બીએસએફ જવાનની હત્યામાં અમારો કોઈ હાથ નથીઃ પાકિસ્તાન
પાકિસ્તાને કહ્યુ છે કે ભારતના વિદેશ મંત્રીઓની વાતચીત રદ કરવાના નિર્ણયથી તે ઘણા નિરાશ છે.
પાકિસ્તાને કહ્યુ છે કે ભારતના વિદેશ મંત્રીઓની વાતચીત રદ કરવાના નિર્ણયથી તે ઘણા નિરાશ છે. તે સાથે તેમણે એ વાતનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે કે થોડા દિવસોથી બોર્ડર સિક્યોરીટિ ફોર્સ (બીએસએફ) ના જવાનની હત્યામાં તેમની કોઈ ભૂમિકા છે. ન્યૂયોર્કમાં યોજાનાર યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (ઉંગા) ના સત્રથી અલગ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ ક્રમશઃ સુષ્મા સ્વરાજ અને શાહ મહેમૂદ કુરેશીની મુલાકાત થવાની હતી. ભારતે વાતચીત રદ કરવા પાછળ જમ્મુ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિને જવાબદાર ગણાવી છે. પાકિસ્તાનનું કહેવુ છે કે ભારતે વાતચીત રદ કરીને શાંતિનો એક મોકો ગુમાવી દીધો છે. પાકે આ સાથે પોતાના નિવેદનમાં કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો છે.
પાકિસ્તાન મિલિટ્રીનો બચાવ કરી રહ્યા ઈમરાન
પાકિસ્તાન સરકાર તરફથી શુક્રવારે ભારતના વાતચીત રદ કરવા નિર્ણય બાદ એક અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકારે કહ્યુ કે, ‘છેલ્લા થોડા દિવસોમાં થયેલી બીએસએફ જવાનની હત્યામાં પાકિસ્તાન મિલિટ્રીનો કોઈ હાથ નથી.' નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ કે ભારત તરફથી 24 કલાકની અંદર વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાનાર વાતચીત રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને આની પાછળ જે કારણ બતાવવામાં આવ્યુ છે તે ઘણુ અતાર્કિક છે. નિવેદન મુજબ જે કંઈ પણ થયુ છે તે ઘણુ નિરાશાજનક છે. પાકિસ્તાન સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે પાક રેંજર્સે બીએસએફને એ વાતની જાણકારી આપી દીધી છે કે બીએસએફ જવાનની હત્યામાં તેમની કોઈ ભૂમિકા નથી અને મિલિટ્રીને આની સાથે કોઈ લેવા દેવા નથી.
આ પણ વાંચોઃ વિદેશ મંત્રીઓની બેઠક રદ કરવી દૂર્ભાગ્યપૂર્ણઃ પાકિસ્તાન
રેંજર્સની મદદથી મળ્યુ જવાનનું શબ
પાક સરકાર તરફથી અપાયેલા નિવેદનને માનીએ તો પાક રેંજર્સ તરફથી જવાનનું શબ શોધવામાં પણ મદદ કરવામાં આવી હતી. ભારતીય ઓથોરિટીઝ આ બધી બાબતોથી વાકેફ હતી અને ભારતીય મીડિયાના એક સેક્શન તરફથી પણ આ વાતની જાણકારી આપવામાં આવી હતી કે પાકિસ્તાને આ ઘટનામાં પોતાનો હાથ હોવાનો ઈનકાર કરી દીધો છે. પરંતુ તેમ છતાં એક ભાવના પ્રેરિત અને દ્વેષપૂર્ણ ભાવનાથી પરિપૂર્ણ આ પ્રોપાગાંડા ચાલુ છે. પાકિસ્તાન આ પ્રસંગે એ જ કહેશે કે તેના પર લગાવાયેલા બધા આરોપો ખોટા છે. નિવેદનની માનીએ તો સત્ય સામે લાવવા માટે પાક ઓથોરિટીઝ જોઈન્ટ ઈનવેસ્ટીગેશન માટે પણ તૈયાર છે.
કાશ્મીરનો ઉલ્લેખ અને ભારત પર લગાવ્યો આરોપ
પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારત આતંકવાદ પર ખોટી અફવાઓ ફેલાવી રહ્યુ છે. ભારત કાશ્મીરના લોકો પર ચાલી રહેલા ગુનાઓને છૂપાવી નહિ શકે અને તેમના અધિકારોને દબાવી પણ નહિ શકે. પાકિસ્તાનનું કહેવુ છે કે ભારતે દ્વિપક્ષીય સંબંધોના સ્વરૂપને બદલવા માટે મળેલો વધુ એક મોકો ગુમાવી દીધો છે. આ મોકો બંને દેશોને શાંતિ અને વિકાસના રસ્તો લઈ જઈ શકતો હતો. ગુરુવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલો એ પત્ર સામે આવ્યો જેમાં તેમણે બંને દેશો વચ્ચે અટકેલી વાતચીત ફરીથી ચાલુ કરવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ ભારતે વાતચીતનું એલાન કર્યુ હતુ. ઈમરાને પોતાના પત્રમાં પીએમ મોદીને કહ્યુ છે કે તે વર્ષ 2015 થી બંને દેશો વચ્ચે અટકેલી વાતચીત ચાલુ કરે. ત્યારબાદ ભારતે ગુરુવારે સાંજે વાતચીતનું એલાન કર્યુ હતુ.
આ પણ વાંચોઃ પેટ્રોલના ભાવમાં ફરીથી વધારો, મોંઘા તેલના મારથી હાહાકાર