બ્રિટિશ સરકારનો દિવાળી, ઇદની રજા જાહેર કરવાનો ઇનકાર
લંડન, 18 જૂન : બ્રિટિશ સરકારે ભારતીય તહેવારો દિવાળી અને ઈદના દિવસને રાષ્ટ્રીય રજાના દિવસ તરીકે જાહેર કરવાની દરખાસ્તને નકારી કાઢી છે. યુકે સરકારે જણાવ્યું છે કે દેશમાં જાહેર રજાઓમાં આ બેનો ઉમેરો કરવાથી દેશના અર્થતંત્રને માઠી અસર પડશે.
બ્રિટનમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો દ્વારા ઉજવાતા દિવાળી અને ઈદ તહેવારોના દિવસને જાહેર રજા ઘોષિત કરવાની એક ઓનલાઈન પીટિશન દ્વારા અપીલ કરવામાં આવી હતી. તે માટે 1,21,843 વ્યક્તિઓએ સહી કરી હતી. ત્યારબાદ આ બે તહેવારને જાહેર રજા ઘોષિત કરવાની માગણી કરતા પ્રસ્તાવને જાહેર સભાની બેકબેન્ચ બિઝનેસ કમિટીએ પાસ કર્યો હતો. જે ઈ-પીટિશન પર એક લાખ કરતા વધારે સહી આવે તેની પર ગૃહમાં ચર્ચા કરવી પડે.
જોકે બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કિલ્સ મંત્રાલયે આ તહેવારો માટે જાહેર રજા કે બેન્ક હોલીડે ઘોષિત કરવાનો ઈનકાર કરી દીધો છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, આ નવી જાહેર રજાઓથી અમુક સમુદાયો અને ક્ષેત્રના લોકોને ફાયદો થશે એ અમે જાણીએ છીએ, પણ એનાથી દેશના અર્થતંત્ર પર માઠી અસર પડે તેમ હોવાથી અમે તેને મંજુર રાખતા નથી.
મહત્વની બાબત એ છે કે 'ડુ નોટ મેક ઇદ એન્ડ દિવાલી પબ્લિક હોલિડે' નામની વિરોધી પીટિશનને માત્ર 35 મતો મળ્યા હોવા છતાં તેને ધ્યાનમાં લેવામાં આવી ન હતી અને રજા નામંજુર કરવામાં આવી છે.