જાણો: ભારત અને ભારતીય મહાદ્વીપમાં આવેલા વિનાશકારી ભૂકંપ અંગે
ફરી એકવખત ભૂકંપે ભારતીય મહાદ્વીપને હચમચાવી દીધો છે. લોકોએ ભારતથી લઇને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી ભૂકંપના આચંકાનો અનુભવ કર્યો છે. અને સૌથી વધુ દર્દનાક તબાહીના દ્રશ્યો પાકિસ્તાનમાં જોવા મળ્યા છે.
આ વર્ષે એપ્રિલ મહિનાથી ભૂકંપનો સિલસીલો શરૂ થયો હતો. જ્યારે નેપાળમાં શક્તિશાળી ભૂકંપે તારાજી સર્જી હતી. પાકિસ્તાનમાંથી જે ખબરો આવી રહી છે. તે મુજબ પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 8.1 હતી, અને ખબરો મળી રહી છેકે ભૂકંપના કારણે પાકિસ્તાનમાં ચારેય તરફ તબાહીના દ્રશ્યો છે.
આજે અમે તમને તે સાત વિનાશકારી ભૂકંપ અંગે જણાવી રહ્યાં છીએ કે જે અત્યારસુધીમાં ભારતીય મહાદ્વીપમાં આવી ચૂક્યા છે. આ તમામ ભૂકંપે ભારત સહિત આસપાસના તમામ દેશોમાં તબાહી સર્જી છે. જાણવા માટે એક નજર કરો નીચેના સ્લાઇડર પર.
વર્ષ 2105, નેપાળ
25 એપ્રિલ 2015ના દિવસે નેપાળ, ભારત, ચીન અને બાંગ્લાદેશમાં 7.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. આ ભૂકંપના આંચકાઓએ નેપાળમાં સૌથી વધુ તબાહી સર્જી હતી. લગભગ 9018 લોકોના મોત થયા હતા, જ્યારે 21, 952 લોકો ઘાયલ થયા હતા. તેમજ લાખો કરોડોનું નુકસાન થયુ હતુ.
વર્ષ 2001, ગુજરાત
26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતના ભૂજમાં આવેલા ભૂકંપની ભયાનક્તા હજી સુધી કોઇ નથી ભૂલી શક્યુ. કચ્છમાં 7.7ની તિવ્રતાના ભૂકંપે ગુજરાતમાં ચારેય તરફ તબાહી વેરી હતી. લગભગ 20,000 લોકોના મોત થયા હતા, જ્યારે 1,67,000 લોકો ઘાયલ થયા હતા. તેમજ 40,000 ઘર સંપૂર્ણ નષ્ટ થઇ ગયા હતા.
વર્ષ 2002, હિંદુકુશ, અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનના હિંદુકુશને ભૂકંપના બે મોટા ઝટકાએ હચમચાવી દીધુ હતુ. 7.4ની તીવ્રતા વાળો પહેલો ભૂકંપ ત્રણ માર્ચે આવ્યો હતો. જેમા 166 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 25 માર્ચે ફરી 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમા હજારો લોકોના મોત થયા હતા.
વર્ષ 2004 ભારતીય મહાદ્વીપમાં સુનામી અને ભૂકંપ
26 ડિસેમ્બર 2004ના રોજ પહેલા ભૂકંપ અને પછી સુનામીએ આખાય ભારતીય મહાદ્વીપને હચમચાવી નાખ્યુ હતુ. ભારત, શ્રીલંકા અને સુમાત્રામાં 9.1ની તીવ્રતાના ભૂકંપના કારણે સુનામી આવી અને દરિયામાં 30 મીટર ઉંચી લહેરો ઉઠી. 14 દેશના લગભગ 2,30,000 લોકોના મોત થયા હોવાના અહેવાલ હતા.
વર્ષ 2005, કાશ્મીર અને પાકિસ્તાન
આઠ ઓક્ટોબર 2005ના રોજ ભારત અને કાશ્મીરમાં એક સાથે ભૂકંપ આવ્યો હતો. 7.6ની તીવ્રતાવાળા આ ભૂકંપે સૌથી વધુ તારાજી સર્જી હતી. જેનુ કેન્દ્ર પાકિસ્તાનનું મુઝફ્ફરાબાદ હતુ. 79,000 લોકોના મોત થયા હતા. તો કાશ્મીરમાં 32000 ઘર ભૂકંપના કારણે નષ્ટ થઇ ગયા હતા.
વર્ષ 2012, અફઘાનિસ્તાન
11 જૂન 2012માં અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં 25 મિનિટના અંતરે બે વિનાશકારી ભૂકંપ આવ્યા હતા. પહેલો ભૂકંપ 5.32ની તીવ્રતાવાળો અને બીજો ભૂકંપ 5.7ની તીવ્રતાવાળો હતો. આ ભૂકંપના કારણે 71 લોકોના મોત થયા હતા.
વર્ષ 2013, બલુચિસ્તાન
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 825 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ચાર દિવસ પછી 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 22 લોકોના મોત થયા હતા.