વલસાડના ધરમપુરમાં કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું!
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આદર્શ નિવાસી શાળામાં પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળનો કાર્યક્રમ યોજાયો હતો.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આદર્શ નિવાસી શાળામાં પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં 2.07 કરોડના 25 વિકાસના કાર્યોનું ઇ-લોકાર્પણ તથા 12.51 કરોડના 46 કામોનું ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્કા શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ માટે ડબલ એન્જિન વાળી સરકાર દ્વારા ગુજરાત વિકાસના નવતર સીમાડા સર કરી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કાર્યોને પ્રજાજનો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ધરમપુર પાલિકા પ્રમુખ જ્યોત્સના દેસાઈએ જણાવ્યું કે, દેશમાં કૃષિથી માંડી આંતર માળખાકીય સવલતો શિક્ષણ, રોજગાર, પરિવહન, પ્રવાસન સહિત તમામ ક્ષેત્રે ગુજરાત વિકાસની સફળતાના શિખરે પહોચ્યુ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત વિકાસની ગાથા દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરાયું હતું. આ અવસરે પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, ધરમપુર મામલતદાર એફ.બી.વસાવા, તાલુકા પ્રમુખ રમીલા ગાવિત તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.