નીરજ ચોપરા સહિત 11 ખેલાડીના નામ ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ, શિખર ધવન અર્જુન એવોર્ડ માટે નોમિનેટ!
ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે એથ્લેટિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને 11 દિગ્ગજ ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન 2021 પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી : આ વર્ષે ટોક્યોમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે એથ્લેટિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને 11 દિગ્ગજ ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન 2021 પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમિતિ દ્વારા અર્જુન એવોર્ડ માટે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવન સહિત 35 ખેલાડીઓના નામ મોકલવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા દર વર્ષે મેજર ધ્યાનચંદના જન્મદિવસ પર રાષ્ટ્રપતિ ભવન ખાતે રમતગમત પુરસ્કારોનું આયોજન કરવામાં આવે છે, જો કે આ વર્ષે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની માંગણી પર સ્પોર્ટ્સ એવોર્ડ્સ મોકૂફ રાખવામાં આવ્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે તે જુલાઇ-ઓગસ્ટ દરમિયાન રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓનું સન્માન કરવા માંગે છે, જેના કારણે તે ઇચ્છે છે કે રમત પુરસ્કારો પછીથી આપવામાં આવે.
ભારતીય ખેલ રત્ન એવોર્ડ 2021 માટે મોકલવામાં આવેલા નામોમાં ભાલા ફેંકમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનું નામ સામેલ છે, જ્યારે કુસ્તીમાં રવિ દહિયા, બોક્સર લવલિના બોરગોહિનના નામનો સમાવેશ થાય છે. હોકીમાં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, ફૂટબોલ લિજેન્ડ અને કેપ્ટન સુનીલ ક્ષેત્રી અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજનું નામ પણ સામેલ છે.
બીજી તરફ અર્જુન એવોર્ડ માટે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવન (ક્રિકેટ), યોગેશ કથુનિયા (ડિસ્કસ થ્રો), નિષાદ કુમાર (ઊંચી કૂદ), પ્રવીણ કુમાર (ઊંચી કૂદ), શરદ કુમાર (ઊંચી કૂદ), સુહાસ લી (બેડમિન્ટન), સિંઘરાજ અધના (શૂટીંગ), ભાવિના પટેલ (ટેબલ ટેનિસ), હરવિંદર સિંઘ (તીરંદાજી) સહિત કુલ 35 ખેલાડીઓને એવોર્ડ મોકલવામાં આવ્યા છે.