દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હી પરિવહન વિભાગમાં ફેસલેસ સેવા શરૂ કરી, તમામ કામ ઓનલાઈન કરાશે
રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે પરિવહન વિભાગની ફેસલેસ સેવાઓ શરૂ કરી છે. આજે (11 ઓગસ્ટ) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ યોજના શરૂ કરી છે.
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે પરિવહન વિભાગની ફેસલેસ સેવાઓ શરૂ કરી છે. આજે (11 ઓગસ્ટ) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ યોજના શરૂ કરી છે. ફેસલેસ સેવા દ્વારા, પરિવહન વિભાગની 30થી વધુ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થશે. દિલ્હીના લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક જેવા તમામ દસ્તાવેજો માટે RTO કચેરીમાં જવું પડશે નહીં.
દિલ્હીમાં પરિવહન વિભાગ સાથે સંબંધિત કામ જેમ કે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, સરનામું બદલવું, નોંધણી પ્રમાણપત્ર, ડુપ્લિકેટ RC, NOC, પરમિટ ટ્રાન્સફર, પેસેન્જર સર્વિસ વ્હીકલ બેઝ ઓનલાઇન રહેશે. આ યોજના શરૂ કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, અમે પરિવહન વિભાગમાં 'ફેસલેસ સેવાઓ' શરૂ કરી રહ્યા છીએ. ટેકનોલોજી અને આધુનિકતાની દિશામાં આ એક મોટું પગલું છે. હવે તમે ઘરે બેઠા ઓનલાઈન ટ્રાન્સપોર્ટ વિભાગનું તમામ કામ કરી શકો છો.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, હવે કોઈ કાગળ, ફાઈલ, દસ્તાવેજ મેળવવા માટે વચેટિયા કે ઓફિસમાં જવાની જરૂર રહેશે નહીં. તમારે માત્ર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અને વાહનનું ફિટનેસ ચેક કરાવવા માટે જ પરિવહન વિભાગમાં આવવું પડશે. આ કામ પરિવહન વિભાગ સાથે શરૂ થયું છે. હવે તમામ વિભાગોમાં દરેક કામગીરી ઓનલાઈન કરવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક પગલું છે, પહેલા આવી સુવિધાઓનો ઉપયોગ કરવા માટે લોકોને વચેટીયાઓ પાસે જવાની ફરજ પડતી હતી. આ નવો નિયમ આજથી અમલમાં આવ્યો છે, જે બાદ ઓફિસ-ફાઇલિંગ સિસ્ટમ સમાપ્ત થઈ ગઈ છે. હવે કોઈની પાસે જવાની જરૂર નથી, ફક્ત તમારા ફોન-કમ્પ્યુટર પર જ તમે આ સુવિધાઓનો લાભ લઈ શકો છો.
દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે જણાવ્યું કે, દિલ્હી સરકાર લાંબા સમયથી આ નવી વ્યવસ્થા માટે તૈયારી કરી રહી હતી, હવે જ્યારે તે શરૂ થઈ ગઈ છે, તો લોકોને ઝોનલ ઓફિસમાં લાઈનમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં.