તાલિબાને કાબુલ પર કબજો મેળવી લીધા પછી લોકોમાં ફફડાટ, દેશ છોડી ભાગવા માટે એરપોર્ટ પર લોકોની ભીડ
કાબુલમાં અફડાતફડીનો માહોલ થઈ ગયો છે. કાબુલ પર તાલિબાનો કબ્જો લઈ લીધા બાદ નાગરિકોમાં ડરનો માહોલ છે.
કાબુલઃ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનને તાલિબાને રવિવારે પોતાના કબ્જામાં લઈ લીધુ. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપ રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ દેશ છોડીને ભાગી ગયા છે. હવે તાલિબાન પોતાની સરકાર બનાવશે. સ્થિતિ કથળવાના કારણે કાબુલ એરપોર્ટ પર લોકો ભેગા થઈ ગયા છે અને સામાન લીધા વિના જ ભાગી રહ્યા છે. કાબુલમાં અફડાતફડીનો માહોલ થઈ ગયો છે. કાબુલ પર તાલિબાનો કબ્જો લઈ લીધા બાદ નાગરિકોમાં ડરનો માહોલ છે. લોકો દેશ છોડીને જવા માટે બેન્કોમાંથી પૈસા ઉઠાવી રહ્યા છે અને વિઝા માટે એમ્બેસી જઈ રહ્યા છે. કાબુલની બેન્કો અને એમ્બેસી આગળ પણ લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.
એએફપી ન્યૂઝના હવાલાથી સમાચાર છે કે કાબુલ એરપોર્ટ પર લોકોની ભીડ થઈ જતા સ્થિતિને કાબુ કરવા માટે અમેરિકી સૈનિકોએ હવાઈ ફાયરિંગ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે દિલ્લી પહોંચેલી એક અફઘાન નાગરિક ઝારાએ રડતા રડતા પોતાના દેશની સ્થિતિ વિશે જણાવતા કહ્યુ કે આટલી નિઃસહાય અને હતાશ ક્યારેય નથી અનુભવ્યુ. અમારી 20 વર્ષની બધી ઉપલબ્ધિઓ માટીમાં મળી ગઈ. પૂર્વ અફઘાની પત્રકાર હમદર્દ ગફૂરીએ જણાવ્યુ કે 20 વર્ષ બાદ અમે 2000ના દશકમાં પાછા આવી ગયા છે, અમે શાંતિ ઈચ્છીએ છીએ. જો તાલિબાન સત્તામાં આવ્યુ તો હજારો બીજા ઓસામા બિન લાદેન, હજારો મુલ્લા ઉમર પેદા થશે અને તે પાકિસ્તાન સાથે મળીને આખા એશિયામાં ફેલાશે.
કાબુલ પર તાલિબાનના કબજા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ સામે વ્હાઈટ હાઉસની બહાર અફઘાન નાગરિકોએ નારેબાજી કરી હતી અને કહ્યુ કે બાઈડેન તમે અમને છેતર્યા છે. તમે આ સંકટ માટે જવાબદાર છો. બીજા એક મોટા સમાચાર એ પણ છે કે અફઘાનિસ્તાન સરકારના ઘણા મોટા નેતાઓ ભારત આવી ચૂક્યા છે અને ઘણા મોટા નેતાઓના ભારત આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત સરકારે રાજકીય શરણાર્થીઓને ભારત આવવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે ઘણી મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો ભારતમાં રહે છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે ભારત સરકારે એર ઈન્ડિયાના બે વિમાનોને સ્ટેન્ડ બાય પર રાખવા માટે કહ્યુ છે. ઈમરજન્સીની સ્થિતિમાં લોકોને કાબુલથી કાઢવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવી છે.