યુક્રેનના મારિયુપોલમાં પ્રસૂતિગૃહ પર રશિયાનો હવાઈ હુમલો, સંખ્યાબંધ લોકો કાટમાળમાં દટાયા
યુક્રેનના મારિયુપોલમાં પ્રસૂતિગૃહ પર રશિયાનો હવાઈ હુમલો, સંખ્યાબંધ લોકો કાટમાળમાં દટાયા
મારિયુપોલ શહેરમાં એક મૅટરનિટી હૉસ્પિટલ રશિયન હવાઈ હુમલાનું નિશાન બની હોવાનું યુક્રેને જણાવ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ જણાવ્યું હતું કે સંખ્યાબંધ લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા છે. તેમણે આ હુમલાને યુદ્ધનો ગુનો ગણાવ્યો હતો.
તેમણે હૉસ્પિટલની અંદરના હિસ્સાનું વીડિયો ફૂટેજ પણ પોસ્ટ કર્યું હતું, હૉસ્પિટલની અંદરના ભાગમાં વ્યાપક નુકસાન થયેલું જોવા મળે છે.
દોનેત્સ્કના વહીવટી વડા પાવલો ક્યારિલેન્કોએ જણાવ્યું હતું કે કોઈ મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી નથી અને બાળકો ઘાયલ થયાંના અહેવાલ પણ નથી.
ઇન્ટરફેક્સ યુક્રેનના અહેવાલ મુજબ, પાવલો ક્યારિલેન્કોએ એમ પણ જણાવ્યું હતું કે આ હવાઈ હુમલો રશિયા સાથેના યુદ્ધવિરામના સમયગાળામાં કરવામાં આવ્યો હતો.
મારિયુપોલ સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે હુમલાને કારણે "ભારે નુકસાન" થયું છે. સિટી કાઉન્સિલે બળી ગયેલી ઇમારતો, નુકસાન પામેલી મોટરકારો અને હૉસ્પિટલની બહાર પડેલા મોટા ખાડાને દર્શાવતું વીડિયો ફૂટેજ પણ પ્રકાશિત કર્યું હતું.
બીબીસીએ આ વીડિયોમાંના લોકેશનની પુષ્ટિ કરી છે. મારિયુપોલના ડેપ્યુટી મેયર સેર્હીય ઓર્લોવે બીબીસીને કહ્યું હતું કે "આજના આધુનિક સમયગાળામાં બાળકોની હૉસ્પિટલ પર કોઈ કઈ રીતે હુમલો કરી શકે તે અમને સમજાતું નથી. આ ઘટના સાચી હોવાનું લોકો માની શકતા નથી."
રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીનો સવાલ?
રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ લેટેસ્ટ વીડિયો સંબોધનમાં સવાલ કર્યો હતો કે "રશિયા કેવા પ્રકારનો દેશ છે, જે હૉસ્પિટલ્સ તથા પ્રસૂતિના વોર્ડ્ઝથી ડરે છે અને તેને ધ્વસ્ત કરી નાખે છે?"
નિર્દોષ નાગરિકો પર "જંગલી" બળપ્રયોગને વ્હાઇટ હાઉસે વખોડી કાઢ્યો હતો, જ્યારે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને એવી ટ્વીટ કરી હતી કે "કેટલાંક કૃત્યો નિર્બળ અને રક્ષણવિહોણા લોકોને નિશાન બનાવવા કરતાં પણ વધારે ખરાબ છે."
મારિયુપોલમાં રશિયન દળોએ છેલ્લા ઘણા દિવસથી ઘેરો ઘાલ્યો છે અને નાગરિકો શહેરમાંથી જઈ શકે એ હેતુસરના યુદ્ધવિરામના પ્રયાસોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
યુક્રેનના રેડ ક્રોસનાં કાર્યકર ઓલેના સ્ટોકોઝે બીબીસીને કહ્યું હતું કે "સમગ્ર શહેરમાં વીજળી, પાણી, ભોજનસામગ્રી કે બીજું કશું નથી અને લોકો ડીહાયડ્રેશનને કારણે મરી રહ્યા છે."
ઓલેનાએ ઉમેર્યું હતું કે તેમનું સંગઠન લોકોને ઉગારવા માટે કોરિડોર બનાવવાના પ્રયાસો ચાલુ રાખશે.
ડેપ્યુટી મેયર ઓર્લોવે જણાવ્યું હતું કે રશિયાએ બૉમ્બમારો શરૂ કર્યા પછી શહેરના કમસેકમ 1,170 નાગરિકો મૃત્યુ પામ્યા છે અને 47 લોકોને બુધવારે સામુહિક કબરમાં દફનાવવામાં આવ્યા હતા. જોકે, આ આંકડાને સત્તાવાર રીતે પ્રમાણિત કરી શકાયા નથી.
સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા મુજબ, સમગ્ર યુક્રેનમાં 516 નાગરિકો મૃત્યુ પામ્યાને સત્તાવાર સમર્થન મળ્યું છે, પરંતુ વાસ્તવિક આંકડો "નોંધપાત્ર રીતે વધારે" છે.
રશિયા ભારપૂર્વક જણાવતું રહ્યું છે કે તેણે યુક્રેનમાં નાગરિક માળખાને નિશાન બનાવ્યું નથી. નાગરિકોને ઉગારવાના પ્રયાસરાષ્ટ્રપતિના વહીવટીતંત્રના નાયબ વડા ક્યારીલો તાયમોશેન્કોના જણાવ્યા મુજબ, દેશમાંના માનવીય કોરિડોર્સ મારફત અત્યાર સુધીમાં યુક્રેનના આશરે 48,000 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
એ પૈકીના મોટાભાગના એટલે કે આશરે 43,000 લોકો રશિયાની સરહદ નજીક આવેલા પૂર્વ યુક્રેનના સૂમી શહેરને છોડી ગયા છે. બીજા 3,500 નાગરિકોને કિએવના પરા વિસ્તારમાંથી ઉગારવામાં આવ્યા છે. એ વિસ્તારો પર રશિયાએ જોરદાર બૉમ્બમારો કર્યો હતો. હવે એ પૈકીના મોટાભાગના વિસ્તારો પર રશિયન દળોનો કબજો છે.
કિએવની ઉત્તર-પશ્ચિમે આવેલા ઇરપિનમાં આ સપ્તાહની શરૂઆતમાં જોરદાર બૉમ્બમારા પછી કેટલાક નાગરિકોએ શહેર છોડી દીધું હતું.
યુક્રેનના સશસ્ત્ર દળો નાગરિકોને ઉગારવાના છ માર્ગો પર બુધવારે સવારે નવથી રાતના નવ વાગ્યા સુધી યુદ્ધવિરામ માટે સહમત થયા હતા.
મૉસ્કોએ જણાવ્યું હતું કે તે પણ યુદ્ધવિરામનું પાલન કરશે, પરંતુ રશિયા તરફથી બૉમ્બમારો સતત ચાલુ રહ્યો હતો અને નાગરિકોનાં મોતના અહેવાલો પણ મળ્યા હતા.
રશિયાના સતત બૉમ્બમારાને કારણે ખારકિએવની દક્ષિણ-પૂર્વમાંના મહત્ત્વના ઇઝ્યુમ કૉરિડોરમાંથી નાગરિકોને ઉગારવાની કામગીરી અટકાવવી પડી હતી.
https://www.youtube.com/watch?v=5u_zgd7J9gM
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો