થિમ્પૂ, 7 નવેમ્બર: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બે દિવસીય ભૂતાન યાત્રા પર આજે અત્રે આવી પહોંચ્યા છે. ભૂતાન નરેશ તથા તેમની પત્નીએ પ્રોટોકોલને તોડીને હવાઇ મથક પર તેમની આગેવાની કરી છે.
રાષ્ટ્રપતિની આગેવાની માટે ખાસ વ્યવસ્થા તરીકે ભૂતાન નરેશ જિગ્મે નમગ્યેલ વાંગચુક અને તેમની પત્ની પરંપરાથી હટીને પોતે હવાઇ મથક પર પહોંચ્યા. કુલ 26 વર્ષના અંતરાલમાં કોઇ ભારતીય રાષ્ટ્રપતિની આ પહેલી ભૂતાન યાત્રા છે. માર્ગમાં હજારો શાળાના બાળકો ભારતીય અને ભૂતાની ધ્વજ લઇને ઊભા હતા.
આ યાત્રા દરમિયાન મુખર્જી દ્વિપક્ષીય સંબંધોને એક નવા સ્તર સુધી વિસ્તાર આપવાના ઉદ્દેશ્યથી ભૂતાન નરેશ વાંગચૂક અને વડાપ્રધાન શેરિંગ તોબગેની સાથે સાથે અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. કહેવાય છે કે મુખર્જીની આ યાત્રા દરમિયાન શિક્ષણના ક્ષેત્રમાં ઘણી સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવશે.
રાષ્ટ્રપતિની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું છે જેમાં રેલ રાજ્ય મંત્રી મનોજ સિન્હા, સંસદ સભ્ય મુખ્તાર અબ્બાસ નકવી, અનિલ શિરોલે, મહેન્દ્ર નાથ પાંડેય (તમામ ભાજપા), ગૌરવ ગોગોઇ (કોંગ્રેસ) તથા કેટલાંક શિક્ષણ અને એકેડેમિક સંસ્થાઓના અધિકારી અને પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે ભારત પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયને પુનર્જીવિત કરવાના આકાંક્ષી છે અને આ સિલસિલામાં ભૂતાનથી સહયોગ માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવશે.
રાષ્ટ્રપતિની ભૂતાન યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દેશની મુલાકાત કર્યાના પાંચ મહિના બાદ થઇ રહી છે. મોદીની પણ આ વડાપ્રધાન તરીકેની પહેલી ભૂતાન યાત્રા હતી. રાષ્ટ્રપતિ ભૂતાન નરેશ અને અત્રેના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. આ મુલાકાત પરસ્પર હિતોથી જોડાયેલ તમામ મુદ્દાઓ પર તથા અમારા નજીકના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરવાની એક તક પ્રદાન કરશે. ભૂતાનની સાથે ભારતના વિશેષ સંબંધ રહ્યા છે જેને ઉત્તરોત્તર ભૂતાન નરેશો અને ભારતીય નેતાઓએ બનાવી રાખ્યો અને આગળ વધાર્યો છે.