યૂએનમાં પાક.ની ફજેતી, કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર
નવી દિલ્હી, 14 ઓક્ટોબર: સરહદ પર ભારતીય જવાનો દ્વારા જડબાતોડ જવાબ અપાયા બાદ યૂએનમાં પણ પાકિસ્તાનને તમાચો ખાવો પડ્યો છે. યૂએને પાકિસ્તાનના એ પ્રસ્તાવને ઠૂકરાવી દીધો છે જેમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય મંચ પર આ ખૂબ જ મોટી ફજેતી છે.
સરહદ પર સીઝફાયર ઉલ્લંઘનનું ભારત તરફથી દમદાર જવાબ મળ્યા બાદ હતાશામાં ગરકાવ થઇ ગયેલા પાકિસ્તાન માટે સંયુક્ત રાષ્ટ્રનો નિર્યણ વધું નિરાશા લઇ આવ્યો છે. પાકિસ્તાન સરકાર દ્વારા થોડા દિવસ પહેલા સરહદ પર થયેલા સીઝફાયર ઉલ્લંઘનના કારણે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવા પત્ર લખીને વિનંતી કરી હતી. જોકે સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતા જણાવ્યું કે આ બંને દેશોનો આંતરિક મુદ્દો છે. યૂએને બંને દેશોને આ મુદ્દાને પોતાની રીતે ઉકેલવા જણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે યૂએનના મહાસચિવ બાન કી મૂનને પત્ર લખીને કાશ્મીર મુદ્દા પર દખલ દેવાની માંગ કરી હતી. એટલું જ નહીં તેમણે યૂએનના સીનેટર્સને પણ આ મામલે દખલગીરી કરવાની માંગ કરી હતી, જેમાં હસ્તક્ષેપ કરવા યૂએને ઇનકાર કરી દીધો છે.
અત્રે એક ઉલ્લેખ ચોક્કસ કરી શકાય કે ન્યૂયોર્કમાં મળેલી હાલની યૂએનજીએની સભામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કાશ્મીર મુદ્દાને ઊઠાવ્યો હતો, જ્યારે તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 'ભારત પાકિસ્તાન સાથે શાંતિવાર્તા ઇચ્છે છે પરંતુ આતંકવાદના ઓછાયા હેઠળ નહીં. તેમજ કાશ્મીર મુદ્દાને યૂએનમાં ઊઠાવવાથી તેની કેટલી અસર થશે તેમાં ઘણાને શંકા છે.' યૂએન દ્વારા કાશ્મીર મુદ્દા પર દખલગીરી કરવાને એવું ચોક્કસ કહી શકાય કે મોદીના વિચાર અને યૂએનના વિચાર એક સમાન છે.