મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં કર્યા 232 કરોડના કામોના ઈ-લોકાર્પણ, આવાસોના ઈ-ડ્રો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજકોટમાં 232.50 કરોડના વિકાસ કાર્યોનુ ઈ-લોકાર્પણ કર્યુ.
રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે 10 વાગે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે પ્રમુખ સ્વામી ઑડિટોરિયમમાં 232.50 કરોડના વિકાસ કાર્યોનુ ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહુર્ત કર્યુ તેમજ આવાસ યોજનાઓના ડ્રો પણ કર્યા. આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. ત્રીજી લહેરની પણ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રસીકરણ ઝડપી બનાવવા માટે રોજ 3 લાખ લોકોને રસી મૂકવામાં આવી રહી છે. 50 ટકાથી વધુ રસીકરણ થવુ ખૂબ જરૂરી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે એઈમ્સનુ કામ ઝડપથી થઈ રહ્યુ છે.
દર્દીઓએ એઈમ્સ હોસ્પિટલ પહોંચવા માટે ખંઢેરી રેલવે સ્ટેશન મહત્વનુ રહેશે માટે આ સ્ટેશનને વિકસાવવામાં આવશે અને ભારતના નક્શામાં તેને સ્થાન આપવામાં આવશે તેમજ એઈમ્સ હોસ્પિટલ સાથેની કનેક્ટિવિટી માટે વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ કહ્યુ કે લાઈટ હાઉસ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી મોદીને ડ્રીમ પ્રોજેક્ટ છે.
એકમાત્ર ગુજરાતે તેનુ કામ પૂરુ કર્યુ છે જ્યારે બીજા રાજ્યોએ તો લાઈટ હાઉસ પ્રોજેક્ટનુ કામ શરૂ પણ કર્યુ નથી. આ કાર્યક્રમમાં મેયર ડૉ. પ્રદીપ દવ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્યો, કોર્પોરેટરો, અધિકારીઓ અને આવાસ યોજનાના લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
