કોંગ્રેસના MLAનો લોચો : રાજીવને બદલે રાહુલ ગાંધીને બલિદાની ગણાવ્યા
નવી દિલ્હી, 28 ઓક્ટોબર : રવિવાર 27 ઓક્ટોબરે કોંગ્રેસના શહેઝાદા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરતા એક જાહેર સભાને સંબોધી હતી. પૂરા જોર શોર અને જોશ સાથે તેઓ પાછલા પાંચ વર્ષોમાં શીલા દિક્ષિતે કરેલા કાર્યોનો હિસાબ આપી રહ્યા હતા. લોકો પણ તેમની વાતો ગંભીરતાથી સાંભળી રહ્યા હતા. આ દરમિયાન મુશ્કેલી ત્યારે ઉભી થઇ જ્યારે તેમની જ પાર્ટીના એક ધારાસભ્યએ વિમાસણમાં પડી જઇને રાજીવ ગાંધીને બદલે રાહુલ ગાંધીને પાર્ટી માટે બલિદાન આપનારા ગણાવ્યા.
આ ધારાસભ્ય એ ભૂલી ગયા કે રાહુલ ગાંધી વર્તમાન સમયમાં પાર્ટીના ઉપાધ્યક્ષ છે અને પાર્ટી માટે પોતાના પ્રાણનું બલિદાન રાજીવ ગાંધીએ આપ્યું હતું. મંગોલપુરીમાં રાહુલ ગાંધીની રેલીમાં કોંગ્રેસના નેતાઓની જીભ લપસી ગઇ હતી.
રેલીમાં રાહુલના આગમનની રાહ જોઇ રહેલી જનતાને જતી રહેતી અટકાવવા માટે કોંગ્રેસના અનેક સ્થાનિક નેતાઓએ વારાફરથી ભાષણ આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જયકિશને ભૂલથી એવું કહ્યું કે "આ દેશ માટે રાહુલ ગાંધીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તેમના બલિદાનને કાયમ યાદ રાખવું જોઇએ."
આ રેલીમાં તેઓ એક માત્ર એવા કોંગ્રેસી નેતા ન હતા જેમની જીભ લપસી ગઇ હોય અને બોલવામાં લોચો પડ્યો હોય. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જે પી અગ્રવાલે રેલીમાં અરવિંદ લવલીને કેન્દ્રીય મંત્રી ગણાવી દીધા હતા. વાસ્તવમાં લવલી દિલ્હીના શહેરી વિકાસ મંત્રી છે. નેતાઓના આ પ્રદર્શને રેલીમાં તેમની સ્થિતિ હાસ્યાસ્પદ બનાવી દીધી હતી.