બંદૂકની અણીએ ધોળેદહાડે 5 મિનિટમાં 8 કરોડની દિલધડક લૂંટ
નવી દિલ્હી, 29 જાન્યુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરક્ષા લેવાની મનાઇ કરી દિધી હતી જેથી પોલીસના જવાનો માર્ગ પર સક્રિય રહે. પરંતુ મંગળવારે જે થયું તેનાથી સ્પષ્ટ થાય છે કે અરવિંદ કેજરીવાલના રાજમાં લુંટારા, બદમાશો અને બળાત્કારી દિલ્હીની ગલીઓ અને રસ્તા પર પોલીસથી વધુ સક્રિય છે. મંગળવારે સવારે લૂંટની એક મોટી ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ દક્ષિણ સ્થિત લાજપત નગર મેટ્રો સ્ટેશનની નજીક હોંડા સિટી કારનો રસ્તો રોકીને ડ્રાઇવરને બંધક બનાવી લીધો પછી 8 કરોડ રૂપિયા લૂંટી ફરાર થઇ ગયા.
મળતી માહિતી મુજબ ઘટના સવારે 9:30 વાગે બની હતી. પોલીસે જણાવ્યું હતું કે લુંટારાઓ વેગનઆર કારમાં બેસીને આવ્યા હતા. લૂંટ બાદ તે કારને ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઇ ગયા હતા. લુંટારાઓ જે કારમાં આવ્યા હતા તે કારનો નંબર UP-14 BJ-4610 છે. લુંટારાઓએ બનાવટી અકસ્માતનું બહાનું બનાવીને હોંડા સિટી કારના ડ્રાઇવરની સાથે ઝઘડો કર્યો. ત્યારબાદ તેને બંદૂકની અણીએ બંધક બનાવી લીધો. ડ્રાઇવરને ધક્કો મારી હોંડા સિટી કારને લઇને ફરાર થઇ ગયા.
પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો લુંટારાઓને સંખ્યા 5 હતી અને બધાની પાસે હથિયારો હતા, પોલીસ હજુ સુધી શોધી શકી નથી કે પૈસા કોના હતા અને આટલી બેદરકારીપૂર્વક પૈસા કેમ લઇ જવામાં આવતા હત. પોલીસે હોંડા સિટી કારના ડ્રાઇવર રાકેશ સાથે પૂછપરછ કરી. રાકેશે જણાવ્યું હતું કે તે કરોલ બાગમાં રહેતા એક વ્યક્તિને આ પૈસા પહોંચાડવા જઇ રહ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લુંટારાઓને આ અંગે જાણકારી હતી. લુંટારા હોંડા સિટી કારનો પીછો કરી રહ્યાં હતા. જોઇન્ટ સીપી વિવેક ગોગિયા આ કેસની તપાસ કરી રહ્યાં છે. આ પ્રકારની ઘટના 2012માં પણ સામે આવી હતી. તે સમયે લુંટારાઓએ ગાર્ડની હત્યા કરી વાનમાંથી 5.25 કરોડ રૂપિયા લુંટી લીધા હતા.