શીલા દીક્ષિત વિરૂદ્ધ લડશે કેજરીવાલ, ભર્યું ઉમેદવારી પત્ર
નવી દિલ્હી, 17 નવેમ્બર: આગામી 4 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. નવી દિલ્હી સીટ પર અરવિંદ કેજરીવાલનો સામનો મુખ્યમંત્રી તથા કોંગ્રેસના ઉમેદવાર શીલા દીક્ષિત અને ભાજપની પ્રદેશ એકમના પૂર્વ અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા સાથે થશે.
પોતાની માતા ગીતા, પિતા ગોવિંદ રામ અને પત્ની સુનીતા સાથે જામનગર હાઉસ સ્થિત જિલ્લાધિકારી કાર્યાલય જઇને અરવિંદ કેજરીવાલે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. અરવિંદ કેજરીવાલે પત્રકારોને કહ્યું હતું કે 'હું આ ચૂંટણી પોતાના માટે નહી પરંતુ આમ આદમી માટે લડી રહ્યો છું. મે તેમના તરફથી મારી ઉમેદવારી નોંધાવી છે. હું ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખે ઉમેદવારી નોંધાવી છે કારણ કે મુખ્યમંત્રી દ્વારા ઉમેદવારી નોંધાવીની રાહ જોઇ રહ્યો હતો. હું તેમના વિરૂદ્ધ ચૂંટણી લડવા માંગતો હતો.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે તેમના વિરૂદ્ધ બે કેસ દાખલ છે. એક કેસ શીલા દીક્ષિતે દાખલ કરાવ્યો છે, જ્યારે બીજો કેસ પવન ખેડાએ દાખલ કરાવ્યો છે. બંને કેસમાં આરોપપત્ર દાખલ કરાવવામાં આવ્યાં છે. ઉપરોક્ત કેસ ઉપરાંત કેટલાક કેસ જનલોકપાલ વિધેયક માટે અણ્ણા હજારેના આંદોલન અને ગત વર્ષે 16 ડિસેમ્બરે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દાખલ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કેટલાક કેસ ચૂંટણી આચાર સંહિતાના ભંગ સાથે પણ જોડાયેલા છે.
ગઇકાલ સુધી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કુલ 403 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. પોલીસે અરવિંદ કેજરીવાલના માતા-પિતાને ચૂંટણી અધિકારીની ઓફિસમાં જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. અરવિંદ કેજરીવાલના માતા-પિતાએ આશા વ્યક્ત કરી હતી કે તેમનો પુત્ર સારું પ્રદર્શન કરશે. અરવિંદ કેજરીવાલની માતાએ કહ્યું હતું કે 'આપ' 47 સીટો જીતશે, જો કે અરવિંદ કેજરીવાલના પિતાએ સીટોની સંખ્યાને લઇને કોઇપણ જાતની અટકળો લગાવવાની મનાઇ કરી દિધી હતી.