વિકાસના નામે દેવું આપી ચીન અન્ય દેશો પર પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યુ છે
ચીન વિકાસના નામે કબજો જમાવવાની રાજનીતિ બનાવી રહ્યુ છે, જે દુનિયા માટે ખતરો બનતુ જઈ રહ્યુ છે. દક્ષિણ એશિયા પર ચીનનો પ્રભાવ સતત વધતો જઈ રહ્યો છે.
ચીન વિકાસના નામે કબજો જમાવવાની રાજનીતિ બનાવી રહ્યુ છે, જે દુનિયા માટે ખતરો બનતુ જઈ રહ્યુ છે. દક્ષિણ એશિયા પર ચીનનો પ્રભાવ સતત વધતો જઈ રહ્યો છે. ભારતને ઘેરવાની નીતિ હેઠળ ચીન પાડોશી દેશોમાં વિકાસના નામે પોતાની પક્કડ મજબૂત કરી રહ્યુ છે. હવે ભારતને ચેલેન્જ આપવા માટે ચીન ધીમે ધીમે નેપાળમાં પોતાના પગ જમાવી રહ્યુ છે. તે નેપાળમાં પોતાની રાજકીય, સૈન્ય અને આર્થિક છાપ છોડી રહ્યુ છે. ચીન એવો દેશ છે જેણે પોતાના તમામ પાડોશી દેશોને પહેલા મદદ કરી અને ત્યાર બાદ કબજો જમાવવાની રણનીતિ હેઠળ તેના પર આધિપત્ય સ્થાપિત કર્યુ. જેમાં શ્રીલંકા, પાકિસ્તાન, તિબ્બત અને બાંગ્લાદેશ શામેલ છે. આ ઉપરાંત ભારતનો મિત્ર નેપાળ પણ હવે આ જાળમાં ફસાતુ જઈ રહ્યુ છે.
અન્ય દેશો ઉપરાંત નેપાળ ચીનની વન બેલ્ટ વન રોડ પરિયોજનામાં શામેલ થઈ ચૂક્યુ છે. જ્યારે ભારત આ પરિયોજનાના પક્ષમાં નથી. ઈતિહાસ જોઈએ તો ચીને અન્ય દેશોને વિકાસના નામે દેવામાં એટલું ફસાવી દે છે કે તેમની પાસે ચીનની વાત માન્યા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. ચીન પોતાના પ્રભુત્વનો વિસ્તાર કરવા માટે કરજ આપી કબજો કરવાની રણનીતિ દ્વારા દાદાગીરી કરવા માટે એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક તૈયાર કરી રહ્યુ છે.

શ્રીલંકાના હંબનટોટા બંદર પર ચીનનો કબજો
શ્રીલંકાએ હંબનટોટા બંદર વિકાસ પરિયોજના માટે લીધેલું ઋુણ ભરપાઈ ન કરી શકતા ચીને શ્રીલંકાના આ બંદર પર પોતાનો કબજો જમાવી લીધો. પોતાની ઓબીઓઆર પરિયોજના દ્વારા ચીને શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેના કાર્યકાળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર અબજો ડોલરનું રોકાણ કર્યુ હતુ. તેણે આ કામમાં સોથી વધુ પ્રાથમિકતા હંબનટોટા બંદરને આપી હતી. આ વિકાસ કાર્યના નામે શ્રીલંકા ભારે દેવામાં ફસાઈ ગયુ. આ દેવું ભરપાઈ કરવાની સ્થિતિમાં ન રહેતા શ્રીલંકાએ ડિસેમ્બર 2017માં 99 વર્ષ માટે આ બંદર ચીનને લીઝ પર આપવું પડ્યુ. 8 અબજ ડોલરના ચીની દેવા નીચે દબાયેલા શ્રીલંકાએ પોતાના આ બંદર સાથે તેની આસપાસની 1500 એકર જમીન ચીનને સોંપવી પડી.

પાકિસ્તાન પર કબજો
ચીન પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર લગભગ પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી ચૂક્યુ છે. પાકિસ્તાને ગ્વાદર પોર્ટ અને અન્ય પ્રોજેક્ટ માટે ચીનથી ઓછામાં ઓછા 10 અબજ ડોલરનું દેવું લીધુ હતુ. અરબ સાગર કિનારે પાકિસ્તાના બલૂચિસ્તાન પ્રાંતમાં ચીન ગ્વાદર પોર્ટનું નિર્માણ ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારા પરિયોજના હેઠળ કરી રહ્યુ છે. તેને પેઈચિંગની મહત્વાકાંક્ષી વન બેલ્ટ, વનરોડ (ઓબીઓઆર) તથા મેરિટાઈમ સિલ્ક રોડ પ્રોજેક્ટ વચ્ચેની એક કડી માનવામાં આવી રહી છે. પાકિસ્તાન ચીનના દેવાની જાળમાં એટલી ખરાબ રીતે ફસાયુ છે કે જલ્દી જ ચીન દેવું ભરપાઈ ન કરી શકતા પાકિસ્તાનને આર્થિક ગલિયારાનો કબજો આપવા મજબૂર કરી શકે છે. ગયા વર્ષે ઈમરાન સરકારે ચીન પાસેથી કુલ 7408 અબજ પાકિસ્તાની રૂપિયાનું દેવું લીધુ છે.
એવું મનાઈ રહ્યુ છે કે પાકિસ્તાનમાં સીપેક દ્વારા ઘુસણખોરી કર્યા બાદ પાકિસ્તાનને ગુલામ બનાવવા માટે સીપેકનું પાસુ ફેંક્યુ હતુ. વર્ષ 2022 સુધી સીપીઈસી પ્રોજેક્ટ હેઠળ પાકિસ્તાનના ગ્વાદરમાં ચીન પોતાના પાંચ લાખ ચીની નાગરીકોને વસવાટ માટે કોલોની બનાવશે. ચીને માત્ર પાકિસ્તાનમાં 5 લાખ ચીની નાગરીકોને વસાવવા પૂરતું જ નહિં પણ પાકિસ્તાનમાં પોતાની કરન્સી ચલાવવાની યોજના પણ બનાવી રહ્યુ છે. એટલે કે પાકિસ્તાની પૈસો અને ડોલર બાદ હવે ચીની યુઆન પણ પાકિસ્તાનમાં લીગલ ટેન્ડર બની જશે અને પાકિસ્તાને ચીનની મનમાની સહન કરવી પડશે.

ચીનનો હોંગકોંગ પર કબજો
હોંગકોંગ પર ચીનના 150 વર્ષના બ્રિટેનના શાસન બાદ હોંગકોંગને 99 વર્ષની લીઝ પર ચીનને સોંપવું પડ્યુ હતુ. ગઈ સદીના આઠમાં દશકની શરૂઆતમાં જેમ તેમ કરીને આ 99 વર્ષ લીઝની સમય મર્યાદા નજીક આવતા બ્રિટેન અને ચીને હોંગકોંગના ભવિષ્ય પર વાતચીત શરૂ કરી દીધી. ચીનની કમ્યુનિસ્ટ સરકારે તર્ક આપ્યુ કે હોંગકોંગને ચીની સાશનને પાછુ આપી દેવું જોઈએ. બંને પક્ષોએ 1984માં સોદો કર્યો કે એક દેશ, બે પ્રણાલીના સિદ્ધાંત હેઠળ હોંગકોંગને 1997માં ચીનને સોંપી દેવાશે.
એનો અર્થ હતો કે ચીનનો હિસ્સો હોવા છતાં પણ હોંગકોંગ 50 વર્ષો સુધી વિદેશી અને રક્ષા મામલાને છોડી સ્વાયત્તાનો આનંદ લેશે. હોંગકોંગ દ્વીપ પર 1842થી બ્રિટેનનુ નિયંત્રણ હતુ. 1950 બાદ તેની આર્થવ્યવસ્થામાં મોટો ઉછાળો આવ્યો. ચીનમાં અસ્થિરતા, ગરીબી ભોગવતા લોકો આ તરફ વળવા લાગ્યા. 1997માં જ્યારે હોંગકોંગને ચીનને હવાલે કરાયુ હતુ ત્યારે બિજીંગે એક દેશ-બે અર્થવ્યવસ્થાની અવધારણા હેઠળ ઓછામાં ઓછુ 2047 સુધી લોકોની સ્વતંત્રતા અને પોતાની કાયદાકીય વ્યવસ્થાને જાળવી રાખવાની ગેરેંટી આપી હતી. જો કે 2014માં હોંગકોંગમાં 79 દિવસ સુધી ચાલેલા અંબ્રેલા મુવમેન્ટ બાદ લોકતંત્રના સમર્થન કરનારા લોકો પર ચીની સરકારે કાર્યવાહી કરી. વિરોધ પ્રદર્શનમાં શામેલ થયેલા લોકોને જેલમાં નાખી દેવાયા. આઝાદીનું સમર્થન કરનારી એક પાર્ટી પર પ્રતિબંધ લગાવી દેવાયો.

તિબ્બત પર કબજો
તિબ્બતે દક્ષિણમાં નેપાલ સાથે અનેક વાર યુદ્ધ કર્યુ પણ તેને વારંવાર હારનો સામનો કરવો પડ્યો. જેના નુકશાન પેટે તિબ્બતે દર વર્ષે નેપાલને 5000 નેપાળી રૂપિયા દંડ ભરવાની શરત માનવી પડી. જ્યારે આ દંડથી કંટાળી તિબ્બતે ચીનની સૈન્ય મદદ માંગી જેથી નેપાળને યુદ્ધમાં હરાવી શકે. ચીનની મદદથી તિબ્બતને નેપાળને આપવા પડતા દંડમાંથી છૂટકારો તો મળી ગયો પણ 1906-7માં તિબ્બત પર ચીને પોતાનો અધિકાર જમાવી લીધો. ચીને દશકાઓ સુધી તિબ્બત પર ગેરકાયદેસર કબજો કરી રાખ્યો. તિબ્બતી ધર્મ ગુરુ દલાઈ લામાના નેતૃત્વ વાળી તિબ્બતની નિર્વાસિત સરકાર ભારતમાં શરણ લઈ રહી રહી છે. જો કે ચીન તિબ્બતના અસર શાસકોને તેમનું રાજ સોંપવાની જગ્યાએ તિબ્બતમાં સતત પોતાનું પ્રભુત્વ વધારી રહ્યુ છે. તિબ્બતમાં ચીનની વધતી તાકાત ભારત માટે ખતરનાક છે.

બાંગ્લાદેશના પાયરા બંદર પર ચીનની નજર
ચીનની નજર હવે બાંગ્લાદેશના પાયરા બંદર પર છે. ડિસેમ્બર 2016માં ચીન અને બાંગ્લાદેશે વન બેલ્ટ વન રોડ(ઓબીઓઆર)ને લઈ કરાર કર્યો હતો. ઓબીઓઆરને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ(બીઆરઆઈ)ને નામે ઓળખવામાં આવે છે. જેને ચીની 21મી સદીનો 'સિલ્ક રૂટ' કહે છે. જેનો ઉદેશ્ય એશિયાઈ દેશોને ચીન દ્વારા પ્રાયોજીત ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસથી જોડવાનું છે. ચીન પોતાની અનેક પરિયોજના ઉપરાંત બાંગ્લાદેશના પાયરા બંદરના વિકાસ અને વિસ્તારમાં વિશેષ રૂચી લઈ રહ્યુ છે. ચીનની બે કંપનીઓ ચાઈના હાર્બર ઈન્જીનિયરિંગ કંપની(સીએચઈસી) અને ચાઈના સ્ટેટ કન્સ્ટ્રક્શન ઈન્જીનિયરિંગ કંપની (સીએસસીઈસી)એ આ બંદરના મુખ્ય ઢાંચાના વિકાસ અને અન્ય કાર્યો માટે 600 મિલિયન અમેરિકન ડોલરનો કરાર કર્યો છે. આ રોકાણથી તે બાંગ્લાદેશના બંદરો પર પોતાનો કબજો જમાવી લેવા ઈચ્છે છે.

હવે ચીનની નજર નેપાળ પર
ભારતનો બે દિવસનો પ્રવાસ કર્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ શનિવારે મહાબલીપુરમથી સીધા કાઠમાંડુ પહોંચ્યા હતા. 23 વર્ષ બાદ કોઈ ચીની રાષ્ટ્રપતિ નેપાળના પ્રવાસે છે તો તેનો કોઈ અર્થ છે. નેપાળ અને ભારત વચ્ચે સારા સંબંધો છે. બંને દેશો વચ્ચે કૌટુંબિક, સાંસ્કૃતિક, ધાર્મિક સંબંધોને કેવી રીતે ખતમ કરવા તેની તૈયારમાં ચીન છે. આ માટે ચીન બંને દેશો વચ્ચે ખુલ્લી સીમાઓને બંધ કરવા અને પાસપોર્ટ લાગુ કરવાના પ્રયત્નો કરી રહ્યુ છે. નેપાળને આ માટે મનાવવા માટે ચીને હાલ નેપાળમાં ભારે રોકાણ કર્યુ છે. જેમાં એરપોર્ટ, રોડ, હોસ્પિટલ્સ કોલેજ, મોલ્સ અને રેલ્વે લાઈન જેવી પાયાની સુવિધાઓ શામેલ છે.
ભારતની સીમાની નજીક પહોંચવા માટે ચીન નેપાળમાં રેલ અને રોડ વિસ્તાર કરવા જઈ રહ્યુ છે. ચીનના કેરુંગથી કાઠમાંડુ સુધી રેલ્વે લાઈનના નિર્માણમાં તે ઘણું રસ દાખવી રહ્યુ છે. ચીનની યોજના છે કે આ રેલ વિસ્તારને લુંબિની સુઘી પહોંચાડવામાં આવે. ચીને વર્ષ 2017માાં નેપાળ સાથે વન બેલ્ટ વન રોડ પરિયોજના માટે દ્વિપક્ષિય સહકાર પર કરાર કર્યો હતો. મનાઈ રહ્યુ છે કે આ દરમિયાન ચીન અને નેપાળ વચ્ચે આ વિશે વાતચીત થશે. નેપાળને આ પરિયોજનામાં શામેલ થયે 2 વર્ષ થઈ ગયા છે, જો કે અત્યાર સુધી તેણે આ પરિયોજના હેઠળ કોઈ કામ શરૂ કર્યુ નથી.
આ પણ વાંચો: ચીનને તોડવાનું સપનું જોયું, તો હાડકાનો ભુક્કો કરી નાંખીશુ












Click it and Unblock the Notifications
