Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફ્લેશબેક 2012: ક્રિકેટની પીચ પર આ બાબતો રહી ચર્ચાસ્પદ

2012નું વર્ષ પૂર્ણ થવાના આરે છે. વિશ્વમાં એવી અનેક ઘટનાઓ ઘટી હશે, જેનાથી ખુશી, દુઃખ અને આશ્ચર્યતા આપણા માનસપટ પર છવાઇ હશે. ત્યારે 2012ના વર્ષ દરમિયાન ક્રિકેટની પીચ પર એવી અનેક ચર્ચાસ્પદ બાબતો બની હતી કે જેની નોંધ વિશ્વ ફલકે લેવી પડી હતી. એ પછી સચિન, પોન્ટિંગ, દ્રવિડ, લક્ષ્મણ જેવા ખેલાડીઓની નિવૃત્તિ, ટફેલ જેવા અમ્પાયરની નિવૃત્તિ હોય કે, પછી એક યોદ્ધા તરીકે લડીને ક્રિકેટની પીચ પર પરત ફરેલા ટીમ ઇન્ડિયાનો યુવરાજ ગણતો યુવરાજ સિંહ હોય.

યુવા ખેલાડી ઉનમુક્ત ચંદ, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી કે પછી ભુવનેશ્વર કુમારે પણ પોતાની પ્રતિભાના સથવારે વિશ્વ ફલકને નોંધ લેવા માટે મજબૂર કર્યા હતા. તો ઇંગ્લેન્ડની ટીમે 28 વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી એક સિદ્ધિ મેળવી, જ્યારે સતત નબળા પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાના સાવજોને ટીકાનો સામનો પણ કરવો પડ્યો. ધોનીના નેતૃત્વ સામે અનેક સવાલો ઉઠ્યા, ટીમ ઇન્ડિયામાં બે ફાટ પડી ગઇ હોવાના અહેવાલો પણ સમયાંતરે વર્ષ દરમિયાન મીડિયામાં આવતા રહ્યાં.

સચિન જેવા દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાન સામેની મેચ પૂર્વે જ નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તો 2008 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી કોઇ દ્વિપક્ષીય શ્રેણીના કારણે એવા સમાચારો પણ આવ્યા કે આ શ્રેણી બન્ને દેશો વચ્ચેની ખાઇને પૂરવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા અદા કરશે. ત્યારે અહીં વર્ષ દરમિયાન ક્રિકેટ વિશ્વમાં શું-શું થયું અને કઇ-કઇ બાબતો ક્રિકેટની પીચ પર ચર્ચાસ્પદ રહી તે અંગે માહિતી આપવામાં આવી છે.

ક્રિકેટના ભગવાન સચિનની વનડે ક્રિકેટને અલવિદા

ક્રિકેટના ભગવાન સચિનની વનડે ક્રિકેટને અલવિદા

બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારીને સદીની સદી કરનાર વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડી, ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પાકિસ્તાન સામેની વનડે અને ટી20 શ્રેણી પહેલા જ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી. સચિને પોતાની અંતિમ વનડે પાકિસ્તાન વિરુદ્ધ ઢાકામાં 18 માર્ચ 2012ના રોજ રમી હતી, જેમાં ભારતનો વિજય થયો હતો અને તેણે અડધી સદી ફટકારી હતી. અનેક સિદ્ધિ પોતાના નામે નોંધાવનાર સચિન તેંડુલકરે 23 વર્ષ સુધી ક્રિકેટ વિશ્વમાં ભારતને ઝળહળતું રાખ્યું છે. તેણે વનડેમાં સર્વાધિક 463 વનડે રમી છે. તેણે વનડેમાં 18426 રન ફટકાર્યા છે, જેમાં 96 અડધી સદી અને 49 સદી ફટકારી છે. સચિનના નામે અનેક વનડે સિદ્ધિઓ છે, તેમાં વિશ્વ ક્રિકેટમાં વનડેમાં પ્રથમ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. એવી ચર્ચા છે કે સતત નબળા ફોર્મમાંથી પસાર થઇ રહ્યો હોવાના કારણે સચિન પર નિવૃત્તિ લેવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

રિકી પોન્ટિંગની નિવૃત્તિ

રિકી પોન્ટિંગની નિવૃત્તિ

ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટન રહી ચૂકેલા રિકી પોંટિંગ પર્થ ટેસ્ટ પછી ક્રિકેટને અલવિદા કહી દેશે. એટલે કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પર્થ ટેસ્ટ બાદ રિકી પોટિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરશે. એક દિવસીય અને ટ્વેંટી-20 ક્રિકેટમાંથી તે પહેલાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે.રિકી પોટિંગના નામે ઘણા ચોંકાવનાર રેકોર્ડ છે. 167 ટેસ્ટ મેચોના 285 દાવમાં રિકી પોટિંગે 52.21ની સરેરાશથી 13,366 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં રિકી પોટિંગથી વધારે રન ફક્ત સચિન તેંડુલકરે બનાવ્યા છે. રિકી પોટિંગની કેપ્ટનશીપ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ અને વન-ડે એમ બંનેમાં સતત જીત મેળવવાની સાથે-સાથે કેટલાય કિર્તિમાન સ્થાપિત કર્યા છે. એશેજમાં નિષ્ફળ થયા બાદ ગત વર્ષે તેમને ઓસ્ટ્રેલિયાઇ ટીમની કેપ્ટનશીપ ગુમાવી હતી અને માઇકલ ક્લાર્કને ટીમની કમાન સોંપવામાં આવી હતી.

ધ વોલ રાહુલ દ્રવિડની નિવૃત્તિ

ધ વોલ રાહુલ દ્રવિડની નિવૃત્તિ

ટેસ્ટ ક્રિકેટમાં વિરોધી ટીમના બોલર્સ માટે માથાનો દુઃખાવો સમાન ગણાતા ટીમ ઇન્ડિયાના રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાનો ધ વોલ કહેવામાં આવે છે. તેણે ભારત માટે ઘણી યાદગાર અને લાંબી ઇનિંગ્સ રમી હતી. તેણે ઇંગ્લેન્ડમાં વનડે અને ટી20 શ્રેણીમાં પસંદગી પામ્યાના કલાકો બાદ જ પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને બધાને અંચબામાં પાડી દીધા હતા. ચેતેશ્વર પૂજારા જેવા યુવા ખેલાડીઓ માટે આદર્શ છે. દ્રવિડે 339 વન ડેમાં 12 સદી અને 82 અર્ધ સદીની મદદથી 10,756 રન બનાવ્યા હતા. તેમજ ટેસ્ટ ક્રિકેટમાં 12576 રન બનાવીને તે ટેસ્ટ ક્રિકેટમાં સચિન બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.

સ્ટાઇલીશ વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિ

સ્ટાઇલીશ વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિ

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સ્ટાઇલીશ અને આધારસ્તંભ સમા ટીમ ઇન્ડિયાના ખેલાડી વીવીએસ લક્ષ્મણે બધાને ચોંકાવી દીધા હતા. તેની નિવૃત્તિ બાદ ઘણા વિવાદો ઉભા થયા હતા. ધોની ટીમના સિનીયર ખેલાડી સાથે યોગ્ય વર્તન નહીં કરતો હોવાની વાત પણ ઉડી હતી. લક્ષ્મણે ભારત માટે અનેક યાદગર ઇનિંગો રમી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 281 રનની ઇનિંગ સૌથી ટોચ પર છે. લક્ષ્મણે 134 ટેસ્ટમાં 8781 રન નોંધાવ્યા છે. જેમાં 17 સદી અને 56 અર્ધીસદી છે, જ્યારે કે 86 વન-ડેમાં 6 સદી સાથે 2338 રન બનાવ્યા છે.

એન્ડ્ર્યુ સ્ટ્રોસની નિવૃતિ

એન્ડ્ર્યુ સ્ટ્રોસની નિવૃતિ

29 ઓગસ્ટ 2012ના રોજ 100મી ટેસ્ટ બાદ એન્ડ્ર્યુ સ્ટ્રોસે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. એન્ડ્ર્યુ સ્ટ્રોસે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ તેના સાથી સભ્યો તેની માટે 100 બોટલ વાઇની લઇને આવ્યા હતા. સ્ટ્રોસે 100 ટેસ્ટમાં 21 સદી અને 27 અડધી સદીની મદદથી 7,037 રન બનાવ્યા હતા. તેમાં 177 રન સર્વાધિક છે. વનડેમાં તેણે 127 મેચોમાં 6 સદી અને 27 અડધી સદીની મદદથી 4,205 રન બનાવ્યા છે.

સાયમન ટફેલ કુશળ અમ્પાયરની નિવૃત્તિ

સાયમન ટફેલ કુશળ અમ્પાયરની નિવૃત્તિ

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ સાઇમન ટફેલે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ક્રિકેટમાંથી અમ્પાયર તરીકે નિવૃત્તિ લિધી હતી. તેઓએ સતત પાંચ વખત 2004થી 2008 દરમિયાન આઇસીસી અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. તેમણે 2012માં આઇસીસી વર્લ્ડ ટી20 ફાઇનલ બાદ નિવૃત્તિ લીધી હતી. તેમણે 74 ટેસ્ટમાં, 174 વનડે અને 34 ટી20માં અમ્પાયરિંગ કર્યું છે.

સચિનની સદીની સદી

સચિનની સદીની સદી

ક્રિકેટના ભગવાન તરીકે વિશ્વ ક્રિકેટમાં જાણીતા સચિન તેંડુલકરે 2012ના વર્ષ દરમિયાન એક અનોખી સિદ્ધી હાંસલ કરી હતી. સચિને આતંરરાષ્ટ્રીય કારકિર્દીમાં 100મી સદી ફટકારી હતી. તેણે આ સદી બાંગ્લાદેશ વિરુદ્ધ મિરપુરમાં રમાયેલી એશિયાકપની મેચ દરમિયાન ફટકારી હતી. આ સદી તેણે 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ફટકરી હતી. જો કે મેચ ભારત જીતી શક્યું હતું. સચિનની 100 સદીઓની વાત કરીએ તો તેમાં 49 સદી વનડેની છે અને 51 સદી ટેસ્ટની છે. આ સિદ્ધિ અન્ય કોઇ ક્રિકેટર્સના નામે નથી અને આવનારા ઘણા વર્ષો સુધી આ સિદ્ધિ અન્ય કોઇ ક્રિકેટર્સના નામે આવી શકે તેમ પણ નથી.

યુવરાજ સિંહની કેન્સરને માત

યુવરાજ સિંહની કેન્સરને માત

2012માં યુવરાજ સિંહ કેન્સરની બીમારી અને તેને માત આપીને ફરીથી પોતાના લયમાં આવવા બદલ સમાચારમાં રહ્યો. યુવરાજ સિંહે એક યોદ્ધાની માફક કેન્સરને માત આપીને ક્રિકેટની પીચ પર પુનરાગમન કર્યું હતું. તેણે સારવાર બાદ ક્રિકેટમાં જે રીતે પુનરાગમન કર્યું હતું. તેનાથી માત્ર ક્રિકેટર્સ જ નહીં પરંતુ વિશ્વના તમામ ક્રિકેટ ચાહક તેના ફેન બની ગયા હતા. તેણે ટીમમાં એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકેની પોતાની પ્રતીભાની દર્શન કરાવ્યા છે.

 નવી જનરેશનની નવી 'ધ વોલ' ચેતેશ્વર પૂજારા

નવી જનરેશનની નવી 'ધ વોલ' ચેતેશ્વર પૂજારા

રાહુલ દ્રવિડની નિવૃત્તિ બાદ ટીમ ઇન્ડિયા માટે એક દિવાલની ભૂમિકા કોણ અદા કરશે તેવો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો હતો. પરંતુ ચેતેશ્વર પૂજારાએ ઇગ્લેન્ડ સામેની શ્રેણીમાં એક બેવડી અને એક સદી ફટકારીને પૂરવાર કરી દીધું હતું કે તે ટીમ ઇન્ડિયાને ધેર્યપૂર્ણ બેટિંગ અને સ્થિરતા અપાવવાનું સામર્થ્ય ધરાવે છે.

ક્રિશ ગેઇલ- ટીમમાં કરી વાપસી

ક્રિશ ગેઇલ- ટીમમાં કરી વાપસી

ક્રિકેટ જગતના વિસ્ફોટક બેટ્સમેન ક્રિશ ગેઇલએ એપ્રિલ 2011માં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ અને કોચ ઓટ્ટિસ ગિબ્સનની ટીકા કરી હતી અને તે એક વર્ષ સુધી ટીમ માટે રમ્યો નહોતો. 6 એપ્રિલ 2012ના રોજ બોર્ડ અને ગેઇલ વચ્ચે સમાધાન થયું હતું અને ગેઇલ ફરીથી પોતાના દેશ માટે રમતો થયો હતો. જૂન મહિનામાં તેનો સમાવેશ ટી20 ટીમ અને વનડે ટીમમા કરવામાં આવ્યો હતો. જેમાં વેસ્ટ ઇન્ડિઝે સારો દેખાવ કર્યો હતો. ટી20માં ગેઇલ મેન ઓફ ધ સિરિઝ બન્યો હતો અને વનડે શ્રેણીમાં તેણે સારું પ્રદર્શન કરતા સદી અને અડધી સદી ફટકારી હતી.

માર્ક બાઉચરની દુઃખદ નિવૃત્તિ

માર્ક બાઉચરની દુઃખદ નિવૃત્તિ

સાઉથ આફ્રિકાના આ અદભૂત વિકેટકિપર બેટ્સમેનની કારકિર્દીનો દુઃખદ રીતે 2012માં અંત આવ્યો. ઇંગ્લેન્ડ સામેના પ્રવાસ પહેલા પ્રેક્ટિસ ગેમ દરમિયાન સાઉથ આફ્રિકાના વિકેટકિપર માર્ક બાઉચરને ડાબી આંખમાં ગંભીર ઇજા પહોંચી હતી અને જેના કારણે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 999 શિકાર ઝડપ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાઉચર બાદ શ્રેષ્ઠ વિકેટ કિપર તરીકે ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટની ગણના થાય છે.

ભારતનો યુવા ચહેરો ઉન્મુક્ત ચંદ

ભારતનો યુવા ચહેરો ઉન્મુક્ત ચંદ

ભારતને અન્ડર 19 વિશ્વકપ જીતાડ્યા બાદ યુવા ટીમનો સુકાની ઉન્મુક્ત ચંદ ભારતીય ક્રિકેટનો યુવા ચહેરો બનીને ઉભર્યો છે. તેણે અન્ડર 19 વિશ્વકપ દરમિયાન શાનદાર પ્રદર્શન દર્શાવીને ટીમને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. જેના કારણે તેની નોંધ માત્ર દિગ્ગજ ક્રિકેટર્સ જ નહીં પરંતુ દેશના ક્રિકેટ રસીકો અને સમીક્ષકોએ પણ લીધી હતી અને તેને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણાવ્યો હતો. આગમી વર્ષમાં તે ભારતીય ટીમમાં હોય તો નવાઇ નહીં થાય.

પ્લેયર ઓફ ધ યર- વિરાટ કોહલી

પ્લેયર ઓફ ધ યર- વિરાટ કોહલી

2012માં એક તરફ ટીમ ઇન્ડિયાના દિગ્ગજો ફોર્મ સામે લડતાં જોવા મળ્યા અને ટીમ સંઘર્ષ કરતી જોવા મળી ત્યારે વિરાટ કોહલીએ પોતાની શાનદાર રમત અને ફોર્મ થકી ટીમને વિશ્વફલક પર શર્મસાર થતી બચાવી હતી. 2012માં આઉટસ્ટેન્ડિંગ પ્રદર્શન કરવા બદલ વિરાટ કોહલીને આઇસીસી વનડે પ્લેયર ઓફ ધ યરથી પણ નવાજવામાં આવ્યો હતો.

ટીમ ઇન્ડિયાની નિષ્ફળતા

ટીમ ઇન્ડિયાની નિષ્ફળતા

2011ના વિશ્વકપ બાદ ટીમ ઇન્ડિયાએ જોઇએ તેવું પ્રદર્શન કર્યું નહોતું અને તે તમામ મોરચે નિષ્ફળ જઇ રહી હતી. એકાદ બે શ્રેણીને બાદ કરતા ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું. 2012ના વર્ષ દરમિયાન ક્યારેક આતંરિક વિખવાદ, સિનિયર ખેલાડી અને જૂનિયર ખેલાડી વચ્ચે વધી રહેલું અંતર, ધોની - સેહવાગ કે ધોની-ગંભીર વિવાદ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી ટીમો અને ટી20 વિશ્વકપમાં ઉતરતી કક્ષાના પ્રદર્શનના કારણે ટીમ પર ટીકાકારોએ ફિટકાર વરસાવી હતી.

ધોનીની કેપ્ટન્સી સામે પ્રશ્નાર્થ

ધોનીની કેપ્ટન્સી સામે પ્રશ્નાર્થ

2011ના વિશ્વકપ પછીની તમામ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો દેખાવ એક યોદ્ધા ટીમ જેવો નહોતો. ટી20 વિશ્વકપ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પછી ટીમ ઇન્ડિયા પર ચોતરફથી પ્રહાર કરવામાં આવી રહ્યાં હતા, તેમાં પણ ખાસ કરીને જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 28 વર્ષ ભારતીય ધરતી પર ટેસ્ટ શ્રેણી જીત્યું ત્યાર પછી તો પૂર્વ ક્રિકેટર્સ અને દેશના ક્રિકેટ પ્રેમીઓ ધોનીની આકરી ટીકા કરવા લાગ્યા અને ધોનીને સુકાની પદેથી હટાવવાની માંગ કરવા લાગ્યા હતા. જો ચાલું વર્ષ જેવું જ પ્રદર્શન યથાવત રહ્યું તો 2013નું વર્ષ ધોની અને તેની કેપ્ટન્સી માટે જોખમી સાબિત થઇ શકે છે.

28 વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીત્યું ઇંગ્લેન્ડ

28 વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીત્યું ઇંગ્લેન્ડ

ટીમ ઇન્ડિયાના નબળા પ્રદર્શન અને કૂક સહિતના ઇંગ્લેન્ડના ખેલાડીઓની શાનદાર ઇનિંગ્સ અને પ્રદર્શનના કારણે 28 વર્ષ બાદ ઇંગ્લેન્ડની ટીમે 2012માં ભારતમાં યોજાયેલી ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવ્યો હતો.

પાંચ વર્ષ બાદ ભારત-પાક વચ્ચે શ્રેણી

પાંચ વર્ષ બાદ ભારત-પાક વચ્ચે શ્રેણી

2008માં મુંબઇમાં થયેલા આંતકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે એકપણ દ્વિપક્ષીય શ્રેણી રમાઇ નહોતી. પાંચ વર્ષના અંતર બાદ બન્ને પક્ષો વચ્ચે સમજૂતિ કરવામાં આવી અને અનેક વિરોધ છતાં પણ ભારતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડે અને ટી20 શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું અને એવી આશાઓ રાખવામાં આવી રહી છે કે આ શ્રેણી થકી બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ હુંફાળા બનશે.

શાહરુખ ખાન અને આઇપીએલ

શાહરુખ ખાન અને આઇપીએલ

2012માં યોજાયેલી આઇપીએલ શ્રેણી તેના ગ્લેમર કરતા શાહરુખ ખાન અને તેની ટીમના કારણે વધારે ચર્ચામાં રહેશે. ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની શાહરુખની કોકલતા નાઇટ્સ રાઇડર્સે આઇપીએલનો કપ જીત્યો હતો. પરંતુ આ આખી શ્રેણી દરમિયાન જો કોઇ વિવાદિત વાત લોકોના માનસપટમાં યાદ રહી હોય તો એ છે શાહરુખ ખાન અને વાનખેડે સ્ટેડિયમના સિક્યોરિટી ગાર્ડ વચ્ચે થયેલો ઝઘડો. આ ઝઘડાને એટલુ વધું મહત્વ આપવામાં આવ્યું હતું કે આઇપીએલ બાજુએ રહી ગઇ હતી અને તમામ ધ્યાન આ ઝધડા પર કેન્દ્રિત થઇ ગયું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X