કોચ કુંબલેના રાજીનામાથી નારાજ ક્રિકેટ જગતના દિગ્ગજો
ક્રિકેટ વિશ્વના દિગ્ગજોએ ભારતીય ટીમના હેડ કોચ અનિલ કુંબલેના રાજીનામા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે ભારતની હાર સાથે જ ટીમ ઇન્ડિયાના હેડ કોચ અનિલ કુંબલેની ખુરશી પણ હલી ગઇ. ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ માટે રવાના થઇ ગઇ છે, પરંતુ કોચ અનિલ કુંબલે તેમની સાથે ન ગયા. મંગળવારે ટીમ ઇન્ડિયાના હેડ કોચ અનિલ કુંબલેએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી અનિલ કુંબલે અને કપ્તાન વિરાટ કોહલી વચ્ચેના મતભેદની વાતો પણ સામે આવી હતી. અનિલ કુંબલેએ જાતે આ વાતની સ્પષ્ટતા કરી હતી કે, તેમણે પોતાના પદ પરથી રાજીનામું કેમ આપ્યું?
કુંબલેએ મતભેદની વાત સ્વીકારી
અનિલ કુંબલેએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે, 'બીસીસીઆઇ એ પહેલીવાર મંગળવારે જણાવ્યું કે, કપ્તાન વિરાટ કોહલીને તેમની કામ કરવાની કેટલીક રીત-ભાત સામે વાંધો છે અને તેઓ નથી ઇચ્છતા કે, હું હવે હેડ કોચની કામગીરી સંભાળું. કપ્તાનની આપત્તિઓને જોતાં મને લાગ્યું કે રાજીનામું આપવું જ શ્રેષ્ઠ નિર્ણય રહેશે, જેથી બીસીસીઆઇ અને સીએસી હેડ કોચનું પદ તેમને યોગ્ય લાગતા વ્યક્તિને સોંપી શકે. બીસીસીઆઇ દ્વારા મારી અને કપ્તાન વચ્ચેના મતભેદો દૂર કરવાનો પણ પ્રયત્ન થયો હતો. પરંતુ પછી સ્પષ્ટ થઇ ગયું કે, આ પાર્ટનરશિપ આગળ ચાલી શકે એમ નથી, આથી મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો.'
ગાવસ્કરનું નિવેદન
અનિલ કુંબલેના રાજીનામાની ખબરથી ક્રિકેટ જગતમાં સોપો પડી ગયો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરે આ અંગે કહ્યું કે, 'મને ખૂબ ખરાબ લાગ્યું કે, અનિલ કુંબલેએ આ નિર્ણય લીધો. તેઓ શ્રેષ્ઠ ખેલાડી અને શ્રેષ્ઠ કોચ હતા. તેમના કારણે ટીમના પ્રદર્શનમાં ખાસો સુધારો થયો હતો. તેમણે કપરી પરિસ્થિતિઓમાં પણ ટીમને મજબૂત કરવાનું કામ સરસ રીતે કર્યું. તેઓ ખેલાડીઓની મન-મરજી ચલાવી લેનાર કોચ નહોતા, કદાચ આ કારણે જ તેમણે રાજીનામું આપી દીધું. મને અનિલ અને વિરાટના સંબંધો અંગે વધુ જાણકારી નથી, પરંતુ તેમણે આ પગલું લેતા પહેલાં એક વાર સીએસી સાથે વાત કરી લેવી જોઇતી હતી.'
|
વિરાટ નિશાના પર
અનિલ કુંબલેના રાજીનામા બાદ લોકો કપ્તાન વિરાટ કોહલી પર નિશાન સાધી રહ્યાં છે. ભારતના ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિંદ્રાએ કોઇનું નામ લીધા વિના જ વિરાટ કોહલી અને કોચ કુંબલેના વિવાદ અંગે લખ્યું છે, 'મને મારા કોચ બિલકુલ પસંદ નહોતા. આમ છતાં હું 20 વર્ષ સુધી તેમની સાથે રહ્યો. તેમણે મને હંમેશા એ વાતો કહી, જે હું ક્યારેય સાંભળવા નહોતો માંગતો.' અભિનવના આ ટ્વીટ પર બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ ટ્વીટ કરી લખ્યું છે, 'આ ક્યારેક-ક્યારેક ટ્રેનિંગનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. મને યાદ છે, મારા સર પણ આવું જ કરતા હતા અને આજે પણ કરે છે.'
ક્રિકેટના દિગ્ગજોએ પણ દુઃખ વ્યક્ત કર્યું
- અનિલ કુંબલેના રાજીનામા અંગે ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઇકલ વૉને લખ્યું, અનિલ કુંબલે જેવા મહાન ખેલાડીની ખોટ ભારતને સાલશે.
- પૂર્વ ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા આકાશ ચોપરાએ લખ્યું છે, કોચ-કપ્તાનના વિવાદમાં ક્યારેક ક્રિકેટ હારી જાય છે.
- પૂર્વ ભારતીય કપ્તાન બિશન સિંહે ટ્વીટ કરતાં કહ્યું છે, ભારતીય ક્રિકેટને જંબો(અનિલ કુંબલે)ની જરૂર છે.
- ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે લખ્યું છે, અનિલના નિર્ણય પરથી સ્પષ્ટ છે કે, તેઓ માત્ર સેવાઓનો લાભ લેવા માટે કોચ નહોતા બન્યા.
- દિગ્ગજ ક્રિકેટ કમેન્ટેટર અયાઝ મેમને લખ્યું છે, વિરાટ-કુંબલે વચ્ચે મતભેદ હતા, બીસીસીઆઇને ખબર હતી, સીઓએને ખબર હતી, સીએસીને થોડા સમય પહેલા જ ખબર પડી. લીડરશિપ અને ક્રાઇસિસ મેનેમેન્ટના અભાવે આ સંકટ ઊભું થયું.
- પૂર્વ કમેન્ટેટર હર્ષ ભોગલેએ લખ્યું છે, ઓર્ગેનાઇઝેશને કામને સમર્પિત માણસોને સાચવવા પડશે. આશા છે કે, અનિલ કુંબલેને વધુ સારું પદ આપવામાં આવશે.
કુંબલે સેવાઓનો લાભ લેવા કોચ નહોતા બન્યા
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો