હોર્મુઝમાં ટેન્કર પર મિસાઇલ હુમલો, એક ભારતીયનું મોત; ઈરાનના હુમલાનો UAEનો દાવો
હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે ઓમાનના સમુદ્રી વિસ્તારમાં UAEના બે ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરના મોત થયા છે, જ્યારે છ ભારતીય સહિત કુલ આઠ લોકો ઘાયલ થયા છે.
UAEના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 'મોમ્બાસા' અને 'અલ બહિયાહ' નામના રાષ્ટ્રીય ઓઇલ ટેન્કરને બે ક્રૂઝ મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યા હતા. મંત્રાલયનો દાવો છે કે આ મિસાઇલો ઈરાન તરફથી છોડવામાં આવી હતી. હુમલા બાદ બંને ટેન્કરમાં આગ લાગી હતી, પરંતુ ક્રૂએ સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.

એક ભારતીયનું મોત, 6 ભારતીય સહિત 8 લોકો ઘાયલ
આ હુમલામાં 'મોમ્બાસા' ટેન્કર પર ફરજ બજાવી રહેલા એક ભારતીય ક્રૂ મેમ્બરના મોત થયા છે. ઉપરાંત છ ભારતીય નાગરિકો અને બે યુક્રેનિયન નાગરિકો ઘાયલ થયા હોવાનું UAEએ જણાવ્યું છે.
અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઘટના
આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય અથડામણ વધુ તીવ્ર બની રહી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર કાર્યવાહી કરવાની પુષ્ટિ કરી છે. ત્યારબાદ ઈરાનના અનેક વિસ્તારોમાં વિસ્ફોટોના અહેવાલ પણ સામે આવ્યા છે.
ભારતીયના મોત પાછળ કોનો હુમલો?
અમેરિકા અને ઈરાન બંને તરફથી સતત મિસાઇલ હુમલાઓ થઈ રહ્યા હોવાથી સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા છે કે ભારતીય નાવિકનું મોત આખરે કોના હુમલામાં થયું?
હાલ સુધી ઉપલબ્ધ સત્તાવાર માહિતી મુજબ, ભારતીય ક્રૂ મેમ્બરના મોત અમેરિકાના હુમલામાં થયા હોવાનો કોઈ પુરાવો સામે આવ્યો નથી. UAEના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટપણે દાવો કર્યો છે કે તેના ઓઇલ ટેન્કરને ઈરાનની ક્રૂઝ મિસાઇલોએ નિશાન બનાવ્યા હતા. તેથી હાલની સત્તાવાર માહિતીના આધારે ભારતીય નાવિકનું મોત ઈરાનના મિસાઇલ હુમલા સાથે જોડાયેલી ઘટનામાં થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકા તરફથી આ મામલે કોઈ અલગ દાવો કરવામાં આવ્યો નથી.












Click it and Unblock the Notifications
