ભારતે UNSCમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને ઝાટક્યુ, કહ્યુ - 'લાદેનને શરણ આપનારા...'
UNSCમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને ઝાટકીને કહ્યુ કે લાદેશનને શરણ આપનારા ઉપદેશ આપવાને લાયક નથી...
India in UNSC: વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધિત કરવા દરમિયાન પાકિસ્તાનને જોરદાર ઝાટકી નાખ્યુ. પાકિસ્તાને યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે ઓસામા બિન લાદેનની યાદ અપાવીને યુએનએસસીના સભ્ય દેશોને એક ફરીથી પાકિસ્તાનનો અસલી ચહેરો જોવા માટે કહ્યુ.
'પાકિસ્તાન ઉપદેશ આપવાને લાયક નથી'
પાકિસ્તીનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં એક વાર ફરીથી કાશ્મીરના રાગ આલાપ્યો. જેનો ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જવાબ આપીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. તેમણે કહ્યુ કે પાકિસ્તાને જ આતંકી ઓસામા બિન લાદેનને શરણ આપી હતી. માટે પાકિસ્તાન ઉપદેશ આપવાને લાયક નથી. તમને જણાવી દઈએ કે બિલાવલ ભુટ્ટોએ બુધવારે યુએનમાં કાશ્મીર મુદ્દે પોતાના પ્રસ્તાવો લાગુ કરવાનુ આહ્વાન કર્યુ હતુ.
ભારતે પાકિસ્તાનને ઝાટક્યુ
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યુ હતુ કે, 'યુએનની વિશ્વસનીયતા આપણા સમયના મુખ્ય પડકારો, પછી તે રોગચાળો હોય, જળવાયુ પરિવર્તન હોય, સંઘર્ષ હોય કે આતંકવાદ હોય તે યુએનની પ્રભાવી પ્રતિક્રિયા પર આધાર રાખે છે. આપણે સ્પષ્ટપણે આજે બહુપક્ષીયતામાં સુધારાની તાકીદ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. સ્વાભાવિક રીતે જ આપણા પોતાના ચોક્કસ મંતવ્યો હશે પરંતુ ઓછામાં ઓછી એક સમાનતા છે કે આમાં વધુ વિલંબ થઈ શકે નહિ.' તમને જણાવી દઈએ કે આ મહિને ભારત યુએનએસસીના અધ્યક્ષ છે અને ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સુધારાયેલ બહુપક્ષવાદ પર ભારતના હસ્તાક્ષર કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહ્યા છે.
|
ભારતે ચીનને પણ સંભળાવી ખરી-ખોટી
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન પર પણ નામ લીધા વિના નિશાન સાધીને બરાબર સંભળાવ્યુ અને કહ્યુ કે આતંકવાદના ગુનેગારોને યોગ્ય ગણાવવા અને તેમની રક્ષા કરવા માટે બહુપક્ષીય મંચનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ચીને UNSC દ્વારા પાકિસ્તાનના ઘણા આતંકવાદીઓને આતંકવાદી જાહેર થતા બચાવ્યા છે અને ભારત અને અમેરિકાના પ્રસ્તાવને વીટો કરી દીધો છે. આ વર્ષે ચીને અત્યાર સુધી સાજિદ મીર, અબ્દુલ રઉફ, અબ્દુલ મક્કી, શાહિદ મહેમૂદ જેવા કુખ્યાત આતંકવાદીઓને યુએનએસસીમાં બચાવ્યા છે.