USમાં વિદેશ મંત્રી જયશંકરે ઉઠાવ્યો મુદ્દો, કહ્યુ - ઈંધણની કિંમતો અમારી કમર તોડી રહી છે
અમેરિકાના વિદેશ સચિવ એન્ટની બ્લિંકન અને વિદેશ સચિવ ડૉ. એસ. જયશંકરે વૉશિંગ્ટનમાં સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી.
નવી દિલ્લીઃ અમેરિકાના વિદેશ સચિવ એન્ટની બ્લિંકન અને વિદેશ સચિવ ડૉ. એસ. જયશંકરે વૉશિંગ્ટનમાં સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને જણાવ્યુ હતુ કે આજની મીટિંગ અને ગઈ રાતના ડિનરમાં અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને અમારા સહિયારા ઉદ્દેશ્યોને આગળ વધારવાની રીતો વિશે વાત કરી.
યુક્રેન યુદ્ધ પર એસસીઓ સમિટમાં રશિયન પ્રમુખ પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન પીએમ મોદીના નિવેદનની પ્રશંસા કરતા યુએસના વિદેશ મંત્રીએ કહ્યુ કે, 'ભારતના પીએમ મોદીએ સાચુ કહ્યુ કે આ યુદ્ધનો સમય નથી. પુતિન યુદ્ધ રોકી શકે છે. જો યુક્રેન રોકે તો તે યુદ્ધ અટકી જશે. અમે એ વાતથી સંમત છીએ કે તે આના કરતા વધુ સારી રીતે કહી શકાય નહિ.
એન્ટની બ્લિંકને કહ્યુ કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ છે. લોકોની સામે આવતી દરેક વૈશ્વિક સમસ્યાને ઉકેલવા માટે તે મહત્વપૂર્ણ છે. ભવિષ્યને આકાર આપવાની કોશિશ કરવા માટે વધુ ક્ષમતા, તક અને જવાબદારીની જરૂર છે. માત્ર બે દેશો દ્વારા આ શક્ય નહિ બને. તેમણે F16 ફાઈટર પ્લેન અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે આ F16s માટેનો એક સતત કાર્યક્રમ છે જે પાકિસ્તાન પાસે લાંબા સમયથી છે. આ કંઈ નવુ નથી.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યુ કે આજની બેઠકમાં અમે અમારા રાજકીય સંકલન, મહત્વપૂર્ણ પ્રાદેશિક મુદ્દાઓ અને વૈશ્વિક પડકારો પર સહકાર અંગે મૂલ્યાંકનની આપ-લે કરી અને ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. આ સંદર્ભમાં હું ખાસ કરીને યુક્રેન સંઘર્ષ અને ઈન્ડો-પેસિફિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરીશ જેની અમે ખૂબ જ ગંભીરતાથી ચર્ચા કરી હતી. આ વિવાદ કોઈના હિતમાં નથી. વાતચીત દ્વારા આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
એસ. જયશંકરે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામે લડવા માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલા મજબૂત સહયોગની હું પ્રશંસા કરુ છુ. ખાસ કરીને, યુએસ પ્રતિબંધ પ્રક્રિયા દ્વારા જાણીતા અને વોન્ટેડ આતંકવાદીઓની યાદી તૈયાર કરવી એ એક મહત્વપૂર્ણ પગલુ છે. ઈંધણની કિંમતો અંગે વિદેશ મંત્રીએ કહ્યુ કે અમે ઈંધણના ભાવથી ચિંતિત છીએ. ઈંધણના ભાવ અમારી કમર તોડી રહ્યા છે. આ અમારા માટે મોટી ચિંતાનો વિષય છે.
જયશંકરે કહ્યુ કે આજે હું અમેરિકાને જોઉ છુ જે પરંપરાગત ગઠબંધનથી આગળ વિચારીને ભારત સાથે જોડાણ કરવા માટે ખૂબ જ ખુલ્લુ છે. ક્વાડ આજે સરસ કામ કરી રહ્યુ છે. તે વધુ સારી રીતે વિકાસ કરી રહ્યુ છે. આજે અમારા માટે અમેરિકા સાથેના અમારા સંબંધો શક્યતાઓની સંપૂર્ણ શ્રેણી ખોલે છે. હું સંબંધને લઈને આશાવાદી છુ.