10-10 કરોડમાં ધારાસભ્યોને ખરીદવાનું કેજરીવાલનું હતું ષડયંત્ર
નવી દિલ્હી, 31 માર્ચ: આમ આદમી પાર્ટી એક પછી એક સ્ટિંગના ઘેરામાં ઉતરતી જઇ રહી છે. પૂર્વ આપ નેતા રાજેશ ગર્ગે અરવિંદ કેજરીવાલ પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. ગર્ગનો આરોપ છે કે કેજરીવાલે અરૂણ જેટલી અને નિતિન ગડકરીના નામે તેમણે પોતાના ધારાસભ્યોને ખોટા ફોન કરાવ્યા અને તેમને 10-10 કરોડ રૂપિયાની લાલચ આપી.
ગર્ગે કેજરીવાલ પર જે પ્રકારે ચોંકાવનારો આરોપ લગાવ્યો છે તેના દ્વારા તેઓ એકવાર આરોપોમાં ઘેરાઇ ગયા છે. ગર્ગનો દાવો છે કે કેજરીવાલે નકલી ફોન કરાવીને ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા માટે 10-10 કરોડની ઓફર આપી છે. બાદમાં આ જ ફોન કોલનો હવાલો આપીને કેજરીવાલે ચૂંટણી દરમિયાન ભાજપી ધારાસભ્યોની ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો હતો.
ગર્ગે જણાવ્યું હતું કે મારી ફરિયાદ બાદ તે શખ્શની પોલીસે ધરપકડ કરી. ત્યાર બાદ મને કેજરીવાલના પીએ અને સંજય સિંહનો ફોન આવ્યો કે પોતાની ફરિયાદ પાછી લઇ લો. તે વ્યક્તિ આપણો જ છે અને તેને પોલીસ ખૂબ જ ત્રાસ આપી રહી છે.
રાજેશ ગર્ગે જણાવ્યું કે સરકાર બનવાના શરૂઆતી દિવસોમાં અમને ફોન કોલ આવવાના શરૂ થઇ ગયા હતા. અમારે ભાજપનું સમર્થન કરવાને બદલે 10 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી. વિધાયકોએ જણાવ્યું કે આ કોલ નિતિન ગડકરી અને અરૂણ જેટલીના ત્યાંથી આવતા હતા. બાદમાં મેં વાંચ્યું કે કેજરીવાલ કહી રહ્યા છે કે અમને ખરીદવાની કોશશ થઇ રહી છે.
ગર્ગ જણાવે છે કે તેની પાસે આરોપોના સબૂત પણ છે. તેમનું કહેવું છે કે મેં ફેક કોલ વિરુદ્ધ પોલીસમાં કેસ પણ દાખલ કર્યો હતો. પરંતુ મને કેજરીવાલ અને સંજય સિંહે ફરિયાદ પાછી લેવા જણાવ્યું. ગર્ગે જણાવ્યું કે બની શકે કે આ ફોન ગડકરીના ત્યાંથી આવતા હશે પરંતુ કેજરીવાલની સહમતિથી પ્રાઇવેટ નંબરોથી કરવામાં આવતા હતા. ગર્ગે પોતાના આરોપોના સમર્થનમાં પુરતા પુરાવા પણ આપવાની વાત કહી છે.