વલસાડના બે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાશે!
રાજ્ય સરકાર તરફથી દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ માટે રાજ્યના ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરાઈ છે.
રાજ્ય સરકાર તરફથી દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ માટે રાજ્યના ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરાઈ છે. વલસાડ જિલ્લાના બે શિક્ષકો ધરમપુર તાલુકાના માલનપાડાની નવીનગરી પ્રાથમિક શાળાના મહેન્દ્રસિંહ પરમાર અને વલસાડ તાલુકાની બાઈ આંવા બાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક ધનસુખ ટંડેલની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો માટે પસંદગી કરવામાં આવી છે. આ બન્ને શિક્ષકોને ૫ સપ્ટેમ્બર શિક્ષકદિનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાશે.
માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ પરમાર ૩૬ વર્ષની પ્રભાવી, નિર્વિવાદ અને ગૌરવશાળી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. તેમણે અત્યારસુધી ત્રણ પ્રાથમિક શાળાઓમાં ઉપશિક્ષક અને મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી છે. તેમણે નવીનગરી પ્રાથમિક શાળાને સર્વભાગીદારીથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ પણ મેળવ્યો હતો. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેઓ શેક્ષણિક કાર્ય સાથે લોકસેવામાં પણ અગ્રેસર છે, તેમણે ૨૪ રક્તદાન શિબીરોનું આયોજન કરી અત્યાર સુધી તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ૪૫૦થી વધુ બોટલ રક્ત એકત્રિત કર્યું છે.
માધ્યમિક શાળા કેટેગરીમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા વલસાડની બાઈ આંવાબાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક ધનસુખ ટંડેલ છેલ્લા ૨૦ વર્ષોથી વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. N.C.C.માં ઉત્કૃષ્ઠ દેખાવને કારણે તેમની પ્રજાસત્તાકદિન પ્રધાનમંત્રીની રેલીમાં ભાગ લેવા માટે પસંદગી કરાઈ હતી. તેમની અધ્યક્ષતામાં શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સફળતાઓ મેળવી છે. તેમને ૨૦૧૯માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
મહેન્દ્રસિંહ પરમાર અને ધનસુખ ટંડેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી થવા બદલ વલસાડ જિલ્લા શિક્ષકગણમાં આનંદ વ્યાપ્યો હતો અને સર્વે લોકોએ બન્ને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.