મુંબઇમાં થઇ મહેન્દ્ર સિંહ ધોનીની ઘુંટણની સર્જરી, કેટલા સમય બાદ થઇ જશે ફીટ?
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની)ના ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે. IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટનશીપ કરતી વખતે ધોનીને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી.
આ ઈજા બાદ પણ તે સતત રમી રહ્યો હતો. તેમની કેપ્ટનશીપમાં ટીમે 5મી વખત લીગ ટાઇટલ પણ જીત્યું હતું. ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ 41 વર્ષીય ધોનીએ સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો હતો.

હોસ્પિટલ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના સૂત્રોએ જણાવ્યું છે કે ઓપરેશન સારી રીતે થયું છે અને ભૂતપૂર્વ ભારતીય સુકાની સંપૂર્ણ રીતે ફિટ છે. રજા આપતા પહેલા તેઓ હજુ થોડા દિવસો સુધી હોસ્પિટલમાં રહેશે. CSKના CEO કાશી વિશ્વનાથને ખુલાસો કર્યો કે ગુરુવારે સવારે સર્જરી બાદ તેણે ધોની સાથે વાત કરી હતી.
CSK અધિકારીએ પુષ્ટિ કરતા કહ્યું કે, 'મેં ઓપરેશન પછી તેમની સાથે વાત કરી. હું સર્જરી શું છે તે સમજાવી શકતો નથી, પરંતુ અમને કહેવામાં આવ્યું છે કે તે કીહોલ સર્જરી છે. અમારી વાતચીતમાં ધોની સારો લાગતો હતો.
સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત ડૉ. દિનશા પારડીવાલાએ ધોનીની સર્જરી કરી છે. આ પહેલા તેણે ભારતીય ટીમના વિકેટકીપર રિષભ પંતનું પણ ઓપરેશન કર્યું હતું. પંતને કાર અકસ્માતમાં ઘૂંટણમાં ઈજા થઈ હતી. ધોનીનું મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ધોનીની પત્ની સાક્ષી હોસ્પિટલમાં તેની સાથે છે. ગઈકાલે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોનીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે. તેમ છતાં ધોની હવે માત્ર IPLમાં રમે છે. તેણે ફાઈનલ જીત્યા બાદ કહ્યું હતું કે તે આગામી સિઝનમાં રમવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.












Click it and Unblock the Notifications
