વારાણસીથી મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે કેજરીવાલ!
નવી દિલ્હી, 3 માર્ચ: આમ આદમી પાર્ટીની કાનપુર રેલીમાં રવિવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કરનાર અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણીમાં તેમને પડકાર ફેંકી શકે છે. આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓના નિવેદન કંઇક તે તરફ ઇશારો કરે છે. આપના નેતા મનિષ સિસોદિયાએ રવિવારે કાનપુર રેલી દરમિયાન કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે તો અરવિંદ કેજરીવાલ તેમના વિરૂદ્ધ ઉતરશે. જો કે આપ દ્વારા આ અંગે કોઇ આધિકારીક જાહેરાત કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી માહિતી મુજબ આપ ભલે તેની જાહેરાત ન કરી રહી હોય, પરંતુ નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ અરવિંદ કેજરીવાલને ઉતરવાની તૈયારી ચાલી રહી છે. મનિષ સિસોદિયા ઉપરાંત આપના નેતા સંજય સિંહે પણ કહ્યું હતું કે લોકો ઇચ્છે છે કે અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે. અમે જનભાવનાઓનું સન્માન કરીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડે તેવી ચર્ચા છે. જો કે સમાચાર એવા પણ છે કે વારાણસીથી ભાજપના સિટિંગ એમપી મુરલી મનોહર જોશી આ સીટને ખાલી કરવા માટે તૈયાર નથી. આપ નેતાઓના આ નિવેદનોથી અરવિંદ કેજરીવાલ Vs નરેન્દ્ર મોદીની અટકળોને હવા આપી દિધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવાની ચર્ચાઓ વચ્ચે ગત દિવસોમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આપનો કોઇપણ ધારાસભ્ય લોકસભા ચૂંટણી લડશે નહી. એવામાં માનવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલ સંભવત દિલ્હી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, પરંતુ સંજય સિંહ અને મનીષ સિસોદિયાના નિવેદનોથી ફરી અટકળો તેજ કરી દિધી છે.