સુરત મહાનગરપાલિકાએ એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ કાઉન્ટર ગોઠવ્યું
સુરતમાં કોરોનાવાયરસ ગત વર્ષની જેમ કહેર ના મચાવે તે માટે સુરત મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
સુરતઃ કોરોનાવાયરસનો બીએફ7 વેરિયન્ટે ચીનમાં તબાહી મચાવી છે અને હવે ગુજરાત અને ઓરિસ્સામાંથી પણ કોરોનાવાયરસના નવા વેરિયન્ટ BF.7ના કેસ મળી આવ્યા છે ત્યારે એરપોર્ટ પરથી કોઈ સંક્રમિત વ્યક્તિ શહેરમાં ના પ્રવેશી શકે તે માટે મહત્વનું પગલું ભર્યું છે.
જણાવી દઈએ કે સુરત એરપોર્ટ પર સુરત મહાનગરપાલિકાએ RT-PCR ટેસ્ટિંગ કાઉન્ટર ગોઠવ્યું છે. કોરોના સામેની લડતના ભાગરૂપે સુરત કોર્પોરેશને આ પગલું ભર્યું છે, અને છેલ્લા થોડાક દિવસોમાં સુરતમાં એકેય કેસ મળ્યા નથી.
સુરત એરપોર્ટ પર ઉભું કરાયેલ કાઉન્ટર પર ફ્રી ટેસ્ટિંગ હાથ ધરાશે, જો કે બધા પેસેન્જરનું ટેસ્ટિંગ નથી કરાઇ રહ્યું, 2 ટકા લોકોને રેન્ડમલી સિલેક્ટ કરી તેમનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ઉપરાંત સ્થાનિક પ્રવાસીઓ માટે સ્વૈચ્છિક હશે તેમના માટે ફરજીયાત ટેસ્ટિંગ નથી.
હેલ્થ ઑફિસરે જણાવ્યું, "જો પ્રવાસીમાં કોરોનાવાયરસ પોઝિટિવ જણાય તો જીનોમ સિક્વન્સિંગ માટે તેમના સેમ્પલ મોકલવામાં આવશે. તથા જો વધુ સારવાર અથવા ટેસ્ટિંગની જરૂર જણાશે તો તે પણ કરશું અને પ્રવાસીનો ટ્રેક પણ અમે રાખશું."
સુરત મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય વિબાગના 4 સભ્યોની ટીમ 24 કલાક માટે એરપોર્ટ પર ગોઠવેલા ટેસ્ટિંગ કાઉન્ટરે ડ્યૂટી પર રહેશે. ટીમમાં એક લેબ ટેક્નિશિયન, એક નર્સ, એક સેનિટરી ઈન્સપેક્ટર અને એક હેલ્પર હશે. ત્રણ શિફ્ટમાં ચાર સભ્યોની આ ટીમ 24 કલાક એરપોર્ટ પરના કાઉન્ટર સેન્ટરે કાર્ય કરશે.
આ દરમિયાન શનિવારે સુરત મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ SMIMER હોસ્પિટલ ખાતે ઑક્સિજન ટેન્કની મોક ડ્રીલ યોજવામાં આવી હતી. સરકારના દિશાનિર્દેશો મુજબ હોસ્પિટલ બેડ્સ, વેંટીલેટર્સ અને જરૂરી દવાઓ સરકારી દવાખાને તૈયાર રાખવામાં આવી રહી છે.