જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં એક જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. ગુરુવારના રોજ સવારે રાજૌરીના થાનમંડી સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર થયું હતું.
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. ગુરુવારના રોજ સવારે રાજૌરીના થાનમંડી સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર થયું હતું. આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળતા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ગોળીબાર થયો હતો અને ભારતીય સેનાના JCOને ગોળી વાગી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.
રાષ્ટ્રીય રાઈફલ્સના જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) ને એન્કાઉન્ટર દરમિયાન ગોળી વાગી હતી. JCOને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયો ન હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ગુરૂવારની સવારે આ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ લોકો દેખાયા હતા, જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ અને સેનાની ટીમ આવી પહોંચી હતી. સુરક્ષા દળોને જોઈને આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. તેના જવાબામાં સેનાએ પણ ગોળીબાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજૌરીમાં થાનમંડીનો આ જ વિસ્તાર છે, જ્યાં 6 ઓગસ્ટના રોજ પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
કાશ્મીરમાં હાલના સમયમાં સતત તણાવ જોવા મળી રહ્યો છે. સુરક્ષા દળો અને મુખ્યપ્રવાહના પક્ષોના નેતાઓ સતત આતંકવાદીઓના નિશાના પર હોય છે. આ અઠવાડિયે મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીના હોમશાલીબાગ વિધાનસભા મતવિસ્તારના પ્રમુખ જાવેદ અહમદ ડારની કુલગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે પહેલા જમ્મુ -કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી હુમલો થયો હતો. ગત સપ્તાહે આતંકવાદીઓએ શ્રીનગરમાં હરિ સિંહ હાઇ સ્ટ્રીટ પર ગ્રેનેડથી સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. જો કે, આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડથી કોઈ સુરક્ષા કર્મીઓને નુકસાન થયું નથી, પરંતુ પાંચ નાગરિકો ઘાયલ થયા હતા.