BJP-RSSની બેઠકમાં રામ મંદિર અને PM પદના ઉમેદવાર અંગે કોઇ ચર્ચા નહી
રાજધાનીના રાજદૂત માર્ગ પર પાર્ટીના એક સચિવના ઘરે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી, વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, અનંત કુમાર અને મહાસચિવ રામલાલે ભાગ લીધો હતો.
સંઘ તરફથી આ બેઠકમાં મહાસચિવ સુરેશ ભૈયાજી જોશી, સંયુક્ત મહાસચિવ સુરેશ સોની, મદનદાસ દેવી, વી સતીશ, સૌદાન સિંહ અને દત્તાત્રેય હોસબોલેએ ભાગ લીધો હતો. સંઘ પ્રમુખ મોહન ભાગવત શહેરમાં હતા પરંતુ તેમને આ બેઠકમાં ભાગ લીધો ન હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકામાં થયેલ ચર્ચા-વિચારણા અંગે મોહન ભાગવતને માહિતગાર કરવામાં આવ્યાં હતા.
બેઠકમાં થયેલી ચર્ચા-વિચારણાના મુદ્દાઓ અંગે ભલે ભાજપ તથા સંઘ કશું જ કહેવાથી બચે છે પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું વડાપ્રધાન પદના ઉમેદવારનો મુદ્દો ઉઠ્યો ન હતો. ભાજપમાં એક વર્ગ આ અંગે ખૂબ જ ઉત્સુક છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે જેથી ચુંટણીમાં પાર્ટીને ફાયદો થાય. સંઘ પણ નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી રહ્યો છે પરંતુ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા તે મૌન સાધી રહ્યાં છે.