રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે તિરંગા યાત્રા
રાજકોટ શહેરમાં 12 ઓગસ્ટના રોજ લાખો નાગરિકોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે.
રાજકોટ શહેરમાં 12 ઓગસ્ટના રોજ લાખો નાગરિકોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે વ્યક્ત કર્યો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના જણાવ્યા પ્રમાણે, આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 12 ઓગસ્ટના રોજ વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બહુમાળી ભવન ચોક ખાતે સવારે 8 કલાકથી દેશભક્તિ જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે.
મહાત્મા ગાંધીજીના સંભારણા જ્યાં જોડાયેલા છે, એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ યાત્રાનું સમાપન થશે
બાદમાં સવારે 9 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા નવસારીના સાંસદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાની શરૂઆત થશે. મહાત્મા ગાંધીજીના સંભારણા જ્યાં જોડાયેલા છે, એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ યાત્રાનું સમાપન થશે.
આ યાત્રામાં પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્સ, પોલીસ બેન્ડ, એનસીસી બ્રહ્માકુમારી તથા ગુરુકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાશે.
આ ઉપરાંત ધારાસભ્યો, સાંસદો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આરકે યુનિવર્સિટી, મારવાડી અને આત્મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડૉક્ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરે જોડાઈને તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરશે.
આ યાત્રાનાં રૂટ પર વિવિધ સ્થળોએ સ્ટેજ પરથી દેશભક્તિ જગાવતા વિવિધ કાર્યક્રમો રજૂ કરીને યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. રાજકોટ કલેક્ટરે અપીલ કરી છે કે, યાત્રામાં જોડાનાર તમામ દેશપ્રેમીઓ પૂરા આદર અને સન્માન સાથે જમણા હાથમાં તિરંગો લઈને ચાલે.
તિરંગાની વ્યવસ્થા વહીવટી તંત્ર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવનારી છે. નાગરિકો ફ્લેગ કોડ મુજબનો તિરંગો જાતે પણ લાવીને ઉત્સાહ પૂર્ણ જોડાઈ શકે છે.
તેમણે તમામ નાગરિકોને તિરંગા યાત્રામાં જોડાવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ. માત્ર રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમાં લોકો જોડાશે અને આ યાત્રા એક ઐતિહાસિક સંભારણું બની રહેશે.