મહિલા સાંસદો સાથેની ધક્કામુકી મામલે 8 મંત્રીઓએ આપ્યો જવાબ
રાજ્યસભામાં મહિલા સાંસદો સાથે કથિત ઝપાઝપીનો મામલો બુધવારના રોજ ગરમાયો હતો. જે બાદ ગુરુવારના રોજ સરકાર આક્ષેપોનો જવાબ આપવા માટે 8 કેન્દ્રીય મંત્રીઓની ટીમ લાવી હતી.
નવી દિલ્હી : રાજ્યસભામાં મહિલા સાંસદો સાથે કથિત ઝપાઝપીનો મામલો બુધવારના રોજ ગરમાયો હતો. જે બાદ ગુરુવારના રોજ સરકાર આક્ષેપોનો જવાબ આપવા માટે 8 કેન્દ્રીય મંત્રીઓની ટીમ લાવી હતી. કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, અર્જુન મેઘવાલ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, વી મુરલીધરન, અનુરાગ ઠાકુર અને પ્રહલાદ જોશીએ પત્રકાર પરિષદ યોજીને વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતા.
આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં અનુરાગ ઠાકુરે આરોપોને નકારી કાઢતા વિપક્ષના વલણને "શરમજનક" ગણાવ્યું હતું. ઠાકુરે જણાવ્યું કે, લોકો ગૃહમાં તેમના મુદ્દાઓ ઉઠાવવાની રાહ જોઈ રહ્યા હતા, જ્યારે વિપક્ષનો એજન્ડા અરાજકતા સર્જવાનો હતો. વિપક્ષને ન તો કરદાતાઓના પૈસાની ચિંતા હતી કે, ન તો લોકોની. સંસદમાં જે થયું તે શરમજનક હતું. મગરના આંસુ સારવાને બદલે વિપક્ષે દેશની માફી માંગવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, આગલા દિવસે કેટલાક સાંસદો ટેબલ પર ઉભા હતા. તેમને પોતાના પર ખૂબ ગર્વ હતો. તેમને વિચાર્યું કે, તેમને કંઈક મહાન કામ કરી રહ્યા છે. વીડિયો શૂટ કરવાની મંજૂરી નથી તેમ છતા તેમને આ ઘટનાનો વીડિયો બનાવીને ટ્વિટ કર્યો હતો.
જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ આને લોકશાહીની હત્યા ગણાવી છે. દેશ જોઈ શકે છે કે, તેમણે સંસદમાં શું કર્યું છે. જો તેમને જવાબદારીની કોઈ ભાવના હોય તો તેમણે દેશની માફી માંગવી જોઈએ. તેમજ અમે સ્પીકર પાસેથી માંગણી કરીએ છીએ કે આ અંગે કડક કાર્યવાહી થવી જોઈએ અને તે ફરી ન થવું જોઈએ.
શું હતી સમગ્ર ઘટના છે?
ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ રાજ્યસભામાં વિપક્ષની કેટલીક મહિલા સાંસદોએ ઝપાઝપીનો આરોપ લગાવ્યો હતો. મહિલા સાંસદોના જણાવ્યા અનુસાર પુરુષ માર્શલોએ તેમની સાથે છેડછાડ કરી હતી.
બુધવારે બનેલી ઘટના પર પ્રતિક્રિયા આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે, તેમણે તેમની 55 વર્ષની સંસદીય કારકિર્દીમાં ક્યારેય આવી વસ્તુ જોઈ નથી. પવારે તેને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો.
ગુરુવારના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વિપક્ષી દળોના નેતાઓએ રાજ્યસભામાં કેટલીક મહિલા સાંસદો સાથે કથિત ઝપાઝપીની ઘટનાનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેને લોકશાહીની હત્યા ગણાવી હતી. વિપક્ષી સાંસદોએ આ અંગે સરકાર સામે પ્રદર્શન કર્યું છે. આ સંદર્ભમાં વિપક્ષના નેતા ગુરુવારના રોજ ઉપરાષ્ટ્રપતિને મળ્યા અને તેમને એક પત્ર આપ્યો અને તેમને ઉપલા ગૃહમાં બનેલી ઘટના વિશે માહિતી આપી હતી.