Putin India Visit: રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા પછી પુતિને શું કહ્યું?
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે તેમની ભારત યાત્રા દરમિયાન રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે મુલાકાતી પુસ્તિકામાં ગાંધીજીને આધુનિક ભારતના સંસ્થાપક, મહાન દાર્શનિક અને માનવતાવાદી ગણાવ્યા.

પુતિને જણાવ્યું કે મહાત્મા ગાંધીએ એક બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાની કલ્પના કરી હતી, જે હવે આકાર લઈ રહી છે, અને રશિયા તથા ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર સમાનતા, પરસ્પર સન્માન તથા સહયોગના એ જ સિદ્ધાંતોનું સંયુક્તપણે પાલન કરે છે. આ મુલાકાત દરમિયાન પુતિને વડાપ્રધાન મોદી સાથે 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.
આ બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના સંદર્ભમાં પુતિને જણાવ્યું કે, ગાંધીજીએ આધુનિક અને ન્યાયી વૈશ્વિક વ્યવસ્થાની કલ્પના કરી હતી, જે હવે આકાર લઈ રહી છે. તેમણે લિયો ટોલ્સટોયને લખેલા ગાંધીજીના પત્રોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં ગાંધીજીએ તાનાશાહી અને આધિપત્ય (Hegemony) મુક્ત વિશ્વના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.
રાજઘાટની મુલાકાત પહેલાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિવાદન કર્યું. ત્રણેય સેનાઓ દ્વારા ગાર્ડ ઑફ ઑનર અપાયું, અને પરિસર ભારતીય-રશિયન રાષ્ટ્રગાનની ધૂનથી ગુંજી ઉઠ્યું. વિદેશ મંત્રી એસ. જયશંકર, દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા, જ્યાં બંને રાષ્ટ્રપતિઓએ પોતપોતાના પ્રતિનિધિમંડળનો પરિચય કરાવ્યો.
રશિયન રાષ્ટ્રપતિ પુતિનના આગમન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને પાલમ હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું અને ગળે લગાવ્યા. મોદીએ 'એક્સ' (પૂર્વમાં ટ્વિટર) પર પોસ્ટ કરીને બંને નેતાઓની મિત્રતાને "સમયની કસોટી પર ખરી ઉતરેલી" ગણાવી. પુતિન અને મોદી વડાપ્રધાનના લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાન સુધી એક જ કારમાં ગયા, જ્યાં પુતિનને પવિત્ર ભગવદ ગીતાની એક પ્રતિ ભેટમાં આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
