દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૌથી મહત્વની બાબત રિષભ પંતની ટીમમાં વાપસી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ પંત હવે ટીમમાં પરત ફર્યા છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે બે ટેસ્ટ મેચ રમશે, જેમાંથી પ્રથમ મેચ કોલકાતામાં અને બીજી મેચ ગુવાહાટીમાં રમાશે.

આશ્ચર્યજનક રીતે મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. રણજી ટ્રોફીમાં શમીનું પ્રદર્શન સતત સારું રહ્યું છે. રિષભ પંતને તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા એ સામેની શ્રેણી માટે ભારત એના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. શમીએ અગાઉ અજિત અગરકર વિશે મીડિયામાં કેટલાક નિવેદનો આપ્યા હતા, ત્યારબાદ તેમને દક્ષિણ આફ્રિકા એ સામે પણ સ્થાન મળ્યું ન હતું અને હવે મુખ્ય શ્રેણી માટે પણ અવગણના કરવામાં આવી છે.
મોહમ્મદ શમી રણજી ટ્રોફીમાં નિયમિતપણે રમી રહ્યા હતા, જ્યાં તેમણે બે મેચમાં ૧૫ વિકેટ ઝડપી હતી. તેમને સારા પ્રદર્શનનું ફળ મળવાની આશા હતી, પરંતુ તેમ થયું નહીં. તેના સિવાય સરફરાઝ ખાનને પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ટીમમાં રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ એમ ચાર સ્પિનરોને સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ટેસ્ટ ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર/ઉપકેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ
સિલેક્શન કમિટીએ રાજકોટમાં દક્ષિણ આફ્રિકા એ સામે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારત એ ટીમની પણ પસંદગી કરી છે.
ભારત એ વનડે ટીમ : તિલક વર્મા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (ઉપકેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બડોની, નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહેમદ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).












Click it and Unblock the Notifications
