BCCIએ રાજ કુન્દ્રાને IPLમાંથી બરતરફ કર્યા
નવી દિલ્હી, 10 જૂન : આઇપીએલમાં સટ્ટો રમવાના આરોપોથી ઘેરાયેલા રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુન્દ્રાને બીસીસીઆઇની વર્કિંગ કમિટીની બેઠકમાં આઇપીએલમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. રાજ કુન્દ્રા આ અંગેની તપાસ પૂરી થાય ત્યાં સુધી આઇપીએલમાંથી સસ્પેન્ડ રહેશે. આ ઉપરાંત તેઓ આઇપીએલ અને ક્રિકેટ સલગ્ન કોઇ પણ પ્રક્રિયામાં સામેલ થઇ શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે કુન્દ્રા બીજા એવા આઇપીએલ ટીમ માલિક છે જેમના પર બીસીસીઆઇએ કાર્યવાહી કરી છે. આ પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક અને બીસીસીઆઇના વડા એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પનને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
બીસીસીઆઇ બોર્ડની વચગાળાની વ્યવસ્થાના પ્રમુખ જગમોહન દાલમિયાએ આ બેઠક ફરજિયાત બોલવવી પડી હતી. કારણ કે દિલ્હી પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રાએ પૂછપરછ દરમિયાન આઇપીએલ મેચોમાં સટ્ટો રમ્યો હોવાની વાત કબૂલ કરી છે. બીસીસીઆઇ આઇપીએલની સાખ જાળવી રાખવા માટે કડક પગલાં લઇ રહી છે.