ઇશરત અને તેના સાથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા: પૂર્વ IB અધિકારી
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: ઇશરત જહાં બનાવટી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇની ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપી બનાવવામાં આવેલા આઇબી અધિકારી રાજેન્દ્ર કુમારે કહ્યું છે કે ઇશરત અને તેના સાથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા અને અમારી કાર્યવાહી આતંકવાદને અટકાવવા માટે કરવામાં આવી છે.
તેમને એક સમાચાર ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમે ગીધ નથી જે નિર્દોષોને મારીએ. રાજેન્દ્ર કુમારે દાવો કર્યો હતો કે તેમની પાસે સીબીઆઇની દલીલને ખોટી સાબિત કરવા માટે પુરતા પુરવા પણ છે, જો કે તેમને એમપણ કહ્યું હતું કે હજુસુધી તેમણે ચાર્જશીટની નકલ જોઇ નથી. તેમણે કહ્યું હતું કે મને ચાર્જશીટની કોપી મળી નથી અને હું ચાર્જશીટની વિરૂદ્ધ હાઇકોર્ટમાં જઇશ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ થોડા અઠવાડિયા પહેલાં બીજી ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આઇબીના મોટા ઓફિસરોના નામ સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં આઇબીના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાજેન્દ્ર કુમારને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ચાર્જશીટમાં આઇબીના ત્રણ હાલના અધિકારીઓના નામ પણ સામેલ છે. આ ચાર્જશીટમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રાજ્ય મંત્રી અને નરેન્દ્ર મોદીના અંગત અમિત શાહનું નામ નથી.
ઇશરત જહાંના એન્કાઉન્ટરના 9 વર્ષ બાદ જુલાઇ 2013માં સીબીઆઇએ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં એન્કાઉન્ટરને બનાવટી ગણાવતાં સાત પોલીસ અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા.