદથી નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા હતા. ત્યારે હવે સરકારે ન્યાયિક તપાસ માટે જાહેરનામું બહાર પાડીને એક કમિશનની રચના કરી છે. આને યોગી સરકારના મોટા નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે. બીજી તરફ આજે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર ખીરીની ઘટના અંગે સુનાવણી પણ છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની જાતે નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા સરકારે કમિશનની રચના કરી છે.
3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીના ટીકુનિયા ખાતે પ્રદર્શન દરમિયાન ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો અત્યાર સુધી સામે આવ્યા છે, જે બાદ વિપક્ષે ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જો કે, અત્યાર સુધી જે વીડિયો-પુરાવા સામે આવ્યા છે તેના આધારે નોંધાયેલી FIR માં ધરપકડ તો દૂર પૂછપરછ પણ થઈ નથી. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા કાર ચલાવતો હતો.
બીજી તરફ લખીમપુર ખીરીની ઘટના સાથે સંબંધિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કાર ખેડૂતોને કચડીને આગળ જતી જોવા મળે છે. હવે હાઇકોર્ટના નિવૃત્ત જજ પ્રદીપ કુમાર શ્રીવસ્તમ આ મામલાની તપાસ કરશે. તેમનું મુખ્ય મથક લખીમપુરમાં જ હશે. તેઓએ બે મહિનાની અંદર રિપોર્ટ આપવાનો રહેશે.