નર્સિંગ હેડ અને ઇમરજન્સી વોર્ડના ઈન્ચાર્જ પ્રસૂતાના વહારે આવ્યા
Surat News : નવી સિવિલ હોસ્પિટલની ટીમની ત્વરિત સૂઝબૂઝથી નવસારી બજારની ખાતે રહેતા પ્રસૂતા માતા પૂનમબેન રાઠોડ અને નવજાત બાળકને નવજીવન મળ્યું છે.
રૂટિન ચેકઅપ માટે આવેલી આ સગર્ભા મહિલાને લેબર પેઈન થતા સિવિલના ઓર્થોપેડિક વિભાગની બહાર જ અસહ્ય પીડા સાથે બેભાન થઈ હતી, જ્યાં નર્સિંગ અગ્રણી અને ઈમરજન્સી વોર્ડના ઈન્ચાર્જ ઈકબાલ કડીવાલા તાત્કાલિક દોડી આવ્યા હતા, અને આગવી સૂઝબુઝથી નર્સિંગ બહેનો અને સફાઈ કર્મચારી બહેનોને બોલાવી સાડી-દુપટ્ટાથી પ્રસૂતાને કોર્ડન કરી હતી, ત્યારબાદ તાત્કાલિક ગાયનેક તબીબને બોલાવી પ્રસૂતિ કરાવી હતી અને મહિલાને જીવના જોખમથી ઉગારી હતી. જન્મ સમયે બાળક રડતું ન હોવાથી સ્ટાફનર્સના પ્રયાસોથી રડતું થતા બાળકને પણ નવજીવન મળ્યું છે. હાલ નવજાત બાળક અને માતા બન્ને સ્વસ્થ છે.

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ અને સિવિલના ઈમરજન્સી વોર્ડના ઈન્ચાર્જ ઈકબાલ કડીવાલાએ જણાવ્યુ હતું કે, નવસારી બજાર ખાતે રહેતા સગર્ભા પૂનમબેન રાઠોડને રૂટિન ચેકઅપ દરમિયાન પ્રસૂતિની પીડા ઉપડી હતી, દુઃખાવો અસહ્ય બની જતા તેઓ ઓર્થો વિભાગની બહાર જ બેસી ગયા હતા. જ્યાં બાળકનો જન્મ થઈ ગયો હતો.
અન્ય લોકો ટોળે વળીને જોઈ રહ્યા હતા, પણ કોઈને મદદ કરવાની સૂઝ પડતી ન હતી. તેમની સાથે આવેલા સાસુ લેબર વોર્ડમાં જઈ ડોક્ટરને બોલાવવા ગયા એ દરમિયાન મારી નજર અચાનક ઓર્થો વિભાગની બહાર કણસી રહેલી આ મહિલા પર પડી હતી. તરત જ નર્સિંગ બહેનોને બોલાવી હતી.
આ દરમિયાન મહિલા બેભાન હતા, અને નવજાત બાળક જન્મતા સાથે રડ્યું ન હતું, જે બાળક માટે જોખમી હતું, પરંતુ સ્ટાફનર્સ હંસાબેન વસાવા બાળકને સ્ટ્રેચર પર લઈને બાળકને થપથપાવતા બાળક રડતું થયું હતું. મેડિકલ કોલેજના ડીન ડૉ. રાગિણી વર્માને જાણ કરી ગાયનેક વિભાગમાંથી ડૉ. અંજલિએ માતાને ટેકલ કરી સારવાર આપવા સાથે લેબર વોર્ડમાં ખસેડ્યા હતા.
લેબર રૂમમાં પહોંચી શકાય એમ ન હોવાથી રંજનબેન ચૌધરી અને જશોદાબેન ગામીત સહિત સ્ટાફ બહેનો, નર્સ બહેનોએ સાડીઓ અને ઓઢણીઓ વડે પ્રસૂતાને કોર્ડન કરી સફળ પ્રસૂતિ કરાવી હતી.
નોંધનીય છે કે, નવી સિવિલમાં નોર્મલ ડિલીવરી સૌથી વધુ થાય છે, જેના પાયામાં ગાયનેક વિભાગની તબીબી ટીમ અને સ્ટાફની પ્રશંસનીય કામગીરી રહી છે, ત્યારે સિવિલ સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી પ્રસુતા માતા અને નવજાત બાળકને નવી જિંદગી મળી છે.












Click it and Unblock the Notifications
