રાષ્ટ્રપતિ સામે ઇજ્જત બચાવવા તંત્રએ લીધો સફેદ પડદાનો સહારો
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ જામનગરમાં આવેલા INS વાલસુરામાં કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા હતા.
જામનગર : દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા હતા. રાષ્ટ્રપતિ જામનગરમાં આવેલા INS વાલસુરામાં કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા હતા. રાષ્ટ્રપતિ જે રૂટ પરથી પસાર થયા હતા. આ રૂટ પર ખાસ કરીને ઝૂંપડપટ્ટીઓ આવેલી છે.
તંત્ર દ્વારા આ રૂટ પર આવેલી ઝૂંપડપટ્ટીઓ ઢાંકવા માટે સફેદ પડદા લગાવવામાં આવ્યા હતા. આ રૂટ પર અનેક જગ્યાએ ગરીબો વસવાટ કરી રહ્યા છે. ગરીબોની ગરીબીને છૂપાવવા માટે તંત્ર દ્વારા સફેદ પડદાઓ લગાવવામાં આવ્યા હતા. બેડી બંદર રોડ પર મોટા ભાગના માછીમારો વસવાટ કરે છે.
આ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ કથળેલી છે, જેના કારણે તેઓ સાદા અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ પસાર થવાના છે. જેના કારણે આ રોડ પર અનેક જગ્યાએ તંત્ર દ્વારા સફેદ પડદા લગાવ્યા છે.
જામનગરમાં તંત્ર દ્વારા સાત રસ્તાથી સાધના કોલોની સુધી સફેદ પડદા લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાત રસ્તાની આજુબાજુમાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટી આવેલી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, ઝૂંપડપટ્ટીને છૂપાવવા માટે તંત્ર દ્વારા પડદા લગાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા શુક્રવારના રોજ જામનગર ખાતે ભારતીય નેવલ શિપ (INS) વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ડ્સ કલર એનાયત કર્યો હતો.
આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ડ્સ કલર રાષ્ટ્રને શાંતિ અને યુદ્ધ બંનેમાં અસાધારણ સેવા આપવા બદલ લશ્કરી એકમને આપવામાં આવે છે. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, એક ઔપચારિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિને 150 મેન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
વર્ષ 1942 માં સ્થપાયેલી INS વાલસુરા એ ભારતીય નૌકાદળની પ્રિમિયર તાલીમ સંસ્થાન છે. તેને ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના અધિકારીઓ અને ખલાસીઓને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, વેપન સિસ્ટમ્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ એવોર્ડ શા માટે અપાય છે?
પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ એ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા કરવા બદલ સન્માનિત કરવા માટે આપાય છે. ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે, જેને 27 મે, 1951ના રોજ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપ્યા અભિનંદન
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, INS વલસુરાને પ્રેસિડેન્ટ કલર મળવા બદલ અભિનંદન. INS વાલસુરા પાસે પોતાનો આગવો એક વિશાળ ઈતિહાસ છે. ત્રણેય ભારતીય સેના માટે જામનગર મહત્વનું સ્થળ છે. એટલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું એ મારું સૌભાગ્ય છે.