સૂર્યકુમાર યાદવ વિવાદમાં, અભિનેત્રી ખુશી મુખર્જીનો સનસનીખેજ દાવો
ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં એક વિવાદને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સ્પ્લિટ્સવિલા ફેમ અભિનેત્રી ખુશી મુખર્જીએ સૂર્યા વિશે એક ચોંકાવનારો દાવો કર્યો છે.
ખુશી મુખર્જીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં સૂર્યકુમાર યાદવ તેને સતત મેસેજ કરતા હતા. આ ખુલાસા બાદ ક્રિકેટ જગત અને સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે મોટી ચર્ચા છેડાઈ છે.

પોતાના નિવેદનમાં ખુશીએ કહ્યું કે, ઘણા ક્રિકેટરો તેની પાછળ હતા, જેમાં સૂર્યા પણ સામેલ હતો. જો કે, તેણે સ્પષ્ટતા કરી કે અત્યારે તેમની વચ્ચે કોઈ વાતચીત થતી નથી. અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું કે તેને કોઈ પણ ક્રિકેટર સાથે ડેટિંગ કરવામાં જરાય રસ નથી. તે નથી ઈચ્છતી કે તેનું નામ કોઈ ખેલાડી સાથે જોડીને કોઈ અફવાઓ ફેલાવવામાં આવે.
ખુશી મુખર્જીના જણાવ્યા અનુસાર, તેને પર્સનલ લાઈફમાં લિંક-અપ્સ પસંદ નથી. તેણે સ્પષ્ટ કર્યું કે તે પોતે જ કોઈ સંબંધમાં જોડાવા માંગતી નથી, તેથી આ વાતોમાં કોઈ તથ્ય નથી. બીજી તરફ, સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા શેટ્ટીના સુખી લગ્નજીવનના ફોટોઝ અવારનવાર વાયરલ થાય છે. હાલમાં જ આ કપલ તિરુપતિ મંદિરમાં દર્શન કરતા પણ જોવા મળ્યું હતું.
ખુશી એક જાણીતી મોડલ અને અભિનેત્રી છે, જેણે 2013માં તમિલ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તે સ્પ્લિટ્સવિલા 10 અને બાલવીર રિટર્ન્સ જેવા શો માટે જાણીતી છે.
સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતી ખુશીના આ તાજેતરના નિવેદને સૂર્યકુમાર યાદવના ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.












Click it and Unblock the Notifications
