પ્રધાનમંત્રી મોદીને મળવા માંગતા હતા ચીની વિદેશ મંત્રી, ભારતે પ્રેમથી કહ્યુ, સૉરી, એ બહુ બિઝી છે
ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરવા માંગતા હતા પરંતુ...
નવી દિલ્લીઃ ગુરુવારે અચાનક ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરવા માંગતા હતા પરંતુ ભારતીય અધિકારીઓએ ખૂબ વિનમ્રતાપૂર્વક તેમને ના પાડી દીધી. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ મુજબ ભારતીય અધિકારીઓએ ચીનના વિદેશ મંત્રી વાંગ યીના પીએમ મોદીને મળવાની ઈચ્છાનો ઈનકાર કરી દીધો.
પીએમ મોદીને મળવા માંગતા હતા ચીની એફએમ
ચીની વિદેશ મંત્રી વાંગ યી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે બેઈજિંગથી નવી દિલ્લી પહોંચ્યા હતા પરંતુ સાઉથ બ્લૉકે નમ્રતાથી તેમના અનુરોધને ના પાડી દીધી. રિપોર્ટ મુજબ ભારતીય અધિકારીઓએ ચીનના વિદેશ મંત્રીને જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે લખનઉમાં રહેશે કારણકે એ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં વ્યસ્ત રહેશે. નવી દિલ્લીના અઘોષિત પ્રવાસ પર આવેલા વાંગ યી બે વર્ષથી વધુ સમય બાદ ભારત પ્રવાસે આવ્યા હતા. વાંગ યી ગુરુવારે સાંજે 7.45 વાગે દિલ્લી પહોંચ્યા હતા અને શુક્રવારે બપોરે લગભગ 3 વાગે ભારતનો પ્રવાસ ખતમ કરીને નેપાળ જતા રહ્યા હતા.
પીએમ મોદી સાથે કેમ કરવા માંગતા હતા મુલાકાત?
જો કે, ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેમ મળવા માંગતા હતા એ તો સ્પષ્ટ નથી થઈ શક્યુ પરંતુ એક્સપર્ટનુ માનવુ છે કે ચીન ઈચ્છે છે કે વર્ષના અંતે થનારા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી ચીનનો પ્રવાસ કરે જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભાગ લેવાના છે. બ્રિક્સ ઘણુ મહત્વનુ સંગઠન છે જેમાં ભારત, ચીન અને રશિયા ઉપરાંત પૂર્વ આફ્રિકાના દેશ પણ શામેલ છે અને આ વર્ષે બ્રિક્સની યજમાની ચીન પાસે છે અને ચીન આ સંમેલનને સફળ કરીને અમેરિકાને પણ એક સંદેશ આપવા માંગે છે અને જો ભારતીય પ્રધાનમંત્રી આ સંમેલનમાં ન જાય તો પછી ચીન માટે આ એક મોટો ઝટકો હશે કારણકે ભારતે ગયા સપ્તાહે જ 400 અબજ ડૉલરના એક્સપોર્ટના લક્ષ્યને પાર કર્યુ છે. પરંતુ વિદેશ નીતિના જાણકારોનુ કહેવુ છે કે બ્રિક્સ સંમેલન માટે પીએમ મોદીનુ ચીન જવુ ઘણુ મુશ્કેલ છે કારણકે ચીને હજુ સુધી લદ્દાખમાં પોતાના સૈનિકોને પાછા બોલાવ્યા નથી.
અજીત ડોભાલને આમંત્રણ
સૂત્રોએ જણાવ્યુ કે ચીને ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને વિશેષ પ્રતિનિધિ તરીકે ચીને આમંત્રિત કર્યા છે. સૂત્રોએ કહ્યુ કે એનએસએ ડોભાલે સકારાત્મક પ્રતિક્રિયા આપીને કહ્યુ કે તત્કાલ મુદ્દાઓને સફળતાપૂર્વક ઉકેલ્યા બાદ તે ચીનની યાત્રા કરી શકે છે. જો કે, ચીને ભારતને અફઘાનિસ્તાન પર પ્રસ્તાવિત બેઠક માટે આમંત્રિત કર્યુ નથી જે બેઈજિંગમાં બોલાવવામાં આવી રહી છે જેમાં પાકિસ્તાન ઉપરાંત રશિયા પણ ભાગ લેવાનુ છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યુ કે, 'ના, તેમણે(ચીને) અમને આમંત્રિત કર્યા નથી.'