અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલાઓનો ભોગ બની રહ્યાં છે માસૂમ બાળકો, ત્રણ દિવસમાં 27 બાળકોનાં મૃત્યુ
અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલાઓનો ભોગ બની રહ્યાં છે માસૂમ બાળકો, ત્રણ દિવસમાં 27 બાળકોનાં મૃત્યુ
અમેરિકા સહિત વિદેશી સેનાઓની વાપસી સાથે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અફઘાન સૈન્ય વચ્ચે જે હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે એનો ભોગ માસૂમ બાળકો બની રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્રની બાળઅધિકારો માટે કાર્યરત સંસ્થા યુનિસેફે આ મામલે અહેવાલ પ્રગટ કર્યો છે અને કહ્યું છે અફઘાનિસ્તાનમાં 'બાળકો વિરુદ્ધ જે ગંભીર હિંસા' થઈ રહી છે તેનાથી તે 'આઘાત'માં છે.
યુનિસેફે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસામાં ગત ત્રણ દિવસોમાં 27 બાળકો માર્યાં ગયાં છે.
યુનિસેફે કહ્યું કે, બાળકો વિરુદ્ધ હિંસા દિનપ્રતિદિન વકરી રહી છે.
યુનિસેફનું કહેવું છે કે ગત ત્રણ દિવસોમાં કંદહાર, ખોસ્ત અને પક્તિયામાં 27 બાળકો માર્યા ગયાં છે અને 136થી વધારે બાળકો ઈજાગ્રસ્ત થયાં છે.
યુનિસેફનું કહેવું છે કે બાળકોનાં મૃત્યુ એ માત્ર આંકડો નથી પરંતુ એક મોટું માનવીય સંકટ છે.
યુનિસેફે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર કાયદા અનુસાર આ તમામ બાળકોને સુરક્ષાનો અધિકાર હતો.
યુનિસેફે તમામ પક્ષોને બાળકોનો જીવ બચાવવાની અપીલ કરી છે.
- તાલિબાને અડધા અફઘાનિસ્તાન પર કબજો કઈ રીતે જમાવી લીધો?
- તાલિબાન : અફઘાનિસ્તાન મામલે પાકિસ્તાનની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી કેમ છે?
તાલિબાને યુદ્ધવિરામની અપીલ ઠુકરાવી
આ દરમિયાન તાલિબાને સંઘર્ષવિરામની આંતરરાષ્ટ્રીય સમુદાયની અપીલ નકારી કાઢી છે.
અફઘાનિસ્તાનમાં વિદેશી સૈનિકોના પરત ફરવાની સાથે જ અનેક વિસ્તારો પર તાલિબાનનો કબજો વધી રહ્યો છે.
શુક્રવારથી અત્યાર સુધી તાલિબાન કમ સે કમ પાંચ પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી લીધી છે. એક અહેવાલ અનુસાર અર્ધાથી વધારે વિસ્તાર પર તાલિબાનનો કબજો થઈ ગયો છે.
તાલિબાનના એક પ્રવક્તાએ બીબીસીને કહ્યું કે હવે તેઓ બગલાન પ્રાંતની રાજધાની પુલ-એ-ખુમરીને નિશાન બનાવશે અને તેને કબજે કરશે. બીજી તરફ હેરાત પ્રાંતમાં પણ અનેક દિવસથી યુદ્ધની સ્થિતિ છે.
સોમવારે સવારે દક્ષિણ અફઘાનિસ્તાનના શહેર લશ્કરગાહમાં પોલીસ વડામથક નજીક એક મોટો બ્લાસ્ટ થયો હોવાના પણ સમાચાર છે.
લશ્કરગાહના રહેવાસીઓએ કહ્યું કે, ગત બે દિવસોમાં ત્યાં કમ સે કમ 20 લોકો માર્યા ગયા છે અને યુદ્ધમાં શાળા અને હૉસ્પિટલ તબાહ થઈ ગઈ છે.
અમેરિકાએ જ્યારથી પોતાના સૈનિકોના પરત ફરવાની જાહેરાત કરી ત્યારથી ત્યાં તાલિબાન આક્રમક બની રહ્યું છે અને તેમની ધાક વધી રહી છે.
તાલિબાની લડવૈયાઓએ તાજેતરના અઠવાડિયામાં ખૂબ ઝડપથી અનેક વિસ્તારોને કબજે કર્યા છે અને ગામડાં ઉપરાંત હવે કસબાઓ અને શહેરો તેમના નિશાના પર છે.
તાલિબાનની સામે અફઘાન સેના કેટલું ટકી શકશે તે પણ ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી.
- પિતા ખ્રિસ્તી ધર્મપ્રચારક હોવા છતાં બિરસા મુંડાએ અલગ ધર્મ કેમ સ્થાપ્યો હતો?
- એ હત્યાકાંડ જેમાં દલિતોને મારીને નદીમાં વહાવી દેવાયા હતા
- જાતિગત વસતિગણતરી કેમ નથી કરાવવા માગતી મોદી સરકાર?
તાલિબાનની શરૂઆત ક્યારે થઈ હતી?
પશ્તો ભાષામાં વિદ્યાર્થીઓને તાલિબાન કહેવાય છે. નેવુંના દશકની શરૂઆતમાં જ્યારે સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછા બોલાવી રહ્યું હતું, ત્યારે એ સમયમાં તાબિલાન એક સમૂહ તરીકે ઊભર્યું.
માનવામાં આવે છે કે પશ્તો આંદોલન પહેલાં ધાર્મિક મદરેસાઓમાં ઊભર્યું અને તેના માટે સાઉદી અરેબિયાએ ફંડ આપ્યું. આ આંદોલનમાં સુન્ની ઇસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરાતો હતો.
જલદી તાલિબાનીઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પશ્તુન વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપનાની સાથેસાથે શરિયા કાનૂનના કટ્ટરપંથી સંસ્કરણને લાગુ કરવાનો વાયદો કરવા લાગ્યા હતા અને દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઝડપથી વધ્યો હતો.
સપ્ટેમ્બર, 1995માં તેમણે ઈરાનની સીમા પાસેના હેરાત પ્રાંત પર કબજો કરી લીધો હતો. તેના બરાબર એક વર્ષ બાદ તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો.
તેમણે એ સમયે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રહેલા બુરહાનુદ્દીન રબ્બાનીને સત્તા પરથી હઠાવી દીધા. રબ્બાની સૈનિકોના અતિક્રમણનો વિરોધ કરનારા અફઘાન મુજાહિદ્દીનના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા.
વર્ષ 1998 આવતાંઆવતાં અંદાજે 90 ટકા અફઘાનિસ્તાન પર તાલિબાનીઓનું નિયંત્રણ થઈ ગયું હતું.
સોવિયત સૈનિકોના ગયા બાદ અફઘાનિસ્તાનના સામાન્ય લોકો મુજાહિદ્દીનના અત્યાચારો અને આંતરિક સંઘર્ષથી કંટાળી ગયા હતા, આથી તેમણે તાલિબાનીઓનું સ્વાગત કર્યું હતું.
ભ્રષ્ટાચાર પર અંકુશ, અરાજકતાની સ્થિતિમાં સુધારો, રસ્તાઓનું નિર્માણ અને નિયંત્રણવાળા વિસ્તારોમાં તમામ ધંધારીય સુવિધા આપવી- આ તમામ કામો થતાં શરૂઆતમાં તાલિબાની ઘણા લોકપ્રિય પણ થયા.
પરંતુ આ દરમિયાન તાલિબાને ઇસ્લામિક સજા આપવાની રીત લાગુ કરી, જેમાં હત્યા અને વ્યાભિચારના દોષીઓને જાહેરમાં ફાંસી આપવી અને ચોરીના મામલામાં દોષીઓના હાથ કાપી નાખવા જેવી સજાઓ સામેલ હતી.
પુરુષોએ દાઢી રાખવી અને મહિલાઓ માટે બુરખાનો ઉપયોગ જરૂરી કરી દીધો હતો. તાલિબાને ટેલિવિઝન, સંગીત અને સિનેમા પર પ્રતિબંધ લાદી દીધો અને 10 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની છોકરીઓને સ્કૂલે જવા પર રોક લગાવી દીધી.
તાલિબાનીઓને પર માનવાધિકાર અને સાંસ્કૃતિક દુર્વ્યવહાર સાથે જોડાયેલા અનેક આરોપો લાગવાના શરૂ થઈ ગયા. દુનિયા આખીમાં ચકચાક જગાવનાર મલાલા યુસૂફઝઈ કેસમા તાલિબાનનો હાથ હતો. 2012માં તેમને સ્કૂળેથી પાછા ફરતી વખતે ગોળી મારવામાં આવી હતી.
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો