સરબજીતની હાલત વધુ બગડી, બચવાની શક્યતા નહીવત
નવી દિલ્હી, 29 એપ્રિલ: પાકિસ્તાની ડોક્ટરોએ કહ્યું હતું કે કોમામાં જતા રહેલા ભારતીય કેદી સરબજીત સિંહની સ્થિતીમાં કોઇ સુધાર નથી અને તેની બચવાની સંભાવના નહિવત છે. બીજી તરફ ભારથી આવેલા તેમના પરિવારજનોએ તેની સારવાર માટે ભારત મોકલવાની માંગણી કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટરોનું કહેવું છે કે સરબજીત સિંહની સ્થિતીમાં કોઇ સુધારાના સંકેત જોવા મળતા નથી. તેને બે દિવસ પહેલાં માથામાં ગંભીર ઇજા પહોંચ્યાં બાદ લાહોરના જિન્ના હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. ડોક્ટરોનું માનવું છે કે 49 વર્ષીય સરબજીત સિંહની બચવાની સંભાવના નહીવત છે કારણ કે તેના માથમાં વધુ ઘા છે જેથી તે કોમામાં છે.
ભારતથી લાહોર પહોંચ્યા બાદ સરબજીતની બહેન દલબીર કૌર, પત્ની સુખપ્રીત અને પુત્રીઓ સ્વપ્નદીપ અને પૂનમ હોસ્પિટલમાં તેને જોવા પહોંચી હતી. સરકાર સંચાલિત જિન્ના હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું કે સરબજીત સિંહની બહેન, પત્ની અને બંને પુત્રીઓને આઇસીયૂની બારીના માધ્યમથી તેને જોવાની પરવાનગી આપવામાં આવી હતી. પરિવારના લોકોને સરબજીત સિંહના નજીક જવા દિધા ન હતા કારણ કે લોકોના સંપર્કમાં આવવું દર્દીન સ્વાસ્થ્ય માટે સારું નથી. સરબજીત સિંહની બહેન દલબીર કૌરે કહ્યું હતું કે સરબજીત સિંહના ચહેરા પર સોજા છે, તેને સળિયા વડે મારવામાં આવ્યો છે, તે બેહોશ છે અને તેની સ્થિતી ગંભીર છે. સરબજીત સિંહની પત્ની સુખપ્રીતે પાકિસ્તાની અધિકારીઓને અપીલ કરી છે તેના પતિની સારી સારવાર માટે ભારત મોકલવામાં આવે.
ભારતીય હાઇ કમીશનના અધિકારીઓ સરબજીત સિંહને જોવા માટે આજે બીજી વાર હોસ્પિટલ આવ્યા હતા. પાકિસ્તાની તંત્રની પ્રારંભિક મનાઇ બાદ ભારતીય રાજનયિકોને સરબજીતને જોવાની પરવાનગી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અધિકારી સરબજીત સિંહને જોવા માટે લાહોર ગયા હતા. તેની હાલત એવી જ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે સરબજીત પર તેની બેરેકમાં છ કેદીઓએ હુમલો કર્યો હતો. આ બેરેક કોટ લખપત જેલના સૌથી સુરક્ષિત સ્થળોમાં સામેલ છે. તેના માથા પર ઇંટ વડે હુમલો કર્યો હતો. તેના ચહેરા, ગરદન અને ધડ પર બ્લેડ તથા ઘીના ટીનના ટુકડાઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે ડોક્ટરોએ સરબજીત સિંહના માથામાં ત્રણ સેન્ટીમીટરથી મોટો ખૂન ગઠ્ઠો જોવા મળ્યો હતો. આ એ વાતનો સંકેત છે કે દરદીને સર્જરીની જરૂરિયાત છે. અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટરોનું કહેવું છે કે ગ્લાસગો કોમા સ્કેલ (જીસીએસ) પર સરબજીત સિંહની સ્થિતી પાંચ માપવામાં આવી છે. જીસીએસ પર સૌથી ઓછું સ્તર ત્રણ હોય છે અને સૌથી વધુ 15 હોય છે.
અધિકારીઓ દ્રારા રચવામાં આવેલ મેડિકલ બોર્ડ માટે સરબજીત સિંહની સારવાર ગંભીર ન્યૂરોસર્જિકલ પડકાર છે. મેડિકલ બોર્ડે આજે સરબજીતની તપાસ બાદ કહ્યું હતું કે આવી સ્થિતીમાં દરદીની સર્જરી કરવી સંભવ નથી. મેડિકલ બોર્ડમાં ન્યૂરોસર્જન અંજુમ હબીબ વોહરા, જિન્ના હોસ્પિટલના ન્યૂરો વિભાગના પ્રમુખ ઝફર ચૌધરી અને ન્યૂરો ફિઝિશિયન નઇમ કસૂરી છે. સુરક્ષાના કારણોને લીધે જિન્ના હોસ્પિટલ સરબજીત માટે અલગ આઇસીયૂની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને આ વિસ્તારમાં જવાની મનાઇ છે અને મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ ગોઠવવામાં આવ્યાં છે.