ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન અને મુસ્લિમ વિરોધી નેતા છે : પરવેઝ મુશર્રફ
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદી પાકિસ્તાન વિરોધી અને મુસ્લિમ વિરોધી છે. એક ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે મોદી મુસ્લિમ વિરોધી અને પાકિસ્તાન વિરોઘી છે. નરેન્દ્ર મોદી ભારત પાક શાંતિ પ્રક્રિયામાં પોતાની શરતો મારા દેશ પર થોપી શકે નહીં.
મુશર્રફે કાશ્મિર મુદ્દે જણાવ્યું કે મોદી પાકિસ્તાનને કોઇ રમકડું ના સમજે. ભારતીય વડાપ્રધાન પાકિસ્તાનને થપ્પડ મારીને સમજાવી ના શકે. તેમણે એલઓસી પર ગોળીબાર માટે ભારત પર દોષ ઠાલવતા જણાવ્યું કે પાકિસ્તાનના લશ્કરને ભારત ઓછું ના આંકે.
મુશર્રફે પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન નવાઝ શરીફની ટીકા પણ કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતની મુલાકાત દરમિયાન નવાઝ શરીફે હુર્રિયતના નેતાઓ ાસથે પણ બેઠક યોજવા જેવી હતી. હું જો શરીફની જગ્યાએ હોત તો નરેન્દ્ર મોદીને આકરો જવાબ આપત.
મુશર્રફે ભારત પાકિસ્તાનના સંબંધોના સંદર્ભમાં જણાવ્યું કે 'મેં મનમોહન સિંહ અને વાજપેયી સાહેબને કહ્યું હતું કે સારા સંબંધો માટે આપણા બંને દેશોમાં ત્રણ વસ્તુઓ હોવી જરૂરી છે. ઇમાનદારી, લચીલાપણું અને સાહસ. જરૂરી છે કે આપણે એક બીજાને સાંભળીએ, સ્વીકાર કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતનું પ્રારંભિક વલણ દાખવી રહ્યા છે, તેના કારણે પાકિસ્તાનમાં એવી છાપ ઉભી થઇ રહી છે તે તેઓ પાકિસ્તાન વિરોધી અને મુસ્લિમ વિરોધી છે.'