50 વર્ષ બાદ ભારત ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચ રમશે
લંડન, 2 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટ ટીમના આવતા વર્ષના ઈંગ્લેન્ડ પ્રવાસને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે મંજૂરી આપી દીધી છે. આ પ્રવાસ 23 જૂન, 2014થી શરૂ થશે અને ૮ સપ્ટેંબર, 2014ના રોજ પૂરો થશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ત્યાં પાંચ ટેસ્ટ મેચ, પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને એક ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. ખાસ બાબત એ છે કે 50 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ચ મેચ રમશે. છેલ્લે 1959માં ભારતે પાંચ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડમાં ખેલી હતી.
આ મહત્વપૂર્ણ પ્રવાસનો આરંભ ભારતીય ક્રિકેટ ટીમ લેસ્ટરશાયર અને ડર્બીશાયર સામે ત્રણ-દિવસની મેચો રમીને કરશે. પહેલી ટેસ્ટ 9 જુલાઈ, 2014થી ટ્રેન્ટ બ્રિજમાં રમાશે. લોર્ડ્સમાં બીજી ટેસ્ટ 17 જુલાઈથી રમાશે. ત્રીજી ટેસ્ટના સ્થળ તરીકે એજીસ બાઉલનું નામ પસંદ કરાયું છે, પણ અંતિમ નિર્ણય લેવાનો હજી બાકી છે. તે મેચ 27 જુલાઈથી શરૂ થશે. છેલ્લી બે ટેસ્ટ ઓલ્ડ ટ્રેફર્ડ અને ઓવલમાં 7 ઓગસ્ટ અને 15 ઓગસ્ટથી રમાશે.
પાંચ વન-ડે મેચો 25 ઓગસ્ટ અને પાંચ સપ્ટેંબર વચ્ચે રમાશે. તેના સ્થળ છે. આ મેચે અનુક્રમે બ્રિસ્ટોલ, કાર્ડિફ, ટ્રેન્ટ બ્રિજ, હેડિંગ્લી અને એજબેસ્ટન ખાતે રમવામાં આવશે. પ્રવાસની એકમાત્ર ટ્વેન્ટી-20 મેચ સાતમી સપ્ટેંબર, 2014ના રોજ એજબેસ્ટનમાં રમાશે.