પાકિસ્તાનમાં ઈમરાન ખાનને હટાવવા માટેના પ્રયાસો કેમ કરાઈ રહ્યા છે?
પાકિસ્તાનમાં ઈમરાન ખાનને હટાવવા માટેના પ્રયાસો કેમ કરાઈ રહ્યા છે?
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર પર વિપક્ષના હુમલા વધતા જઈ રહ્યા છે. સતત વિરોધપ્રદર્શનોની કડીમાં રવિવારે પણ એક મોટી વિરોધરેલી આયોજિત કરાઈ છે.
વિપક્ષનો આરોપ છે કે ઈમરાન ખાન સેના સાથે મળીને અને ગેરરીતિ આચરીને સત્તામાં આવ્યા હતા.
જોકે, સરકારે કોરોના વાઇરસને કારણે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી છે.
તેમજ વડા પ્રધાન ઈમરાન ખાનનું કહેવું છે કે આ વિરોધપ્રદર્શનો તેમને બ્લૅકમેલ કરવા માટે કરાઈ રહ્યાં છે. જેથી તેઓ વિપક્ષના નેતાઓ વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર કાર્યવાહી ન કરે.
પાકિસ્તાનની સેનાનું કહેવું છે કે તેઓ રાજકારણમાં હસ્તક્ષેપ નથી કરતી. ઈમરાન ખાને પણ ચૂંટણી જીતવામાં સેનાએ મદદ કરી હોવાના આરોપ નકાર્યા છે.
આ રેલીઓ પાછળ કોણ છે?
પાકિસ્તાન ડેમૉક્રેટિક મૂવમેન્ટ (PDM)એ 16 ઑક્ટોબરથી ઘણાં વિરોધપ્રદર્શન આયોજિત કર્યાં છે. તેના સભ્યોમાં દક્ષિણપંથી ધાર્મિક સમૂહોથી લઈને સેંટ્રિસ્ટ, લેફ્ટ સેંટ્રિસ્ટ અને રાષ્ટ્રવાદી સેક્યુલર પણ સામેલ છે.
દેશના ચાર પ્રાંતોમાંથી ત્રણ પંજાબ, સિંધ, બલૂચિસ્તાનમાં મોટી મોટી રેલીઓ થઈ ચૂકી છે. રવિવારે ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં PDMની પ્રથમ રેલી થશે.
વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે તેઓ 'અપ્રતિનિધિત્વ' વાળી સરકારને હઠાવવા માગે છે જેની પર ન્યાયતંત્ર પર દબાણ કરવાના અને અર્થતંત્રના કુપ્રબંધનો આરોપ છે.
PDM હાલમાં જ બનેલા એક ગઠબંધનનો ભાગ છે જેનો ઉદ્દેશ એ પાકિસ્તાનમાં લોકશાહી લાવવાનો છે જે સતત નાગરિકો અને સેના વચ્ચેના સંઘર્ષ સામે ઝૂઝી રહ્યું છે.
પરંતુ આ વખત ખાસ વાત એ છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ રાજકારણમાં પાછા ફરી રહ્યા છે અને આ વખતે તેમણે કંઈક અલગ કર્યું છે.
તેમણે પાકિસ્તાની સેનાના બે મોટા અધિકારીઓ આર્મી ચીફ જનરલ કમર બાજવા અને ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ પર નિશાન તાક્યું છે. આવું પાકિસ્તાનના 73 વર્ષના ઇતિહાસમાં ક્યારેય નહોતું થયું.
નવાઝનું કહેવું છે કે તેઓ બંને પાકિસ્તાનના રાજકારણ અને આર્થિક ચિંતાઓ માટે જવાબદાર છે.
- પાકિસ્તાન માટે ચીનની મદદ દવા નહીં દર્દ બની ગઈ?
- જૂનાગઢ લેવા જતાં મહમદ અલી ઝીણાએ કાશ્મીર ગુમાવ્યું હતું?
આ રેલીઓમાં શું જોવા મળ્યું?
https://www.youtube.com/watch?v=Zko1IpTqZ8M
આ રેલીઓ રોડ બ્લૉકર અને ધરપકડ છતાં ગુજરાંવાલા, કરાચી અને ક્વેટામાં આયોજિત કરાઈ.
સિંધના પાટનગર કરાચીમાં 19 ઑક્ટોબરની રેલી બાદ નવાઝ શરીફના જમાઈ સફદર અવાનની હોટલના રૂમમાંથી વહેલી સવારે ધરપકડ કરાઈ હતી.
આ પગલા બાદ સરકાર અને સેનાને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. સુરક્ષાકર્મીઓ દ્વારા દરવાજો તોડીને અંદર જવાનો વીડિયો સામે આવ્યો જ્યાં સફદર પોતાની પત્ની સાથે સૂતા હતા.
ટૂંક સમયમાં જ એ વાત સામે આવી ગઈ કે દરોડા પહેલાં જ સિંધના પોલીસ ચીફને તેમના ઘરેથી સિક્રેટ સર્વિસની ઑફિસ લઈ જવામાં આવ્યા અને સફદરની ધરપકડના આદેશ પર તેમની સહી લેવામાં આવી.
ત્યાર બાદ સિંધ પોલીસના તમામ અધિકારીઓએ વિરોધમાં રજા પર ઊતરવાની વાત કરી. આર્મી ચીફ દ્વારા સિંધ પોલીસ ચીફ સાથે કરાયેલા આ વર્તન અંગે તપાસના આદેશ બાદ પોલીસ અધિકારી થોડા શાંત થયા.
જોકે, આર્મી ચીફે કેટલાક ISI અને સેનાના અધિકારીઓને હઠાવવાના આદેશ આપ્યા પરંતુ તેમની વિરુદ્ધ કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થઈ.
પ્રશાસને મીડિયા પર પણ રેલીનાં કેટલાંક ભાષણો દેખાડવા દબાણ કર્યું.
જ્યારે લંડનથી નવાઝ શરીફનો વીડિયો સંદેશ શરૂ થયો કે રાષ્ટ્રવાદી નેતા મોહસીન દાવરનું ભાષણ શરૂ થયું ત્યારે ન્યૂઝ ચૅનલ રેલીના લાઇવ કવરેજ વારંવાર કાપીને સ્ટૂડિયોમાં લઈ જતા હતા.
આ નેતાઓએ આર્મી પર લોકોને ગાયબ કરવાના, માનવાધિકારના ઉલ્લંઘન અને ઈમરાન સરકારને પડદા પાછળથી કંટ્રોલ કરવાનો આરોપ લગાવ્યો.
ચૂંટણીમાં ગેરરીતિ થઈ?
ઈમરાન ખાન અને તેમની ટીમનો દાવો છે કે લોકોએ તેમને એટલા માટે મત આપ્યો કારણ કે તેઓ પાછલી સરકારોના ભ્રષ્ટાચારથી કંટાળી ચૂક્યા હતા.
પરંતુ સ્વતંત્ર નિરીક્ષણકર્તાઓ પ્રમાણે વર્ષ 2018ની ચૂંટણી પાકિસ્તાનના ઇતિહાસની સૌથી ખરાબ ચૂંટણી હતી. ચૂંટણી પહેલાંનો સર્વે નવાજ શરીફની PML-N પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી રહ્યા હતા પરંતુ ઘણા ઓછા મતોના અંતરથી ઈમરાન ખાનની PTI ચૂંટણી જીતી ગઈ.
ઇલેક્શન પહેલાં નવાઝ શરીફ વડા પ્રધાનના પદ પર હતા ત્યારે જ તેઓ દોષી સાબિત થઈ ગયા અને તેમને જેલભેગા કરી દેવાયા. ત્યાર બાદ તેમને સ્વાસ્થ્ય કારણોને લીધે બ્રિટન જવાની મંજૂરી મળી ગઈ.
ચૂંટણીના દિવસે જ નૅશનલ રિઝલ્ટ સર્વિસ ક્રૅશ થઈ ગઈ. જે કારણે દરેક ક્ષેત્રમાંથી આવનાર વોટ કાઉંટ ઑનલાઇન ન જોઈ શકાયા. ઘણા પોલિંગ એજન્ટોનો આરોપ હતો કે આખરી નિર્ણય તેમના દ્વારા મોકલાવાયેલ વોટ કાઉંટ કરતાં વિપરીત હતો.
તેથી ઈમરાન ખાને એક સંદિગ્ધતા સાથે પોતાની ઇનિંગ શરૂ કરી. ત્યાર બાદ સરકારી સંસ્થાઓ પર માનવાધિકાર ઉલ્લંઘનોના આરોપો લાગતા રહ્યા છે, મીડિયા પરનું દબાણ ગયું અને સેનાની ટીકા કરનાર પત્રકારોને ધમકીઓ મળવા લાગી અને ઘણી વાર તેમનાં અપહરણ પણ થયાં.
હાલમાં જ કરાચીના એક પત્રકાર સાથે પણ કંઈક આવું થયું જેમણે સફદરની હોટલના રૂમમાં દરોડા દરમિયાન CCTV ફુટેજ શૅર કર્યા હતા.
હવે શું થશે?
https://www.youtube.com/watch?v=o__pehBQRT0
અત્યારે કોઈને ખબર નથી કે આ વિરોધથી શું હાંસલ થશે. પરંતુ બધાને ખ્યાલ છે કે આ લડત સેના અને નેતાઓ વચ્ચે છે, જેમાં વિરોધીઓ ઈમરાન ખાનને સેના માટે કામ કરનાર તરીકે જ જોઈ રહ્યા છે.
આ વિરોધી રેલીઓએ સરકારની વિશ્વસનીયતા પર તો પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમજ આર્મી અને ISIના પ્રમુખોને સીધેસીધો પડકાર પણ ફેંક્યો છે અને એ પણ એક એવા દેશમાં જે તખ્તાપલટ અને નાગરિક-સૈન્ય સંઘર્ષની જમીન રહ્યો છે.
છેલ્લે વર્ષ 2008માં આવો વિરોધ જોવા મળ્યો હતો જ્યારે જનરલ પરવેઝ મુશર્રફને હઠાવીને બંધારણ બહાલ કરવામાં આવ્યું.
પાકિસ્તાન સેનાનાં ઍક્સપર્ટ આયશા સિદ્દિકાનું માનવું છે કે વિપક્ષ આર્મી અને ISI ચીફ પરનો હુમલો તેમને કમજોર દેખાડી રહ્યો છે ના કે સેનાને.
તેમનું કહેવું છે કે સંવિધાનનું પ્રભુત્વ સુનિશ્ચિત કરવા માટે વિપક્ષે ચૂંટણી જીતવા કરતાં આગળનું વિચારવું પડશે.
આ ગઠબંધનને સામાજિક-રાજકીય અને સામાજિક-આર્થિક સંબંધોને ફરીવાર વ્યવસ્થિત કરવાના રહેશે.
હવે આગામી મહિનાઓમાં ખબર પડશે કે શું આ નવા વિપક્ષનું ગઠબંધન છે કે તે તેના કરતાં કંઈક વધુ હાંસલ કરી શકશે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો