For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ : ઇઝરાયલતરફી લોકોના કતલ માટે જાણીતા હમાસના યાહ્વા સિનવાર કોણ છે?

ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ : ઇઝરાયલતરફી લોકોના કતલ માટે જાણીતા હમાસના યાહ્વા સિનવાર કોણ છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

"યુદ્ધ કોઈના હિતમાં નથી. અમારા હિતમાં તો બિલકુલ નથી. પરમાણુશક્તિ ધરાવતા દેશનો ગોફણની મદદથી કોણ સામનો કરી શકે? સાચી વાત તો એ છે કે યુદ્ધથી કંઈ પ્રાપ્ત નથી થતું. તમે વોર રિપોર્ટર છો. શું તમને યુદ્ધ પસંદ છે?"

દુશ્મનો જેને 'ખાન યુનુસના કસાઈ' તરીકે ઓળખતા હોય તેવી એક વ્યક્તિ પાસેથી આવા શબ્દો સાંભળવા મળે ત્યારે ભરોસો કરવો મુશ્કેલ થાય છે.

પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસના નેતા યાહ્યા સિનવારે વર્ષ 2018માં ઇટાલીના અખબાર 'લા રિપબ્લિકા'ના રિપોર્ટર ફ્રેન્ચેસ્કા બોરીને આપેલી મુલાકાતમાં આ વાત કહી હતી.

હમાસના આ નેતાએ ઇઝરાયલ સાથેના યુદ્ધમાં પેલેસ્ટાઇનવાસીઓને નુકસાન થાય છે, તેવું પહેલી અને છેલ્લી વખત કહ્યું હતું.

https://www.youtube.com/watch?v=RQAsh0zM_nU

ગાઝામાં ચાલતી હાલની લડાઈ દરમિયાન ઇઝરાયલની સેનાએ તાજેતરમાં જ હમાસના કેટલાક મહત્ત્વના નેતાઓનાં રહેણાક પર બૉમ્બમારો કર્યો છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (આઇડીએફ)એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ હુમલામાં યાહ્યા સિનવારના ઘરને પણ તબાહ કરી દેવાયું છે.

જોકે, હુમલા વખતે યાહ્યા સિનવાર ઘરમાં હતા કે નહીં અને તેમને કોઈ નુકસાન થયું છે કે નહીં તે જાણી શકાયું નથી.

આ અહેવાલ પછી આંતરરાષ્ટ્રીય મીડિયામાં યાહ્યા સિનવાર અંગે ચર્ચા વધી ગઈ છે.


યાહ્યા સિનવાર કોણ છે?

59 વર્ષીય યાહ્યા ઇબ્રાહિમ હસન સિનવાર ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસની રાજકીય પાંખના વડા છે. તેઓ 2017થી હમાસ પોલિટ-બ્યૂરોના સભ્ય પણ છે.

યુરોપિયન કાઉન્સિલ ઑફ ફોરેન રિલેશન્સ સંલગ્ન વેબસાઇટ 'મેપિંગ પેલેસ્ટિનિયન પૉલિટિક્સ' મુજબ યાહ્યા સિનવાર હમાસના પોલિટ-બ્યૂરોને તેના સૈન્ય વિંગ ઇજ અલ-દીન અલ-કસમ બ્રિગેડ્સ (આઇક્યુબી) સાથે જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ ઉપરાંત 1988માં હમાસના આંતરિક સુરક્ષાદળ 'અલ-મજિદ'ની સ્થાપનામાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે.

યાહ્યા સિનવારને ઇઝરાયલ વિરુદ્ધ તેમના ઉગ્ર વલણના કારણે ઓળખવામાં આવે છે.

ઇઝરાયલ-પેલેસ્ટાઇનની બાબતોના જાણકારો કહે છે કે ઇઝરાયલ સાથે સમાધાન કરવાની વાત કરે તેવી કોઈ વ્યક્તિને યાહ્યા માફ નથી કરતા.

અમેરિકાએ તેમને વર્ષ 2015માં 'સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ' (એસટીજીટી)ની યાદીમાં સામેલ કર્યા હતા.


શરણાર્થી કૅમ્પમાં જન્મ અને ઇઝરાયલમાં 24 વર્ષની જેલ

યાહ્યા સિનાવારનો જન્મ વર્ષ 1962માં હાલની દક્ષિણી ગાઝા પટ્ટીમાં સ્થિત ખાન યુનુસના એક શરણાર્થી કૅમ્પમાં થયો હતો. તે સમયે આ પ્રદેશ પર ઇજિપ્તનો કબજો હતો.

ઇસ્લામિક યુનિવર્સિટી ઑફ ગાઝામાં અરબી ભાષામાં ગ્રૅજ્યુએશન કરનારા યાહ્યાની 1982માં ઇઝરાયલી સુરક્ષાદળોએ પહેલી વાર ધરપકડ કરી હતી.

તેમની સામે રાજકીય ઊથલપાથલ સર્જવા પ્રયાસ કરવાનો આરોપ હતો. તે સમયે ઇઝરાયલે લેબેનોન પર હુમલો કર્યો હતો.

ધરપકડ પછી તેમને ઘણા મહિના જેલમાં ગાળવા પડ્યા જ્યાં તેમની મુલાકાત પેલેસ્ટાઇનના કેટલાક આંદોલનકારીઓ સાથે થઈ.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વેસ્ટ એશિયન સ્ટડીઝના પ્રોફેસર અને આરબ-ઇઝરાયલ બાબતોના જાણકાર પ્રોફેસર આફતાબ કમાલ પાશા કહે છે કે આ જેલવાસ પછી યાહ્યા સિનવારે પોતાનું જીવન પેલેસ્ટાઇન માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો હતો.

https://www.youtube.com/watch?v=J45WR0NYmxA

અમેરિકન-ઇઝરાયલી કો-ઑપરેટિવ એન્ટરપ્રાઇઝ (એઆઇસીઈ) સાથે સંલગ્ન 'જુડશ વર્ચ્યુઅલ લાઇબ્રેરી'ની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ યાહ્યાએ 1985માં હમાસની સિક્યોરિટી વિંગની સ્થાપના કરી હતી.

સિક્યૉરિટી વિંગનું એક કામ એવા પેલેસ્ટિનિયનોને સજા આપવાનું પણ હતું જેઓ ઇઝરાયલ સાથે ભળેલા હોવાની શંકા અથવા આરોપ હોય.

એવું કહેવાય છે કે યાહ્યા સિનવાર ઇઝરાયલની મદદ કરનારા શંકાસ્પદ પેલેસ્ટિનિયનોની હત્યા કરી દેતા હતા.

આ કારણથી જ ઇઝરાયલમાં તેમને 'ખાન યુનસના કસાઈ' તરીકે ઓળખવામાં આવતા હતા.

વર્ષ 1988માં યાહ્યાને બે ઇઝરાયલી સૈનિકોના અપહરણ અને હત્યાના આરોપ હેઠળ પકડવામાં આવ્યા.

આ વખતે તેમને દોષી જાહેર કરાયા અને ચાર ઉંમરકેદની સજા સંભળાવાઈ. ત્યાર પછી તેમણે ઇઝરાયલની જેલમાં લગભગ 24 વર્ષ વીતાવ્યાં.


પોતાની જ મુક્તિનો વિરોધ કર્યો

1988 પછી યાહ્યાને વર્ષ 2011માં એક 'પ્રિઝનર ઍક્સચેન્જ પ્રોગ્રામ' હેઠળ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

રસપ્રદ વાત એ છે કે તેમણે પોતાની મુક્તિનો સ્વયં વિરોધ કર્યો હતો.

સમજૂતિ મુજબ હમાસ પેલેસ્ટાઇનના 1000 બંધકોની મુક્તિના બદલામાં માત્ર એક ઇઝરાયલી સૈનિકને મુક્ત કરવા માટે તૈયાર થયું હતું અને ઇઝરાયલ પણ આ માટે તૈયાર હતું.

ઍક્સચેન્જ પ્રોગ્રામ મુજબ હમાસે વર્ષ 2006માં અપહરણ કરાયેલા ઇઝરાયલી સૈનિક ગિલાદ શાલિતને મુક્ત કર્યો અને તેના બદલામાં 1000 પેલેસ્ટિનિયનોને છોડાવ્યા.

1000 પેલેસ્ટિનિયનોના બદલામાં માત્ર એક ઇઝરાયલી સૈનિકની મુક્તિ થઈ તે બાબત હમાસના પક્ષમાં હતી તેવું કોઈ પણ માનવા તૈયાર થશે, પરંતુ યાહ્યા સિનવાર એવું નહોતા માનતા.

જેરૂસલેમમાં હાજર વરિષ્ઠ પત્રકાર અને ઇઝરાયલ-પેલેસ્ટાઇન બાબતોના જાણકાર હરેન્દ્ર મિશ્રાએ બીબીસીને જણાવ્યું કે, "યાહ્યા સિનવાર માનતા હતા કે ઇઝરાયલી સૈનિકને મુક્ત કરવો એ હમાસ માટે યોગ્ય નથી. એક રીતે જોવામાં આવે તો તેમણે પોતાની જ મુક્તિનો વિરોધ કર્યો હતો."


ઇઝરાયલ અંગે રણનીતિમાં સતત ફેરફાર

ઇઝરાયલની કેદમાંથી મુક્ત થયા પછી યાહ્યા સિનવાર વર્ષ 2017માં હમાસની રાજનૈતિક શાખાની ચૂંટણી જિત્યા હતા.

પ્રોફેસર પાશા જણાવે છે કે ત્યારથી લઇને અત્યાર સુધી ઇઝરાયલ અંગે તેમની રણનીતિમાં સતત કોઈ ફેરફાર જોવા મળે છે. જોકે, એકંદરે તેમનું વલણ આક્રમક જ રહ્યું છે.

એ. કે. પાશા જણાવે છે, "ચૂંટણી જિત્યા પછી તેમણે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસના વિચારો સાથે અસહમતી દર્શાવી હતી. યાહ્યાએ સ્પષ્ટ જણાવ્યું કે હમાસ ઇઝરાયલ સાથે કોઈ પણ પ્રકારની શાંતિ પ્રક્રિયા માટે તૈયાર નથી."

જોકે, ત્યાર પછી થોડા જ સમયમાં તેમણે મહમુદ અબ્બાસ સાથે વાતચીત શરૂ કરી દીધી. એટલું જ નહીં, તેમણે ગાઝામાં બનાવાયેલી વહીવટી સમિતિને પણ વિખેરી નાખી હતી.

એ. કે. પાશા કહે છે કે મહમુદ અબ્બાસ સાથે વાતચીત પછી યાહ્યાનો સૂર થોડો નરમ પડ્યો હતો.

તેઓ જણાવે છે, "તે સમયે યાહ્યાએ હમાસના નેતા મોહમ્મદ દીફની રણનીતિને ફગાવી દીધી હતી જેમાં દીફે ભૂગર્ભ સુરંગો દ્વારા હમાસના સભ્યોને ઇઝરાયલમાં ઘુસાડવાનો પ્રસ્તાવ મુક્યો હતો. યાહ્યાએ કહ્યું હતું કે આવું કરવું આત્મહત્યા કરવા સમાન હશે."


'ગ્રેટ માર્ચ ફ રિટર્ન' અને ચોંકાવી દેનારો ઇન્ટરવ્યૂ

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સમર્થકો વચ્ચે સંઘર્ષ

આ બધા પછી યાહ્યા સિનવારે પોતાની નરમ નીતિથી એકદમ વિપરીત નિર્ણય લીધો. તેમણે 'ગ્રેટ માર્ચ ઓફ રિટર્ન' નામે એક પ્રદર્શનનું એલાન કર્યું.

તેના હેઠળ યાહ્યાએ પેલેસ્ટાઇનવાસીઓને મોટી સંખ્યામાં એકઠા થઈને દર અઠવાડિયે જુમ્માની નમાજ પછી ગાઝાની સરહદે પ્રદર્શન કરવા અને બૂમો પાડવા કહ્યું, - અમે અહીં પાછા આવી રહ્યા છીએ, આ જમીન અમારી છે.

આ પ્રદર્શન એટલા મોટા પ્રમાણમાં થયાં કે તેને આંતરરાષ્ટ્રીય મીડિયામાં કવરેજ મળ્યું.

ત્યાર પછી વધુ એક વાર યાહ્યાના સૂર બદલાયા અને વર્ષ 2018માં તેમણે ઇટાલિયન અખબાર 'લા રિપબ્લિકા'ને ઇન્ટરવ્યૂ આપ્યો.

આ લેખની શરૂઆતમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમણે કોઈ પશ્ચિમી મીડિયાને મુલાકાત આપી હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના હતી.

આ ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે હમાસ હવે 'અહિંસક વિરોધ'નો રસ્તો અપનાવશે અને ઇઝરાયલ સાથે વાતચીત કરવા માટે તે તૈયાર છે.

તેમની આ મુલાકાતની ઘણી ચર્ચા થઈ અને તેના અંગે જાતજાતના અંદાજ કાઢવામાં આવ્યા. પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ ન મળ્યું.

પ્રોફેસર પાશા કહે છે કે કતાર અને ઇજિપ્તના દબાણના કારણે યાહ્યાના વલણમાં નરમાઈ આવી હતી.

તેમણે જણાવ્યું, "હમાસના નેતા અને પેલેસ્ટાઇનના ભૂતપૂર્વ કાર્યકારી વડા પ્રધાન ઇસ્માઇલ હનિયા કતાર ગયા ત્યારે યાહ્યા પર પણ કતારનો પ્રભાવ વધ્યો."

પ્રોફેસર પાશા મુજબ "કતાર અને ઇજિપ્તે તેમના કટ્ટરવાદી વલણને થોડું નરમ કરવાનો પ્રયાસ કર્યો અને તેમને સમજાવ્યું કે હમાસને સશસ્ત્ર લડાઇમાં સફળતા મેળવવી મુશ્કેલ છે. તેમને ઇઝરાયલ સાથે વાતચીત કરવા સમજાવાયા."


તેજ યાદશક્તિ અને 'લોકોની કાળજી રાખતા' નેતા

https://youtu.be/xxN5izTThac

આ વર્ષે માર્ચમાં હમાસની શુરા કાઉન્સિલની ચૂંટણીમાં યાહ્યા સિનવારે વધુ એક વખત જીત મેળવી અને તેઓ આગામી ચાર વર્ષ માટે હમાસની રાજનૈતિક વિંગના પ્રમુખ બની ગયા.

જેરૂસલેમમાં ઉપસ્થિત પત્રકાર હરેન્દ્ર મિશ્રાએ આ ચૂંટણી વખતે ગાઝાના સ્થાનિક લોકો સાથે વાત કરી હતી અને યાહ્યા વિશે તેમની ધારણા સમજવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે જણાવ્યું, "સામાન્ય લોકોની વચ્ચે યાહ્યા સિનવારની છબિ એક ઇમાનદાર, લોકોની કાળજી રાખતા, સાદગીપૂર્ણ અને પેલેસ્ટાઇન માટે સમર્પિત નેતાની છે."

જોકે, હરેન્દ્ર એમ પણ જણાવે છે કે કેટલાક લોકો દબાતા અવાજે કહે છે કે ગાઝામાં પાયાની સ્થિતિ આટલી ખરાબ હોવા છતાં હમાસે લોકોની ચિંતા કરવાના બદલે માત્ર પોતાની સૈન્યશક્તિ વધારવા પર ધ્યાન આપ્યું હતું.

પ્રોફેસર એ. કે. પાશા મુજબ યાહ્યા સિનવાર હમાસના લોકપ્રિય અને અત્યંત ચાલાક નેતા ગણવામાં આવે છે. તેમની યાદશક્તિ બહુ તેજ છે અને વર્ષો અગાઉ થયેલી વાતચીતની નાનામાં નાની વિગતનો તેઓ યાદ રાખી શકે છે.


યાહ્યાના 'એકરૂપ' અને એક જ નંબરની ગાડીઓ

https://youtu.be/GF7j1QV_Rc8

ઇઝરાયલી સેનાએ યાહ્યા સિનવારના ઘર પર હુમલો કરીને તેને નષ્ટ કરવાની વાત તો કરી છે, પરંતુ હુમલા પછી તેઓ કેવી સ્થિતિમાં છે તે વિશે હજુ કોઈ માહિતી નથી મળી.

હમાસે પણ યાહ્યા સિનવાર વિશે હજુ સુધી કોઈ માહિતી નથી આપી.

હમાસથી વાકેફ નિષ્ણાતોનું કહેવું છે કે યાહ્યા આ હુમલામાં બચી ગયા હોય તે શક્ય છે.

એ. કે. પાશા કહે છે કે, "કોઈ મૃત્યુ પામ્યું હોય તો પણ તે યાહ્યા સિનવારના ડમી (હમશક્લ) હોય તે શક્ય છે."

હરેન્દ્ર મિશ્રા જણાવે છે કે હમાસના લગભગ તમામ મોટા નેતાઓના એકરૂપી છે જેઓ ઇઝરાયલી સેના અને જાસૂસી એજન્સીને થાપ આપવા માટે એક જ નંબરપ્લેટ ધરાવતી જુદી જુદી કારનો ઉપયોગ કરે છે.


યાહ્યા સિનવાર માર્યા ગયા હશે તો?

https://youtu.be/r2_TRj2SKco

હરેન્દ્ર મિશ્રા કહે છે કે યાહ્યા સિનવાર ઇઝરાયલી બૉમ્બમારામાં માર્યા જાય તો હમાસ માટે તે ચોક્કસપણે એક મોટો ફટકો હશે.

તેઓ કહે છે, "યાહ્યા સિનવાર એક એવી વ્યક્તિ છે જેઓ હમાસની સૈન્ય વિંગ પર પણ એટલી જ મજબૂત પકડ ધરાવે છે જેવી પકડ રાજકીય વિંગ પર છે. તેથી તેઓ માર્યા જાય તો હમાસને નુકસાન થશે."

જોકે, એકે પાશા માને છે કે યાહ્યા મૃત્યુ પામે તો હમાસની કમર તૂટી જશે એવું નથી.

તેમણે કહ્યું, "હમાસનો પોતાનો પોલિટ બ્યૂરો છે. ઘણા તાલીમબદ્ધ કમાન્ડરો છે જેઓ ગમે તે સમયે નેતૃત્વ પોતાના હાથમાં લેવા માટે તૈયાર રહે છે."


હમાસના કેટલાય મોટા નેતાઓ ખરેખર માર્યા ગયા છે?

https://youtu.be/RQAsh0zM_nU

ઇઝરાયલી સેનાએ ગયા સપ્તાહમાં હમાસના અનેક મોટા નેતાઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, આ યાદીમાં યાહ્યા સિનવારનું નામ નથી.

હરેન્દ્ર મિશ્રા કહે છે, "સામાન્ય રીતે ઇઝરાયલ હમાસના કોઈ મોટા નેતાને મારી નાખ્યા હોવાનો દાવો કરે અને તે અહેવાલ ખોટા હોય તો હમાસ કોઈ પણ રીતે તેનો રદિયો આપે છે. પરંતુ આ વખતે એવું નથી થયું."

આ વખતે હમાસના ઘણા મોટા નેતાઓને ખતમ કર્યાના ઇઝરાયલના દાવા અંગે હમાસે પ્રતિભાવ નથી આપ્યો.

તેના કારણે એવી શક્યતા દર્શાવાય છે કે ઇઝરાયલી હુમલામાં કદાચ ખરેખર તેમનું મોત થયું છે.

હરેન્દ્ર મિશ્રા કહે છે કે આટલી મોટી સંખ્યામાં પોતાના નેતાઓને ગુમાવવા એ હમાસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/J45WR0NYmxA

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Israel-Palestine conflict: Who is Yahya Sinwar of Hamas, known for its pro-Israel massacre?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X