તાલિબાનની વચગાળાની સરકારમાં પડ્યો ડખો, ટોચના નેતા મુલ્લા ગની બરાદર નારાજ - સૂત્ર
તાલિબાનની વચગાળાની સરકારમાં પડ્યો ડખો, ટોચના નેતા મુલ્લા ગની બરાદર નારાજ - સૂત્ર
તાલિબાનની વચગાળાની સરકારમાં અંદરોઅંદર ફાટ પડી છે. તાલિબાનના સિનિયર અધિકારીએ બીબીસીને આ વાત જણાવી છે.
તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિભવનમાં તાલિબાનના સહ-સંસ્થાપક મુલ્લા ગની બરાદરના સમૂહ અને એક કૅબિનેટ સભ્ય વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.
તાજેતરમાં મુલ્લા બરાદર જાહેરમાં દેખાયા નથી. એ બાદ અંદાજ લગાવવામાં આવે છે કે તાલિબાનની નેતૃત્વ અંગેનો વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે.
જોકે આ સમાચારને તાલિબાન અધિકૃતરૂપે નકારી કાઢે છે.
તાલિબાને ગયા મહિને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો અને અફઘાનિસ્તાનને ઇસ્લામિક ગણતંત્રથી ઇસ્લામિક અમીરાત બનાવવાની ઘોષણા પણ કરી હતી.
તાલિબાને સાતમી સપ્ટેમ્બરે નવી કૅબિનેટની જાહેરાત કરી હતી, જેના તમામ સભ્યો પુરુષ છે અને ટોચના પદો પર એ લોકો છે, જેઓ છેલ્લા બે દાયકામાં અમેરિકન દળો પર હુમલા કરવા માટે કુખ્યાત રહ્યા છે.
તાલિબાનના એક સૂત્રે બીબીસી પશ્તોને કહ્યું કે બરાદર અને ખલીલ ઉર-રહેમાન વચ્ચે બોલાચાલી થઈ અને એ પછી બંને નેતાઓના સમર્થકો અંદરોઅંદર બાખડી પડ્યા હતા.
સૂત્રના જણાવ્યા પ્રમાણે ખલીલ ઉર-રહેમાન ઉગ્રવાદી સંગઠન હક્કાની નેટવર્કના નેતા અને તાલિબાનની સરકારમાં શરણાર્થી મામલાના મંત્રી છે.
વિવાદ કેમ થયો?
કતારમાં તાલિબાનના એક સિનિયર સભ્ય અને અન્ય એક વ્યક્તિ, કે જે આ વિવાદમાં સામેલ હતા, તેમણે ખરાઈ કરી છે કે ગયા અઠવાડિયે આ ઘટના બની હતી.
સૂત્રો પ્રમાણે જેમને વચગાળાની સરકારમાં નાયબ વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે, તેનાથી બરાદર ખુશ નથી એ કારણે વિવાદ થયો છે. અફઘાનિસ્તાનમાં જીતનું શ્રેય લેવાને લઈને પણ તાલિબાનના નેતાઓ અંદરોઅંદર બાખડી રહ્યા છે.
રિપોર્ટ્સ પ્રમાણે બરાદરને લાગે છે કે તેમની કૂટનીતિને કારણે તાલિબાનને અફઘાનિસ્તાનમાં સત્તા મળી છે, જ્યાર હક્કાની નેટવર્કના સભ્યો અને સમર્થકોને માને છે કે અફઘાનિસ્તાનમાં જીત લડાઈના દમ પર થઈ છે. હક્કાની નેટવર્કની કમાન હાલ સિરાજુદ્દીન હક્કાની પાસે છે જેઓ તેના સ્થાપક જલાલુદ્દીન હક્કાનીના પુત્ર છે.
બરાદર તાલિબાનના પ્રથમ એવા નેતા છે, જેમણે 2020માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર સીધી વાતચીત કરી હતી.
આ પહેલાં તેમણે તાલિબાન તરફથી દોહા સમજૂતીમાં અમેરિકન સૈનિકોને પરત બોલાવી લેવા માટે સમજૂતી પર સહી કરી હતી.
બીજી તરફ શક્તિશાળી હક્કાની નેટવર્ક છે, જે છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન અફઘાનિસ્તાનમાં પશ્ચિમી દળો પર થયેલા સૌથી હિંસક હુમલામાં સામેલ રહ્યું છે.
અમેરિકાએ આ જૂથને 'આતંકવાદી સંગઠન' જાહેર કરેલું છે. તેમના નેતા સિરાજુદ્દીન હક્કાની તાલિબાનની નવી સરકારમાં ગૃહમંત્રી છે.
- હક્કાની નેટવર્ક કેટલું ખતરનાક, તાલિબાનનું સંગઠન માળખું શું છે?
- પુરષોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા, મનસુખ માંડવિયા, પ્રફૂલ પટેલ કેમ ન બની શક્યા મુખ્ય મંત્રી?
- જે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી ત્યાં અચાનક આટલો ભારે વરસાદ કેમ પડ્યો?
તાલિબાનનું સંગઠન માળખું શું છે?
https://www.youtube.com/watch?v=tIkNOw4F3-A
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો