નવી દિલ્હી, 15 માર્ચ: ભાજપે પોતાના ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી દિધી છે, પરંતુ પોતાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ચૂંટણીની સીટને લઇને અત્યાર સુધી સસ્પેંસ યથાવત રાખ્યું છે. નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે તેના પર ચર્ચાઓ જોરશોરથી ચાલતી રહી, પરંતુ આજે સસ્પેંસ પરથી પડદો ઉઠી જશે. ભાજપમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવતી વખતે થયો હતો કંઇક એવો જ વિવાદ તેમની સીટને લઇને સામે આવી રહ્યો છે.
સૂત્રોનું માનીએ તો નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી સીટ જ લોકસભાની ચૂંટણી લડશે. જો કે બનારસ સીટના જુના જોગી મુરલી મનોહર જોશી પાર્ટીના નિર્ણયથી નારાજ છે. પરંતુ ભાજપનું માનવું છે કે જો નરેન્દ્ર મોદી વારાણસી સીટ પરથી ચૂંટણી લડે તો આખા પૂર્વાંચલની સીટો પર ફાયદો થશે. યૂપીની સાથે બિહારની સીટો પર પણ ભાજપને કોર વોટ બેંકને યોગ્ય સંકેત જશે. માનવામાં આવે છે કે આજે યોજાનારી બેઠક બાદ નરેન્દ્ર મોદીની સીટને લઇને જાહેરાત કરી દેવામાં આવશે.
તમામ વિવાદો અને અટકળોને વિરામ આપતાં ભાજપ નરેન્દ્ર મોદીને વારાણસીથી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને લખનઉથી લડવાની જાહેરાત કરશે. પાર્ટીના બંને ટોચના નેતાઓના નામની સાથે-સાથે ભાજપ ઉત્તર પ્રદેશના પહેલા તબક્કામાં જે સીટો પર ચૂંટણી યોજાવવાની છે, તેમના ઉમેદવારોની જાહેરાત કરી દેશે. આજની બેઠક બાદ નક્કી કરવામાં આવેલા ઉમેદવારોના નામ પર મોહર લાગી જશે.
કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીના વારાણસી ગયા પછી પાર્ટીના વડીલ નેતા મુરલી મનોહર જોશીને કાનપુરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે અને અહીં પર નજર જમાવી બેઠેલા કલરાજ મિશ્રને શ્રાવસ્તી અથવા જૌનપુર શિફ્ટ કરવામાં આવી શકે છે.