કેપ્ટન તરીકે છેલ્લી મેચ હાર્યા, પણ લોકોનાં મન જીત્યાં..
અભ્યાસ મેચ બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે તથા ટી-20 સિરિઝ રમાશે, જેમાં વિરાટ કોહલી ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. મહેન્દ્ર સિંહ ધોની ટીમના ખેલાડી તરીકે મેચ રમશે.
ભારતીય ટીમના બેસ્ટ કપ્તાનોમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાન તરીકે મંગળવારે પોતાની છેલ્લી મેચ રમી હતી. ભારત વિ. ઇંગ્લેન્ડની અભ્યાસ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની સુકાનીપદ સંભાળ્યું હતું. ટૉસમાં ઇંગ્લેન્ડ જીતતા તેમણે પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
કપ્તાન તરીકેની છેલ્લી મેચમાં ધોનીએ શાનદાર પ્રદર્શન કર્યું. ધોનીએ માત્ર 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ ધોનીએ એક દિવસીય અને ટી-20 ક્રિકેટની કપ્તાનીમાંથી સંન્યાસ લઇ લીધો છે. આ અભ્યાસ મેચ બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે તથા ટી-20 સિરિઝ રમાશે, જેમાં વિરાટ કોહલી ભારતીય ટીમનું નેતૃત્વ કરશે અને ધોની ખેલાડી તરીકે મેચ રમશે.
કપ્તાન તરીકેની છેલ્લી મેચ હાર્યા ધોની
મેચની શરૂઆતમાં તો ધોનીએ શાનદાર પ્રદર્શન કરી લોકોના મન જીત્યા, પરંતુ મેચ જીતવામાં ધોની અસફળ રહ્યાં. ઇંગ્લેન્ડના સેમ બિલિંગ્સની બેટિંગ કેપ્ટન કુલ ધોનીને ભારે પડી. સેમ બિલિંગ્સે ઇંગ્લેન્ડ માટે 93 રન કરી ઇંગ્લેન્ડની જીત પાકી કરી. ભારતીય ટીમમાં અંબાતી રાટુડૂએ 100, શિખર ધવને 63 અને યુવરાજ સિંહે 56 રન કર્યા હતા. 50 ઓવરમાં ચાર વિકેટ સાથે ભારતનો સ્કોર હતો, 304. સામે ઇંગ્લેન્ડની ટીમે 48.5 ઓવરમાં જ 7 વિકેટ સાથે 307 રન બનાવ્યા હતા.
કેપ્ટન કુલના ફેને તોડી સિક્યોરિટી
આ મેચ ધોનીના ફેન માટે ખૂબ ખાસ હતી, ધોનીની કપ્તાન તરીકેની છેલ્લી મેચનો લોકોમાં ખૂબ ઉત્સાહ હતો. મેચ દરમિયાન બનેલી એક અજીબ ઘટનાએ આ વાત સાબિત કરી દીધી. મેચ દરમિયાન કેપ્ટન કુલ ધોનીનો અક ફેન સિક્યોરિટીની દિવાલ તોડી ધોનીને મળવા મેદાનમાં પહોંચી ગયો હતો. પડતા-આખડતા જ્યારે તે ધોની પાસે પહોંચ્યો તો ધોનીએ સામેથી તેની સાથે શેક હેન્ડ કરવા હાથ લાંબો કર્યો. પરંતુ ધોનીનો આ ફેન તેની સાથે હાથ મિલાવવાની જગ્યાએ ધોનીને પગે લાગ્યો. આ જોઇ ધોનીને પણ નવાઇ લાગી અને તેણે તરત જ ફેનને ઊભો કરી તેની સાથે હાથ મિલાવ્યો.સુપ્રિમ કોર્ટની નજર હેઠળ રમાઇ અભ્યાસ મેચ
સુપ્રિમ કોર્ટની નજર હેઠળ રમાઇ મેચ
આ મેચ સાથે જોડાયેલી બીજી ખાસ વાત એ છે કે, ઇન્ડિયા એ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આ મેચ સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ રમાઇ હતી. થોડા દિવસો પહેલાં જ સુપ્રિમ કોર્ટે બીસીસીઆઇ ના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેને પદ પરથી ખસેડ્યા હતા. આથી સુપ્રિમ કોર્ટ જ હાલ આ સિરિઝની દેખરેખ કરી રહી છે.
12 જાન્યુઆરીએ રમાશે બીજી અભ્યાસ મેચ
બીજી અભ્યાસ મેચ 12 જાન્યૂઆરીના રોજ રમાશે, જેની કપ્તાની અજિંક્ય રહાણે કરશે. યુવરાજ સિંહ પણ લાંબા સમય બાદ ટીમમાં પાછા ફરી રહ્યાં છે તથા ફાસ્ટ બોલર આશીષ નેહરા પણ સર્જરી બાદ ફરીથી ટીમમાં પાછા ફર્યા છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો