જામનગરની કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણની ઘટનાની તપાસ માટે કમિટી બનાવવા CM વિજય રૂપાણીએ આપ્યા આદેશ
ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાની જી.જી કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણના આક્ષેપોથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. જાણો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યુ.
જામનગરઃ ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાની જી.જી કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણના આક્ષેપોથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વૉર્ડમાં કાર્યરત અટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપોની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લીધી છે. આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહિ. દોષિતો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. વળી, જાડેજાએ ઉમેર્યુ કે રાજ્યમાં કોઈ પણ બેન કે દીકરીઓ રોજગારી માટે જ્યાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનુ શોષણ થતુ હશે તો રાજ્ય સરકાર ચલાવી લેશે નહિ અને કોઈને પણ છોડશે નહિ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં જામનગરની ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી અને ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર અને આરોગ્ય કમિશ્નરને સૂચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતીના રચના કરી ઘટનાની તપાસ કરવા જણાવ્યુ છે. આ તપાસ સમિતીમાં જામનગરના પ્રાંત અધિકારી, આસિસટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલિસ(ASP) અને મેડીકલ કોલેજના ડીનની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતી બનાવની તપાસ કરી અહેવાલના આધારે દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરશે.
તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જામનગરની જી.જી. કોવિડ હોસ્ટિપલમાં દર્દીઓની સંખ્યા વધી જવાના કારણે અટેન્ટન્ટની તાત્કાલિક ભરતી કરવામાં આવ્યા હતા. 10 હજાર રૂપિયાના ફિક્સ પગારે 800 યુવકો અને યુવતીઓને હંગામી ધોરણે ભરતી કરવામાં આવ્યા. બીજી લહેરની અસર ઘટતા તેમને કોઈ નોટિસ વિના છૂટા કરી દેવામાં આવ્યા. આ યુવક-યુવતીઓએ હોસ્પિટલના સુપરવાઈઝરો અને અન્ય લોકો દ્વારા અઘટિત માંગણીઓ સહિત શારીરિક શોષણ થતુ હોવાના આક્ષેપો કર્યા હતા. યુવતીઓના જણાવ્યા મુજબ ફક્ત યુવતીઓને જ પર્સનલ મીટિંગમાં બોલાવાતી. જે યુવતીઓ માંગણી સ્વીકારે તેને વિવિધ પ્રકારની છૂટ આપવામાં આવતી.