Mahashivratri 2021: ગુજરાતમાં આ રીતે મનાવાઈ રહી છે મહાશિવરાત્રિ, ઠેર-ઠેર રુદ્રાભિષેક અનુષ્ઠાન
ગુજરાતમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભક્તોમાં મહાશિવરાત્રિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરતઃ આજે મહાશિવરાત્રિના પર્વને શિવજી અને પાર્વતીના વિવાહ ઉત્સવ રૂપે મનાવવામાં આવે છે. દુનિયાભરના શિવભક્તો આજે હર્ષોલ્લાસથી મહાશિવરાત્રિ મનાવી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારે કોવિડ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ઘણા શહેરોમાં લોકો તેને ફોલો કરીને ઉત્સવ મનાવી રહ્યા છે. શિવાલયોમાં આજે સવારથી મોડી રાત સુધી ભોલેનાથ પ્રત્યે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા, ભક્તિ તેમજ આસ્થાની ત્રિવેણી વહેતી જોવા મળશે.
કોરોના ગાઈડલાઈન્સ પાલન કરવાની સૂચના
સુરત મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યુ છે કે ભગવાન શિવના પર્વ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈન્સનુ પાલન સારી રીતે કરવામાં આવે. આના માટે ખાસ કરીને શિવાલય, મંદિર, આશ્રમ તેમજ મઠોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા બુધવારે રાતે શહેરમાં મુખ્ય શિવાલયોમાં બાબા ભોલેનાથનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો. વળી, શિવાલયોને રાતે રોશનીથી શણગારવામાં આવ્યા. સુરત સ્થિત કતારગામના કંતારેશ્વર મહાદેવ મંદિર, રુંઢ ગામના રુંઢનાથ મહાદેવ મંદિર, પાલ રોડ પર અટલ આશ્રમ ઉપરાંત ઓલપાડમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર, અઠવાલાઈન્સના ઈચ્છાનાથ મહાદેવ મંદિર, ઉમરા ગામના રામનાથ ઘેલા, વરાછાના કર્મનાથ મહાદેવ મંદિર, બારડોલી પાસે ગલતેશ્વર મહાદેવ મંદિરમાં આજે ખાસ્સી ભીડ ઉમટી રહી છે.
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન
મહાશિવરાત્રિના પર્વના કારણે આજે સવારથી જ શ્રદ્ધાળુઓ જલાભિષેક, રુદ્રાભિષેક સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરી રહ્યા છે. વળી, ઘણા સ્થળોએ ચાર પહેરની પૂજા શુક્રવારે સવાર સુધી ચાલશે. સુરતના ઉધના મુખ્ય માર્ગ પર શ્રીદક્ષિણાભિમુખી શનિ-હનુમાન મંદિર આશ્રમ પ્રાંગણમાં મહાશિવરાત્રિ મહાપર્વ સ્વામી વિજયાનંદ મહારાજની આગેવાનીમાં પર્વ મનાવી રહ્યા છે. તેમના તરફથી જણાવવામાં આવ્યુ કે 24 કલાકના રુદ્રાભિષેક અનુષ્ઠાન ગુરુવારે સવારે પાંચ વાગ્યાથી શરૂ થયો છે. શ્રદ્ધાળુઓ અત્યારે નર્મદેશ્વર મહાદેવના દર્શન, પૂજન, અભિષેક વગેરેના આયોજનમાં પણ ભાગ લઈ રહ્યા છે. આ તરફ મહા શિવરાત્રિ મહાપર્વના અવસર પર ગુજરાતમાં રાજસ્થાન જાટ સમાજ તરફથી પણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
આ રીતે કરો શિવપૂજા
આ વખતે મહાશિવરાત્રિ પર્વ 111 વર્ષ બાદ અંગારક યોગમાં છે. શિવપૂજા માટે તમે શિવ મંદિર જઈને તાંબાના લોટામાં ગંગાજળ ચડાવો. જળમાં ગંગાજળ, ચોખા, સફેદ ચંદન મિલાવીને શિવલિંગ પર ઓમ નમઃ શિવાય બોલીને અર્પણ કરો. તાંબાના લોટોથી જળ ચડાવ્યા બાદ શિવલિંગ પર ચોખા, બિલીપત્ર, સફેદ વસ્ત્ર, જનોઈ અને મિઠાઈનો પ્રસાદ ધરાવો. શિવજીનો ધૂપ, દીપ અને કપૂરથી આરતી કરીને પ્રસાદ ગ્રહણ કરો. જરૂરિયાત મંદ લોકોને ધન, દૂધ, વસ્ત્ર અને અનાજનુ દાન પણ કરી શકો છો.